Stock Market Crash: કરેક્શન ફેઝમાં બજારમાં, નિફ્ટી 24,000ની નીચે, હવે બજારમાંથી ભાગી જવું કે રોકાણ કરવું? જાણો એક્સપર્ટ્સ પાસેથી
ભારતીય શેરબજારમાં મોટો કડાકો. નિફ્ટી 24,000 ની નીચે ગગડ્યો. શું આ ઘટાડો રોકાણની નવી તક છે કે નુકસાન? જાણો માર્કેટ પડવાના 5 મોટા કારણો અને એક્સપર્ટ્સની સાચી સલાહ.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPIs) સતત ભારતીય બજારમાંથી પોતાનો માલ વેચી રહ્યા છે. માર્ચ મહિનાના પહેલા 4 દિવસમાં જ તેમણે 21,829 કરોડ રૂપિયાના શેર વેચી માર્યા છે.
Stock Market Crash: ભારતીય શેરબજારમાં સોમવારે મોટો કડાકો બોલી ગયો છે. બજારમાં આવેલી આ ભારે વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ હવે કરેક્શન મોડમાં આવી ગયા છે. એક જ દિવસમાં નિફ્ટી 50 માં 650 પોઇન્ટથી વધુનો ઘટાડો નોંધાયો અને તે 24,000ના મહત્વના સ્તરની નીચે જતો રહ્યો. બીજી બાજુ, બીએસઇ સેન્સેક્સ પણ લગભગ 2,100 પોઇન્ટ તૂટીને 76,800 ની નીચે આવી ગયો હતો.
આવા મોટા ઘટાડા પછી સામાન્ય રોકાણકારો મૂંઝવણમાં છે કે શું ખરેખર બજારમાંથી પૈસા કાઢી લેવાનો સમય આવી ગયો છે? કે પછી આ ઘટાડો એક સસ્તી કિંમતે સારા શેર ખરીદવાની તક છે? આ સવાલોના જવાબ એક્સપર્ટ્સ પાસેથી જાણતા પહેલા, બજાર કેમ તૂટ્યું તેના મુખ્ય કારણો સમજી લઈએ.
શેરબજારમાં કડાકાના 5 મોટા કારણો
બજારમાં અચાનક આવેલી આ નબળાઈ પાછળ આંતરરાષ્ટ્રીય પરિબળો સૌથી વધુ જવાબદાર છે. રોકાણકારો હાલમાં રિસ્ક લેવા માંગતા નથી.
1. ક્રૂડ ઓઇલના ભાવમાં આગ: કાચા તેલની કિંમત 115 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવને કારણે ભારત જેવા તેલ આયાત કરતા દેશોના અર્થતંત્ર પર મોટું દબાણ આવ્યું છે.
2. મોંઘવારી વધવાનો ડર: તેલના ભાવ વધતા આખી દુનિયામાં મોંઘવારી વધવાનો ભય છે. આ કારણે રિઝર્વ બેંક સહિતની મધ્યસ્થ બેંકો વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું ટાળી શકે છે, જેનાથી બજારમાં ડરનો માહોલ છે.
3. ગ્લોબલ માર્કેટનું દબાણ: અમેરિકા અને એશિયાના બજારો ખરાબ રીતે તૂટ્યા છે. જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 6% થી વધુ તૂટ્યો, જ્યારે સાઉથ કોરિયા અને અમેરિકન માર્કેટ પણ લાલ નિશાનમાં રહ્યા.
4. મજબૂત ડોલર અને નબળો રૂપિયો: અમેરિકન ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. તેની સામે ભારતીય રૂપિયો 92.20 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેની અસર ઘણા સેક્ટર પર પડી રહી છે.
5. વિદેશી રોકાણકારોની એક્ઝિટ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPIs) સતત ભારતીય બજારમાંથી પોતાનો માલ વેચી રહ્યા છે. માર્ચ મહિનાના પહેલા 4 દિવસમાં જ તેમણે 21,829 કરોડ રૂપિયાના શેર વેચી માર્યા છે.
શું આ ઘટાડો રોકાણ કરવાની તક છે?
જ્યારે પણ બજાર પડે છે, ત્યારે લાંબા ગાળાના રોકાણકારો માટે તક ઊભી થાય છે. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડના ફાઉન્ડર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સંદીપ ટંડન માને છે કે, બજાર પડે ત્યારે રોકાણકાર કેવી પ્રતિક્રિયા આપે છે તે સૌથી અગત્યનું છે. ગભરાઈને ભાગી જવાને બદલે તેને એક તક તરીકે જોવી જોઈએ.
તેમનું કહેવું છે કે ક્રૂડ ઓઇલ ભલે 120 થી 130 ડોલર સુધી જઈ શકે, પરંતુ લાંબા સમય સુધી આટલા ઊંચા ભાવ રહેવાની શક્યતા નથી. તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે એકસાથે મોટી રકમ નાખવાને બદલે ધીમે ધીમે (SIP ની જેમ) રોકાણ કરવું જોઈએ.
કયા સેક્ટરમાં રોકાણ કરી શકાય?
સંદીપ ટંડન મુજબ, અત્યારે એવા સેક્ટર પર ધ્યાન આપવું જોઈએ જે માર્કેટની ઉથલ-થલ સામે મજબૂત રહી શકે. તેમાં ફાર્મા, એનર્જી અને પાવર, ટેલિકોમ અને કેટલીક સરકારી (PSU) કંપનીઓનો સમાવેશ થાય છે. સાથે જ, જે શેરોનું વેલ્યુએશન ખૂબ જ વધારે છે અને હજુ પડ્યા નથી, તેનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે.
ચાર્ટ અને ટેકનિકલ લેવલ શું કહે છે?
ટેકનિકલ એનાલિસ્ટ રોહિત શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, નિફ્ટીએ 24,000 નું લેવલ તોડતા બજારનું શોર્ટ-ટર્મ સ્ટ્રક્ચર બગડી ગયું છે. આ લેવલ તૂટ્યા પછી બજારમાં હજુ વધુ ઘટાડો આવવાની પૂરી શક્યતા છે. જે લોકોનું બજારમાં પૂરેપૂરું રોકાણ છે, તેમણે પોતાના પોર્ટફોલિયોને હેજ (સુરક્ષિત) કરવાનું વિચારવું જોઈએ.
સોનામાં રોકાણ કેટલું જરૂરી?
જ્યારે પણ દુનિયામાં યુદ્ધ જેવી સ્થિતિ કે મોંઘવારી વધે છે, ત્યારે સોનાના ભાવ ચમકે છે. પ્લસકેશના ફાઉન્ડર પ્રણવ કુમાર કહે છે કે સોનું અને શેરબજાર (ઇક્વિટી) બંનેનું પોર્ટફોલિયોમાં અલગ કામ છે. સોનું ખરાબ સમયમાં તમારું રક્ષણ કરે છે, જ્યારે શેરબજાર લાંબા ગાળે સંપત્તિ વધારે છે. તેથી, રોકાણકારોએ આ બંનેમાં થોડું-થોડું રોકાણ રાખીને પોતાનું રિસ્ક બેલેન્સ કરવું જોઈએ.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.