Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય 4 લોકોના ભોગ લેનારા બારામતી વિમાન અકસ્માતને લઈને એક હચમચાવી દેનારો ખુલાસો સામે આવ્યો છે. આ દુર્ઘટના માત્ર એક અકસ્માત હતો કે પછી ઘોર બેદરકારી? યુરોપિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA)ના તાજા રિપોર્ટ મુજબ, જે ચાર્ટર કંપની 'VSR વેન્ચર્સ'ના પ્લેનમાં આ દુર્ઘટના થઈ, તે કંપનીને ગંભીર સુરક્ષા ખામીઓના કારણે 1 વર્ષ પહેલા જ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.
સુરક્ષામાં ‘લેવલ-1'ની ગંભીર ચૂક
આ રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે VSR વેન્ચર્સ કંપની 'લેવલ-1' ની સુરક્ષા ખામીઓ છુપાવવા માટે દોષિત હતી. એવિએશનની દુનિયામાં 'લેવલ-1' ફાઇન્ડિંગ એટલે નિયમોનું સૌથી ગંભીર ઉલ્લંઘન ગણાય છે. કંપનીએ જે ભૂલો કરી હતી તે નીચે મુજબ છે:
દસ્તાવેજોની ચોરી અને સંતાડવા: કંપનીએ સેફ્ટી ચેકિંગ માટે જરૂરી એવા જૂના અકસ્માતોના રિપોર્ટ અને બીજા મહત્વના કાગળો તપાસ એજન્સી સાથે શેર કર્યા નહોતા. આવું કરીને તેઓ મોટી ખામીઓ છુપાવી રહ્યા હતા.
વારંવાર રિમાઇન્ડર છતાં મૌન: EASA દ્વારા ઓક્ટોબર અને નવેમ્બર 2024 દરમિયાન કંપનીને એક-બે નહીં પણ પૂરા 5 વાર રિમાઇન્ડર મોકલવામાં આવ્યા હતા. છતાં કંપનીએ તેનો કોઈ જવાબ આપવાની તસ્દી લીધી નહોતી.
જૂના અકસ્માતમાંથી કોઈ બોધપાઠ નહીં: સપ્ટેમ્બર 2023માં મુંબઈમાં લિયરજેટ 45 પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટના પછી કંપનીએ શું સુધારા કર્યા તેની વિગતો પણ જાણીજોઈને છુપાવવામાં આવી હતી.
DGCAની ભૂમિકા શંકાના ઘેરામાં
આ પૂરા મામલામાં સૌથી મોટો સવાલ ભારતની સૈન્ય ઉડ્ડયન નિયામક સંસ્થા DGCA પર ઉઠી રહ્યો છે. EASAએ VSR વેન્ચર્સના સસ્પેન્શન અંગે DGCAને પણ જાણ કરી હતી. તો સવાલ એ થાય છે કે, જે કંપનીને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘અસુરક્ષિત' જાહેર કરી દેવાઈ હોય, તેને ભારતમાં ઉડાન ભરવાની મંજૂરી કેવી રીતે મળી?
જો DGCAએ સમયસર આ ચેતવણીઓને ગંભીરતાથી લીધી હોત અને કડક પગલાં ભર્યા હોત, તો કદાચ અજિત પવાર સહિત અન્ય લોકોનો જીવ બચાવી શકાયો હોત. આ બેદરકારી હવે મોટી તપાસનો વિષય બની ગઈ છે.
હાલમાં VSR વેન્ચર્સના મેનેજમેન્ટે આ મુદ્દે કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી અને મૌન ધારણ કરી લીધું છે. પરંતુ એવિએશન નિષ્ણાતો આને માત્ર ભૂલ નહીં પણ 'ગુનાહિત બેદરકારી' ગણાવી રહ્યા છે. લોકોમાં પણ રોષ છે કે આવી ખામીયુક્ત કંપનીઓના હાથમાં નેતાઓ અને સામાન્ય લોકોના જીવ કેમ સોંપવામાં આવે છે.