Bihar Politics: બિહારના સીએમ નીતિશ કુમારે રાજ્યસભામાં જવાની મોટી જાહેરાત કરી છે. જાણો તેમના આ નિર્ણય પાછળનું કારણ અને હવે બિહારના નવા મુખ્યમંત્રી કોણ બની શકે છે.
Bihar Politics: બિહારના સીએમ નીતિશ કુમારે રાજ્યસભામાં જવાની મોટી જાહેરાત કરી છે.
Bihar Politics: બિહારના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે સત્તાવાર રીતે રાજ્યસભામાં જવાની જાહેરાત કરી દીધી છે. ગુરુવારે 5 માર્ચના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને તેમણે આ માહિતી આપી છે. આ જાહેરાત બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બિહારમાં સત્તા પરિવર્તન થશે અને રાજ્યને ટૂંક સમયમાં કોઈ નવા મુખ્યમંત્રી મળશે.
રાજ્યસભામાં જવા પાછળનું શું છે કારણ?
નીતિશ કુમારે પોતાની X પોસ્ટમાં મનની વાત કરતા જણાવ્યું હતું કે, "જ્યારથી મેં મારા સંસદીય જીવનની શરૂઆત કરી છે, ત્યારથી મારા મનમાં એક ખાસ ઈચ્છા હતી. હું બિહાર વિધાનમંડળના બંને ગૃહો (વિધાનસભા અને વિધાન પરિષદ) ની સાથે સાથે સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) નો સભ્ય બનવા માંગતો હતો." તેમણે વધુમાં કહ્યું કે પોતાની આ જ ઈચ્છાને પૂરી કરવા માટે તેઓ આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે.
જનતાનો માન્યો આભાર
બિહારની જનતાનો આભાર વ્યક્ત કરતા સીએમ નીતિશ કુમારે લખ્યું છે કે, "છેલ્લા 2 દાયકાથી પણ વધુ સમયથી તમે લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને સતત સમર્થન આપ્યું છે. તમારા આ વિશ્વાસ અને તાકાતના આધારે જ અમે પૂરી નિષ્ઠાથી બિહારની અને તમારી સેવા કરી શક્યા છીએ. જનતાના સાથથી જ બિહાર આજે વિકાસ અને સન્માનના નવા શિખરો સર કરી રહ્યું છે."
નવી સરકારને આપશે પૂરતો સાથ
નીતિશ કુમારે આ નિર્ણયથી ઉભા થયેલા સવાલો પર પૂર્ણવિરામ મુકતા લોકોને ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, "હું તમને પૂરી ઈમાનદારીથી વિશ્વાસ અપાવું છું કે ભવિષ્યમાં પણ મારો તમારી સાથેનો આ સંબંધ આવો જ રહેશે. આપણે સૌ સાથે મળીને એક વિકસિત બિહાર બનાવવાનો જે સંકલ્પ લીધો છે, તે હંમેશા કાયમ રહેશે."
તેમણે સ્પષ્ટ કર્યું કે બિહારમાં હવે જે પણ નવી સરકાર બનશે અથવા જે પણ નવા મુખ્યમંત્રી આવશે, તેમને તેમનો પૂરેપૂરો સહયોગ અને યોગ્ય માર્ગદર્શન મળતું રહેશે.
મુખ્ય મુદ્દાઓ એક નજરમાં:
* નીતિશ કુમારે 5 માર્ચે રાજ્યસભામાં જવાની સત્તાવાર જાહેરાત કરી.
* ચારેય ગૃહોના સભ્ય બનવાની પોતાની જૂની ઈચ્છા પૂરી કરવા લીધો નિર્ણય.