દિલ્હી લિકર પોલિસીમાં કથિત કૌભાંડમાં તિહાર જેલમાં સજા કાપી રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવતાની સાથે જ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરીને રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ આગામી 2 દિવસમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. તો આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જો રાજીનામું આપવું જ પડશે તો બે દિવસની રાહ શા માટે? આજે રવિવાર છે, સોમવાર રજા છે, એટલા માટે અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ બે દિવસ પછી રાજીનામું આપી દેશે. અરવિંદ કેજરીવાલ મંગળવારે સીએમ પદ પરથી રાજીનામું આપશે.
દિલ્હીની ચૂંટણી નવેમ્બરમાં થવી જોઈએઃ કેજરીવાલ
કેજરીવાલે જનતાને કરી અપીલ - તમે મને પ્રમાણપત્ર આપો
કેજરીવાલે કહ્યું કે હું, લોકોની વચ્ચે જઈશ, દરેક ગલીમાં જઈશ, દરેક ઘરમાં જઈશ અને જ્યાં સુધી જનતા ચુકાદો નહીં આપે કે કેજરીવાલ ઈમાનદાર છે ત્યાં સુધી હું ખુરશી પર બેસીશ નહીં. આજથી થોડા મહિના પછી દિલ્હીની ચૂંટણી છે. હું વિનંતી કરવા માંગુ છું...હું દિલ્હીના લોકોને અપીલ કરવા માંગુ છું કે જો તમને લાગે કે કેજરીવાલ પ્રમાણિક છે તો મારી તરફેણમાં મત આપો અને જો તમને લાગે કે કેજરીવાલ ગુનેગાર છે તો મને મત ન આપો...તમારા દરેકને વોટ મારી ઈમાનદારીનું પ્રમાણપત્ર હશે અને કહેશો કે જો કેજરીવાલ ઈમાનદાર હશે તો ચૂંટણી પછી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.