લોકસભામાં રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ડીલ અને ખેડૂતો મુદ્દે સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. જેના જવાબમાં વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સહિતના નેતાઓએ વળતો પ્રહાર કર્યો છે. વાંચો વિગતવાર અહેવાલ.
રાહુલ ગાંધીએ અત્યંત આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, "સરકારને શરમ આવવી જોઈએ કે તેમણે ભારત માતાને વેચી દીધી છે.
લોકસભાના સત્ર દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ખેડૂતો અને ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જોકે, રાહુલના આ ગંભીર આરોપોનો જવાબ આપવા માટે ખુદ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓએ મોરચો સંભાળી લીધો છે અને દેશની જનતા સમક્ષ સરકારનો પક્ષ સ્પષ્ટ કર્યો છે.
રાહુલ ગાંધીએ શું આરોપ લગાવ્યા?
લોકસભામાં બોલતી વખતે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, "ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ડીલમાં દેશના ખેડૂતોના હિતોને કચડી નાખવામાં આવ્યા છે." તેમણે સવાલ ઉઠાવ્યો કે આ સમજૂતી બરાબરીની શરતો પર કરવામાં આવી નથી.
રાહુલ ગાંધીએ અત્યંત આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, "સરકારને શરમ આવવી જોઈએ કે તેમણે ભારત માતાને વેચી દીધી છે. જે રીતે આ ડીલમાં ખેડૂતોના હિતોનું નુકસાન થયું છે, તેવું કામ આજ દિન સુધી કોઈ વડાપ્રધાને નથી કર્યું અને ભવિષ્યમાં કોઈ કરશે પણ નહીં."
પિયુષ ગોયલે આપ્યો સણસણતો જવાબ
રાહુલ ગાંધીના આક્ષેપો બાદ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સરકારનો બચાવ કરતા સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, "દેશના વાણિજ્ય મંત્રી તરીકે હું સૌને ખાતરી આપવા માંગુ છું કે સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવ્યા છે. ખેડૂતોના હિતોની સંપૂર્ણ રક્ષા કરવામાં આવી છે."
#WATCH | Delhi | On LoP Rahul Gandhi's statement in Lok Sabha, Union Minister Piyush Goyal says," As the Commerce Minister, I want to assure that all decisions were taken keeping in mind the welfare of our farmers and their interests are secured." pic.twitter.com/t6EDuFkLau
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પણ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "વિપક્ષના નેતા ઝેરીલા જૂઠ ફેલાવીને વિદેશ જતા રહેવામાં માને છે." સંસદમાં કોંગ્રેસના વર્તનને તેમણે રસ્તા પર થતા હોબાળા સાથે સરખાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, "જે રીતે મહિલાઓને ઢાલ બનાવીને બેનરો સાથે સત્તા પક્ષ તરફ ધસી આવવામાં આવ્યું, તે જોઈને શાહીન બાગની યાદ તાજી થઈ ગઈ. આવું વર્તન સંસદની ગરિમાને શોભતું નથી."
અશ્વિની વૈષ્ણવ અને કિરણ રિજિજુની પ્રતિક્રિયા
અશ્વિની વૈષ્ણવએ ડેટા સુરક્ષા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "ભારતનો ડેટા કાયદાકીય રીતે સુરક્ષિત છે અને તે 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ' હેઠળ આવે છે. સંવેદનશીલ સેક્ટર્સ માટે પોતાના નિયમો છે. આવા પાયાવિહોણા આરોપો લગાવતા પહેલા તથ્યો તપાસવા જોઈએ."
તો આ તરફ કિરણ રિજિજુ સંસદીય કાર્ય મંત્રીએ કહ્યું કે, "રાહુલ ગાંધી બજેટ ભાષણ દરમિયાન કોઈપણ તર્ક, પુરાવા કે પૂર્વ સૂચના વગર આરોપો લગાવી રહ્યા છે. તેમના ભાષણમાં બોલાયેલા અસંસદીય શબ્દો અને ખોટી વાતોને રેકોર્ડ પરથી હટાવી દેવામાં આવશે. રિજિજુએ વધુમાં ઉમેર્યું કે, "કોઈ ભારતને વેચી શકતું નથી કે ખરીદી શકતું નથી. આવા વિચાર કરવા પણ અશક્ય છે."