BMC Election: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવાર ઉત્તર ભારતીયો સામે મોરચો માંડ્યો છે.
Raj Thackeray MNS: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર "મરાઠી ગૌરવ" અને "પરપ્રાંતીયો"નો મુદ્દો ગરમાયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ પોતાના આક્રમક અંદાજમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે ચેતવણી આપી છે કે જો મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા થોપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તો તેઓ આવી હરકત કરનારાઓને લાત મારીને રાજ્યની બહાર કાઢી મૂકશે. ઉલ્લેખનીય છે કે, BMC ચૂંટણી માટે 15 જાન્યુઆરીએ મતદાન થવાનું છે, તે પહેલાં આ નિવેદને રાજકીય વાતાવરણ ગરમ કરી દીધું છે.
હિન્દી ભાષા અને UP-બિહારના લોકો પર પ્રહાર
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજ ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "યુપી અને બિહારથી આવતા લોકોએ એ વાત સમજી લેવી જોઈએ કે હિન્દી તમારી ભાષા હોઈ શકે છે, અમારી નહીં. મને વ્યક્તિગત રીતે ભાષાથી કોઈ નફરત નથી, પરંતુ જો તમે તેને અમારા માથે મારવાનો કે લાદવાનો પ્રયાસ કરશો, તો હું તમને લાત મારીને અહીંથી કાઢી મૂકીશ."
તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે બહારના રાજ્યોમાંથી લોકો ટોળાબંધ મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે અને સ્થાનિક લોકોનો હક છીનવી રહ્યા છે. રાજે ચેતવણી આપી હતી કે, "જો તમારી જમીન અને તમારી ભાષા જતી રહેશે, તો સમજી લેજો કે તમારું અસ્તિત્વ ખતમ થઈ જશે."
મરાઠી માણસ માટે છેલ્લી તક
ચૂંટણી પહેલા મરાઠી મતદારોને જગાડવા માટે રાજ ઠાકરેએ ભાવનાત્મક અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે, "આ ચૂંટણી મરાઠી માણસ માટે છેલ્લી તક સમાન છે. જો આજે તમે ચૂકી ગયા તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવશે. મહારાષ્ટ્ર અને મરાઠી અસ્મિતા માટે એક થઈ જાઓ.
આ રેલીમાં રાજ ઠાકરેએ પોતાના પાર્ટી કાર્યકર્તાઓને કડક સૂચના આપી હતી. તેમણે કહ્યું કે મતદાનના દિવસે એટલે કે 15 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી જ તમામ કાર્યકરોએ પોલિંગ બૂથ પર તૈનાત રહેવું. જો કોઈ વ્યક્તિ બે વાર વોટ આપવા આવે તો તેને પકડીને બહાર ફેંકી દેવો.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપને લીધું આડે હાથ
આ રેલીમાં રાજ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ તેમજ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એક મંચ પર જોવા મળ્યા હતા. રાજ ઠાકરે બાદ ઉદ્ધવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તમિલનાડુના ભાજપ નેતા કે. અન્નામલાઈના નિવેદનનો સંદર્ભ આપતા ઉદ્ધવે સવાલ કર્યો કે શું ભાજપ મુંબઈનું નામ બદલીને ફરીથી 'બંબઈ' કરવા માંગે છે?
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર ભાગલા પાડવાની રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું કે, "ભાજપનું હિન્દુત્વ અને તેમનો રાષ્ટ્રવાદ તદ્દન નકલી છે. આ પાર્ટી માટે દેશ હિત નહીં, પરંતુ ભ્રષ્ટાચાર પહેલો આવે છે." બંને ભાઈઓ એક મંચ પર આવતા હવે મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે.