ચીનને ભારતનો સણસણતો જવાબ: 'અરુણાચલ પ્રદેશ અમારો અભિન્ન અંગ છે અને રહેશે', જાણો વિદેશ મંત્રાલયે બીજું શું કહ્યું
Indian Ministry of External Affairs: ભારતીય વિદેશ મંત્રાલયે અરુણાચલ પ્રદેશ મુદ્દે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ સાથે ચીની એરપોર્ટ પર ભારતીયોની સુરક્ષા, UK દ્વારા આતંકવાદ પર લગામ અને US સાથેની ભાગીદારી જેવા મુદ્દાઓ પર ભારતના અધિકૃત વલણ વિશે વિગતવાર જાણો.
ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે ચીનને અરુણાચલ પ્રદેશ મુદ્દે કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
Indian Ministry of External Affairs: ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે ચીનને અરુણાચલ પ્રદેશ મુદ્દે કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, "અમે ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો એક અભિન્ન અને અતૂટ હિસ્સો છે અને હંમેશા રહેશે. અમે આ મામલે કોઈની દખલગીરી સહન કરીશું નહીં."
ચીન-ભારત સંબંધો પર શું કહ્યું?
અરુણાચલ પ્રદેશ પર કડક વલણ અપનાવવાની સાથે રણધીર જાયસવાલે બંને દેશોના સંબંધો પર પણ વાત કરી. તેમણે જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો ધીમે ધીમે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે અને ભારત આ સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે.
ચીનની મુસાફરી કરતા ભારતીયો માટે ચેતવણી
ચીની એરપોર્ટ પર ભારતીય નાગરિકો સાથે થતા વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરતાં જાયસવાલે કહ્યું, “અમે ચીની અધિકારીઓ પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ ખાતરી આપે કે ચીનના એરપોર્ટ પરથી મુસાફરી કરતા ભારતીય નાગરિકોને જાણીજોઈને નિશાન બનાવવામાં આવશે નહીં. તેમની મનસ્વી રીતે અટકાયત કરવામાં નહીં આવે કે તેમને પરેશાન કરવામાં આવશે નહીં." તેમણે ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના નિયમોનું ચીને સન્માન કરવું જોઈએ. વિદેશ મંત્રાલયે ચીન જનારા અથવા ત્યાંથી પસાર થનારા ભારતીય નાગરિકોને સંપૂર્ણ સાવચેતી રાખવાની સલાહ આપી છે.
આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ભારતનું વલણ
UK દ્વારા ઉગ્રવાદી સંગઠનો પર પ્રતિબંધ
રણધીર જાયસવાલે કહ્યું, "અમે UK સરકાર દ્વારા ભારત વિરોધી ઉગ્રવાદી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને આવકારીએ છીએ. આ પગલાથી આતંકવાદ અને ઉગ્રવાદ સામેની વૈશ્વિક લડાઈ વધુ મજબૂત બનશે." તેમણે જણાવ્યું કે આવા તત્વો માત્ર ભારત અને UK માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો છે.
અમેરિકા સાથે ભાગીદારી
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા દસ્તાવેજ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું, "આ રિપોર્ટ દર્શાવે છે કે અમેરિકા ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે કેટલું મહત્વ આપે છે. બંને દેશો વચ્ચે મજબૂત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે અને અમે આ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે કામ કરતા રહીશું."