Lok Sabha Opinion Poll: NDA માટે 400 પાર કરવાનો નારો આપી રહેલી ભારતીય જનતા પાર્ટી માટે સારા સંકેતો છે. તાજેતરના સર્વેમાં જાણવા મળ્યું છે કે ભાજપના નેતૃત્વમાં ગઠબંધન 400થી વધુ બેઠકો જીતી શકે છે. ખાસ વાત એ છે કે આ પહેલીવાર છે જ્યારે કોઈ સર્વેમાં NDAને 400થી વધુ સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ભારતના ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી નથી.
નેટવર્ક18ના મેગા ઓપિનિયન પોલ અનુસાર NDA 411 સીટો જીતી શકે છે. લોકસભાની કુલ બેઠકોની સંખ્યા 543 છે. જો કે 370 બેઠકો જીતવાનો દાવો કરી રહેલી ભાજપ તેના લક્ષ્યાંકથી ઓછી પડી શકે છે. ઓપિનિયન પોલના ડેટા દર્શાવે છે કે ભાજપ આ ચૂંટણીમાં 350 સીટો જીતી શકે છે.
સર્વે અનુસાર એનડીએ ઉત્તર પ્રદેશમાં 80માંથી 77, મધ્ય પ્રદેશમાં 28, છત્તીસગઢમાં 10, બિહારમાં 38 અને ઝારખંડમાં 12 બેઠકો જીતી શકે છે. ગઠબંધન કર્ણાટકમાં 25, તમિલનાડુમાં 5 અને કેરળમાં 2 બેઠકો પણ જીતી શકે છે. અનેક રાજ્યોમાં એનડીએનો ગ્રાફ વધે તેવી શક્યતાઓ છે.
જેમાં ઓડિશામાં 13, પશ્ચિમ બંગાળમાં 25, તેલંગાણામાં 8 અને આંધ્રપ્રદેશમાં 18 બેઠકો જીતી શકાય છે. NDA ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી શકે છે.
વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.નું શું થશે?
ઓપિનિયન પોલમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ને 105 બેઠકો મળતી જોવા મળી રહી છે. તે જ સમયે, સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસને માત્ર 49 બેઠકો મળવાની સંભાવના છે. ખાસ વાત એ છે કે વર્ષ 2014માં કોંગ્રેસનું પ્રદર્શન સૌથી નબળું રહ્યું હતું. ત્યારે પાર્ટીને 44 સીટો મળી હતી.