મોદી સરકારે 'યુનિફાઇડ પેન્શન સ્કીમ'ની જાહેરાત કરીને સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે.
મોદી સરકારે 'યુનિફાઇડ પેન્શન સ્કીમ'ની જાહેરાત કરીને સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે. બીજી તરફ આ પેન્શન યોજનાને લઈને દેશનો રાજકીય પારો ગરમાયો છે. કોંગ્રેસે 'યુનિફાઈડ પેન્શન સ્કીમ'ને લઈને મોદી સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે UPSમાં 'યુ' એટલે મોદી સરકારનો યુ-ટર્ન. તેમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં અત્યાર સુધી લેવામાં આવેલા નિર્ણયોને પણ ગણાવ્યા અને કહ્યું કે 4 જૂન પછી વડાપ્રધાનની શક્તિના ઘમંડને જનતાની શક્તિએ હટાવી દીધી છે.
X પર પોસ્ટ કરતાં કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું, UPSમાં 'U' એટલે મોદી સરકારનો U-ટર્ન! 4 જૂન પછી વડાપ્રધાનના સત્તાના ઘમંડને જનતાની શક્તિએ હંફાવી દીધી છે. ખડગેએ આગળ લખ્યું, 'લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ/ઇન્ડેક્સેશન સંબંધિત બજેટમાં રોલબેક, વક્ફ બિલને JPCને મોકલવું, બ્રોડકાસ્ટ બિલ પાછું ખેંચવું, લેટરલ એન્ટ્રીનું રોલબેક આના ઉદાહરણો છે. અમે જવાબદારી સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખીશું અને આ નિરંકુશ સરકારથી 140 કરોડ ભારતીયોનું રક્ષણ કરીશું.
‘યુનિફાઇડ પેન્શન સ્કીમ' વિશે જાણો
કેન્દ્ર સરકારના કર્મચારીઓને NPS અને UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે. કેન્દ્ર સરકારના NPS કસ્ટમર્સને પણ UPS પર સ્વિચ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. નવી સ્કીમ વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'સરકારી કર્મચારીઓએ નવી પેન્શન સ્કીમમાં કેટલાક ફેરફારોની માગણી કરી હતી. આ માટે પીએમ મોદીએ કેબિનેટ સચિવ ટી.વી.સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ વિવિધ સંગઠનો અને લગભગ તમામ રાજ્યો સાથે 100થી વધુ બેઠકો કરી અને આ ભલામણોના આધારે આ પેન્શન યોજના તૈયાર કરવામાં આવી છે. રાજ્ય સરકારોને પણ આ યોજના પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જો રાજ્ય સરકારો UPSનો વિકલ્પ પસંદ કરે તો લાભાર્થીઓની સંખ્યા લગભગ 90 લાખ હશે. સરકારના જણાવ્યા અનુસાર, 800 કરોડ રૂપિયા બાકીદારો પર ખર્ચવામાં આવશે. પ્રથમ વર્ષમાં વાર્ષિક ખર્ચ અંદાજે રૂ. 6,250 કરોડ થશે. આ યોજના 1 એપ્રિલ, 2025 થી લાગુ થશે.
શું કહ્યું પીએમ મોદીએ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે શનિવારે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારના લગભગ 23 લાખ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, 'અમને તમામ સરકારી કર્મચારીઓ પર ગર્વ છે જેઓ દેશની પ્રગતિ માટે સખત મહેનત કરે છે. યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) આ કર્મચારીઓની ગરિમા અને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા જઇ રહી છે. આ પગલું તેમના કલ્યાણ અને સુરક્ષિત ભવિષ્ય માટે અમારી સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.