રાજસ્થાનના ઉદયપુરથી રાજધાની દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એ સમયે ખળભળાટ મચી ગયો જ્યારે વિમાનમાં જ એક યાત્રીના મોબાઈલની બેટરી બ્લાસ્ટ થઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ ટેકઓફ કરતી વખતે પેસેન્જરનો મોબાઈલ ફાટ્યો હતો, ત્યારબાદ ઉદયપુરમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ તમામ 140 મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉદયપુરના ઉદયપુર ડાબોક એરપોર્ટથી ફ્લાઇટ દિલ્હી માટે ઉડાન ભરી હતી ત્યારે આ ઘટના બની હતી. આ પછી તરત જ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પેસેન્જરના મોબાઈલમાં બ્લાસ્ટ થવાની આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 470માં બની હતી. એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટ ટેકઓફ થયાના થોડી જ વારમાં એક મુસાફરના મોબાઈલની બેટરીમાં અચાનક વિસ્ફોટ થઈ ગયો. આ બ્લાસ્ટને કારણે પ્લેનમાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.
જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે બાદમાં લગભગ દોઢ કલાક સુધી તપાસ કર્યા બાદ ફ્લાઈટને ફરીથી દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી. અહેવાલ મુજબ ઉદયપુરના ડાબોક એરપોર્ટ પર નિરીક્ષણ કર્યા બાદ ફ્લાઇટને દિલ્હી માટે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.