ભારતીય નાગરિકતા છોડનારાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, 2024માં 2 લાખથી વધુએ કહ્યું અલવિદા | Moneycontrol Gujarati
Get App

ભારતીય નાગરિકતા છોડનારાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, 2024માં 2 લાખથી વધુએ કહ્યું અલવિદા

2024માં 2,06,378 ભારતીયોએ નાગરિકતા છોડી, છેલ્લા 5 વર્ષમાં 8.96 લાખ લોકો પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન બન્યા. વિદેશ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ઈન્ડિયન્સ વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરી રહ્યા છે. વધુ જાણો આ ચોંકાવનારા ટ્રેન્ડ વિશે.

અપડેટેડ 02:23:12 PM Aug 11, 2025 પર
Story continues below Advertisement
સરકારનું કહેવું છે કે નાગરિકતા છોડવાનાં કારણો અંગત હોય છે.

ભારતના નેતાઓ દેશને વિશ્વગુરુ બનાવવાની વાતો કરે છે, પરંતુ બીજી તરફ દર વર્ષે લાખો ભારતીયો પોતાની નાગરિકતા છોડી રહ્યા છે. વિદેશ રાજ્યમંત્રી કિર્તી વર્ધન સિંહે લોકસભામાં જણાવ્યું કે 2024માં 2,06,378 ભારતીયોએ પોતાના પાસપોર્ટ સરેન્ડર કર્યા. આ આંકડો ચોંકાવનારો છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં 8,96,843 લોકો ભારતીય નાગરિકતા છોડીને પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO) બની ગયા છે.

આંકડાઓ શું કહે છે?

કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલના સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયે આપેલા આંકડા અનુસાર:

2020: 85,256

2021: 1,63,370


2022: 2,25,620

2023: 2,16,219

2024: 2,06,378

આ ઉપરાંત, 2011થી 2014 દરમિયાન 5,04,475 ભારતીયોએ નાગરિકતા છોડી હતી, જેમાં 2011માં 1,22,819, 2012માં 1,20,923, 2013માં 1,31,405 અને 2014માં 1,29,328નો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે વિદેશમાં કાયમી સ્થાયી થવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

કારણો શું છે?

સરકારનું કહેવું છે કે નાગરિકતા છોડવાનાં કારણો અંગત હોય છે. જોકે, આર્થિક તકો, બહેતર ક્વૉલિટી ઓફ લાઈફ અને વર્ક-લાઈફ બેલેન્સ જેવાં પરિબળો મુખ્ય ભૂમિકા ભજવે છે. ઘણા ભારતીયો, ખાસ કરીને યુવાનો, વિદેશમાં ભણવા જાય છે અને પછી ત્યાં જ સ્થાયી થવાનું પસંદ કરે છે. વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર, હાલ વિશ્વભરમાં 3,43,56,193 ભારતીય મૂળના લોકો રહે છે, જેમાંથી 1,71,81,071 PIO અને 1,71,75,122 નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) છે.

શા માટે વિદેશની લાલચ?

ભારતમાં ઉચ્ચ શિક્ષણ પર લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ ગુણવત્તાયુક્ત નોકરીની ગેરંટી નથી. આથી ઘણા યુવાનો અને તેમના માતા-પિતા વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ સ્ટૂડન્ટ વિઝા પર વિદેશ જાય છે અને પછી ગ્રીન કાર્ડ કે સિટીઝનશિપ મેળવવાનો પ્રયાસ કરે છે. જોકે, અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઇમિગ્રેશન નીતિઓ હવે વધુ કડક થઈ રહી છે, જેનાથી આ પ્રક્રિયા પહેલા જેવી સરળ રહી નથી.

અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સનો પ્રશ્ન

સરકારના આંકડાઓમાં અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સનો સમાવેશ થતો નથી, જેમની સંખ્યા પણ લાખોમાં હોઈ શકે છે. આવા લોકો અમેરિકા જેવા દેશોમાં ગેરકાયદેસર રહે છે અને ડિપોર્ટેશન દરમિયાન જ તેમની હાજરીની જાણ થાય છે. આ એક ગંભીર મુદ્દો છે, જેના પર સરકારે વધુ સ્પષ્ટતા કરવાની જરૂર છે.

શું ભવિષ્યમાં બદલાવ આવશે?

ભારતમાં નોકરીની તકો અને જીવનધોરણમાં સુધારો થાય તો આ ટ્રેન્ડ ઘટી શકે છે. પરંતુ હાલના આંકડા દર્શાવે છે કે ભારતીયો માટે વિદેશની આકર્ષણ હજુ ઓછું થવાનું નથી. સરકારે આ મુદ્દે નક્કર પગલાં લેવાની જરૂર છે, જેથી યુવાનોને દેશમાં જ રહીને પોતાનું ભવિષ્ય ઘડવાનો વિશ્વાસ મળે.

આ પણ વાંચો-US National Debt: અમેરિકાનું દેવું 37 ટ્રિલિયન ડોલરને પાર, વ્યાજ ચૂકવવામાં જ ખર્ચાઈ રહ્યું છે બજેટ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 11, 2025 2:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.