તસ્માનિયાની ઘટનાના થોડા સમય બાદ, તમિલનાડુના માછીમારોએ ગહન સમુદ્રમાંથી આ જ રહસ્યમયી માછલી ઝડપી.
ઉંડા સમુદ્રમાં રહેતી એક દુર્લભ માછલી, જેને વિજ્ઞાનની ભાષામાં રેગલેકસ ગ્લેસને (Regalecus glesne) અને સામાન્ય રીતે ઓરફિશ તરીકે ઓળખવામાં આવે છે, તે તાજેતરમાં ભારતના તમિલનાડુ અને તસ્માનિયાના દરિયાકાંઠે જોવા મળી છે. આ માછલી, જેને લોકો 'પ્રલયની માછલી' (Doomsday Fish) તરીકે પણ ઓળખે છે, તેના દેખાવથી લોકોમાં ઉત્સુકતા અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. ઘણા લોકો આને ભૂકંપ કે સુનામી જેવી નેચરલ ડિઝાસ્ટરનો સંકેત માને છે, જોકે વૈજ્ઞાનિકો આ દાવાને સમર્થન આપતા કોઈ નક્કર પુરાવા નથી મળ્યા.
તસ્માનિયામાં રહસ્યમયી ઓરફિશનો દેખાવ
આ અઠવાડિયે, સોમવારે તસ્માનિયાના પશ્ચિમી દરિયાકાંઠે એક અસામાન્ય માછલી દરિયામાંથી તણાઈને કિનારે આવી. આ માછલીનો સાપ જેવો લાંબો આકાર અને ચમકદાર શરીર જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઓરફિશ હતી, જેની લંબાઈ 30 ફૂટ સુધી હોઈ શકે છે. તેનું ચાંદી જેવું ચમકતું શરીર અને માથા પર લાલ રંગનું ફિન (Fin) તેને અનોખું બનાવે છે. સામાન્ય રીતે સમુદ્રની 200થી 1,000 મીટરની ઊંડાઈમાં રહેતી આ માછલી સપાટી પર ભાગ્યે જ દેખાય છે. જ્યારે તે કિનારે કે છીછરા પાણીમાં જોવા મળે છે, ત્યારે લોકોમાં રહસ્ય અને ભયનું વાતાવરણ સર્જાય છે.
તમિલનાડુમાં પણ ઓરફિશ ઝડપાઈ
તસ્માનિયાની ઘટનાના થોડા સમય બાદ, તમિલનાડુના માછીમારોએ ગહન સમુદ્રમાંથી આ જ રહસ્યમયી માછલી ઝડપી. તેનું મોટું કદ, ધાતુ જેવી ચમકતી ચામડી અને માથા પર લાલ રંગની શિખા (Crest) એ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ અનોખી માછલી જોવા માટે કિનારે લોકોનું ટોળું એકઠું થયું. સ્થાનિક લોકોએ આ માછલીને લઈને શુભ-અશુભ સંકેતો અને લોકવાયકાઓની ચર્ચા શરૂ કરી.
ઓરફિશ વિશે વૈજ્ઞાનિક હકીકતો
ઓરફિશ, જેનું વૈજ્ઞાનિક નામ રેગલેકસ ગ્લેસને છે, સમુદ્રની ઊંડાઈમાં રહે છે અને સપાટી પર ભાગ્યે જ દેખાય છે. તેની દુર્લભતા અને અસામાન્ય દેખાવને કારણે તેની આસપાસ અનેક માન્યતાઓ અને ડર જોડાયેલા છે. આ માછલીનું શરીર સાપ જેવું લાંબુ અને ચમકદાર હોય છે, જે તેને રહસ્યમયી બનાવે છે.
લોકોમાં પ્રલયની આશંકા
લોકોના મનમાં ઓરફિશનો દેખાવ નેચરલ ડિઝાસ્ટર સાથે જોડાયેલો છે. ખાસ કરીને, 2011માં જાપાનમાં આવેલા વિનાશક ભૂકંપ અને સુનામી પહેલાં ઓરફિશના દેખાવની ઘટનાઓ નોંધાઈ હતી. આવી જ ઘટનાઓ મેક્સિકોમાં પણ સામે આવી છે, જ્યાં ભૂકંપ પહેલાં આ માછલી જોવા મળી હતી. આ કારણે લોકોમાં એવી માન્યતા પ્રબળ થઈ છે કે ઓરફિશનો દેખાવ કોઈ મોટી આફતનો સંકેત હોઈ શકે.
વિજ્ઞાન VS અંધશ્રદ્ધા
જાપાની લોકવાયકાઓમાં એવું માનવામાં આવે છે કે ઓરફિશ સમુદ્રના તળિયે ભૂકંપના આંચકાથી સપાટી પર આવે છે. આથી ઘણા લોકો તેને આફતનો સંકેત માને છે. જોકે, મરીન બાયોલોજિસ્ટ્સનું કહેવું છે કે ઓરફિશના સપાટી પર આવવાનું કારણ પાણીના ટેમ્પરેચરમાં ફેરફાર, બીમારી કે ઈજા હોઈ શકે છે. 2019ના એક સર્વેમાં પણ ઓરફિશના દેખાવ અને ભૂકંપ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી મળ્યો.