જાપાની એન્સેફેલાઇટિસનું ભારતમાં પુનરાગમન, MPમાં 6 વર્ષના બાળકનું મૃત્યુ, જાણો લક્ષણો અને બચાવના ઉપાય
Japanese Encephalitis: જાપાની એન્સેફેલાઇટિસે ભારતમાં ફરી દસ્તક દીધી! મધ્ય પ્રદેશના ડિંડોરીમાં 6 વર્ષના બાળકનું મૃત્યુ. જાણો આ ગંભીર વાયરલ બીમારીના લક્ષણો, બચાવના ઉપાય અને નિવારણ માટેની મહત્વની માહિતી.
જાપાની એન્સેફેલાઇટિસ એક ગંભીર વાયરલ ઝૂનોટિક બીમારી છે, જે મચ્છરના ડંખ દ્વારા ફેલાય છે.
Japanese Encephalitis: મધ્ય પ્રદેશના ડિંડોરી જિલ્લામાં જાપાની એન્સેફેલાઇટિસ વાયરસે ફરી એકવાર ચિંતા વધારી છે. 12 ઓગસ્ટ, 2025ના રોજ અધિકારીઓએ જણાવ્યું કે, આદિવાસી બહુલ અમરપુર બ્લોકના બહેરા ગામના રહેવાસી સંતોષ ગૌતમના 6 વર્ષના પુત્ર અજયનું મૃત્યુ 6 ઓગસ્ટે જબલપુર મેડિકલ કોલેજમાં જાપાની એન્સેફેલાઇટિસને કારણે થયું હતું. ICMRના રિપોર્ટમાં આ બાળકના મૃત્યુનું કારણ આ ગંભીર વાયરસ હોવાનું સ્પષ્ટ થયું છે.
શું થયું હતું?
અમરપુર બ્લોકના મેલેરિયા અધિકારી જયશ્રી મરાવીએ જણાવ્યું કે, અજયને ગયા મહિને તેની બહેન સાથે રમતી વખતે પડી જતા ઇજા થઇ હતી. તેનો ડાબો પગ ફૂલી ગયો અને તેને તીવ્ર તાવ આવ્યો. પરિવારે પહેલા ડિંડોરીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી, પરંતુ હાલતમાં સુધારો ન થતાં તેને જિલ્લા હોસ્પિટલ લઇ જવાયો. ત્યાંથી ડોક્ટરોએ અજયને જબલપુર મેડિકલ કોલેજ રિફર કર્યો, જ્યાં ICMRની લેબમાં તપાસ દરમિયાન જાપાની એન્સેફેલાઇટિસનું નિદાન થયું.
અધિકારીઓએ જણાવ્યું કે, અજયની મોટી બહેન મધુને પણ તાવ હતો, પરંતુ તેનામાં જાપાની એન્સેફેલાઇટિસના લક્ષણો જોવા મળ્યા નથી. તેની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. મેલેરિયા વિભાગની ટીમે ગામની મુલાકાત લઇને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ગંદકી દૂર કરવા ગામમાં દવાનો છંટકાવ કરવાનો નિર્ણય લીધો છે.
જાપાની એન્સેફેલાઇટિસ શું છે?
જાપાની એન્સેફેલાઇટિસ એક ગંભીર વાયરલ ઝૂનોટિક બીમારી છે, જે મચ્છરના ડંખ દ્વારા ફેલાય છે. આ વાયરસ મગજમાં સોજો, કોમા અને લકવો જેવી ગંભીર સ્થિતિનું કારણ બની શકે છે. આ બીમારીના મુખ્ય લક્ષણોમાં થાક, માથાનો દુખાવો, તાવ અને ઉલટીનો સમાવેશ થાય છે. જો સમયસર સારવાર ન થાય તો તે જીવલેણ પણ બની શકે છે.
બચાવના ઉપાય
ડોક્ટરોના જણાવ્યા મુજબ, આ બીમારીથી બચવા માટે નીચેના ઉપાયો અપનાવો:
રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
મચ્છર ભગાડનાર ક્રીમ અથવા સ્પ્રેનો ઉપયોગ કરો.
ઘરની આસપાસ પાણી ભરાવા ન દો, જેથી મચ્છર ન જન્મે.
સ્વચ્છતા જાળવો અને ગંદકી દૂર કરો.
આ ઘટનાએ ફરી એકવાર આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટને જાગૃત કર્યા છે. જાપાની એન્સેફેલાઇટિસ જેવી જીવલેણ બીમારીથી બચવા જાગૃતિ અને નિવારણ ખૂબ જરૂરી છે.