Heart disease in young age: ગુજરાતમાં યુવાનોને કેમ આવી રહ્યાં છે હાર્ટ એટેક, શું છે તેના પાછળનું કારણ?
Heart disease in young age: ગુજરાતમાં નાની વયે હાર્ટની તકલીફના કેસમાં વધારો થયો છે. એક્સપર્ટ માને છે કે તમાકુ ચાવવાની આદત અને ફાસ્ટ ફૂડના વધુ પડતા વળગણના કારણે આવી તકલીફ વધી છે. આ ઉપરાંત લાઈઈફસ્ટાઈલ આદતો અને સ્ટ્રેસ પણ હાર્ટની સમસ્યા માટે જવાબદાર છે. આ વિશે લેટેસ્ટ સંશોધન શું કહે છે તે જાણો.
એક્સપર્ટની સલાહ છે કે દરરોજ થોડી શારિરીક પ્રવૃત્તિ કરવામાં આવે અને ખોરાકમાં બેલેન્સ જાળવવામાં આવે તો નાની વયે હાર્ટની સમસ્યાઓ ટાળી શકાય છે.
Heart disease in young age: કોવિડ પછી આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં યુવાન વયના લોકોમાં હૃદયની તકલીફના કેસ વધી ગયા છે. ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે ખુરશીમાં આરામથી બેસતી વખતે પણ હાર્ટ એટેક આવી ગયા હોય તેવા ઘણા કેસ બન્યા છે. ઘણા લોકો કોવિડની વેક્સિનને આ માટે જવાબદાર માને છે. તાજેતરમાં સરકારે પણ કહ્યું છે કે જેમને બહુ આકરો કોવિડ રહ્યો હોય તેમણે વધારે પડતું શ્રમવાળું કામ ન કરવું.
પરંતુ હાર્ટની તકલીફોના કારણે અચાનક મૃત્યુના કેસમાં વધારો કેમ થયો છે. અમદાવાદની યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીના સરવેમાં જાણવા મળ્યું છે કે તમાકુનું સેવન કરવાની ટેવ અને ખોરાકમાં વધુ પડતી ફેટ આ માટે જવાબદાર છે.
કાર્ડિયાક એરેસ્ટના 80 ટકા જેટલા કેસમાં કોરોનરી રક્તવાહિનીમાં બ્લોકેજનું કારણ જાણવા મળ્યું છે. બાકીના 20 ટકા કેસમાં જન્મજાત હાર્ટની બીમારી અથવા કાર્ડિયોમેયોપથીનું કારણ હોઈ શકે છે. અહીં એક વાત યાદ રાખો કે હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંને અલગ છે. હાર્ટને જ્યારે પૂરતા પ્રમાણમાં લોહી કે ઓક્સિજનનો પૂરવઠો ન મળે ત્યારે હાર્ટ એટેક આવી શકે છે. કેટલાક કેસમાં તે બહુ તીવ્ર હોઈ શકે છે. પરંતુ મોટા ભાગે દર્દીને ડોક્ટર સુધી લઈ જવાનો રિએક્શન ટાઈમ મળે છે.
યુએન મહેતાના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં 31થી 35 ટકા પેશન્ટમાં વધુ પડતી ચરબી અથવા તમાકુનું સેવન જવાબદાર હતું. ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ચિરાગ દોશીએ જણાવ્યું કે હાર્ટની બીમારી માટે 15થી 18 ટકા કેસમાં હાઈપરટેન્શન અને ડાયાબિટિસ, 12 ટકા કેસમાં પારિવારિક ઈતિહાસ, 7 ટકા કેસમાં સ્ટ્રેસ જવાબદાર હોય છે. ખાસ કરીને વ્યક્તિની લાઈફસ્ટાઈલ આવા કેસ માટે વધુ જવાબદાર હોય છે.
40 વર્ષથી નાની વયથી જ લોહીનું વહન કરતી ધમનીઓમાં સોફ્ટ પ્લેક જામવા લાગે છે અને 50 વર્ષ પછી કેલ્સિફિકેશન વધી જવાથી ધમનીઓ સાંકડી થઈ જાય છે. એક્સપર્ટની સલાહ છે કે દરરોજ થોડી શારિરીક પ્રવૃત્તિ કરવામાં આવે અને ખોરાકમાં બેલેન્સ જાળવવામાં આવે તો નાની વયે હાર્ટની સમસ્યાઓ ટાળી શકાય છે.
હૃદયને તંદુરસ્ત રાખવા માટે શું કરવું?
સૌથી પહેલા તો સ્ટ્રેસ ઘટાડી દો. જંક ફૂડ ખાવાનું બંધ કરો અને બેલેન્સ્ડ આહાર લો. રાતે પૂરતા પ્રમાણમાં ઉંઘ લો. લીલા પાંદડાવાળા શાકભાજી ખાવ, ફળ ખાવ. નિયમિત રીતે ચાલવા જાવ. ચરબી, મેંદાવાળો ખોરાક ટાળો. ધુમ્રપાન કે બીજી રીતે તમાકુનું સેવન બંધ કરો. 40 વર્ષની વય પછી નિયમિત ચેક અપ કરાવો.
અમદાવાદ સ્થિત કાર્ડિયોલોજિસ્ટ રાકેશ પોથીવાલાએ જણાવ્યું કે રેગ્યુલર રીતે ચેક-અપ કરવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે. ઘણી વખત લક્ષણોને સમજવામાં થાપ ખાઈ જવાય છે. છાતીના દુખાવાને લોકો એસિડિટી તરીકે ગણી લેતા હોય છે. કેટલીક વખત ઈસીજી રિપોર્ટ પણ નોર્મલ આવી શકે છે. તેથી નિયમિત રીતે એક કરતા વધુ ઈસીજી કરાવવા જોઈએ.