Maha Kumbh 2025: 130 કિમીની ઝડપે દોડશે ટ્રેનો, PM મોદી જનતાને આપવા જઈ રહ્યા છે ભેટ
પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ 2025 માટે ભારતીય રેલવેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. રેલવે બ્રિજ અને ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે. PM મોદી 13 ડિસેમ્બરે તેનું ઉદ્ઘાટન કરી શકે છે.
પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ 2025 માટે ભારતીય રેલવેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.
આવતા વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન થવાનું છે. જોકે, ભારતીય રેલ્વેએ મહાકુંભ માટે એક મહિના અગાઉથી જ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પ્રયાગરાજ મહાકુંભ માટે રેલવેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ 8 ડિસેમ્બરે પ્રયાગરાજ જશે. આ દરમિયાન રેલ્વે બોર્ડના સીઈઓ અને ચેરમેન સતીશ કુમાર પણ હાજર રહેશે. રેલ્વે મંત્રી મહાકુંભ 2025 માટે રેલ્વેની તૈયારીઓની સમીક્ષા કરશે. આ પછી પીએમ મોદી ગંગા રેલ બ્રિજ અને પ્રયાગરાજ-વારાણસી રેલ ટ્રેકનું ઉદ્ઘાટન કરશે.
મહાકુંભ 2025 માટે રેલવેનું બજેટ 950 કરોડ રૂપિયાથી વધુ છે. આ બજેટથી અનેક પુલ બનાવવામાં આવી રહ્યા છે અને પ્રયાગરાજ-વારાણસી વચ્ચે નવો રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે પ્રયાગરાજની મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન તેઓ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરશે.
ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે
મહાકુંભ 2025માં પ્રયાગરાજ અને વારાણસી વચ્ચેની ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ-વારાણસી રેલ ટ્રેક અને ગંગા રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ 8 ડિસેમ્બરે પ્રયાગરાજની મુલાકાત દરમિયાન પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે. ગંગા રેલ બ્રિજ, સીએમપી રેલ ઓવર બ્રિજ અને ઝુંસી રામબાગ ડબલ ટ્રેક તૈયાર છે. ગંગા રેલ બ્રિજ અને પ્રયાગરાજ, વારાણસી રેલ ટ્રેક ડબલિંગનું કામ ભારતીય રેલ્વેની સંસ્થા RVNL દ્વારા કરવામાં આવ્યું છે. ગંગા બ્રિજનું નિર્માણ કાર્ય 2019 માં શરૂ થયું હતું અને મહાકુંભ પહેલા તેમાંથી ટ્રેનોની અવરજવર શરૂ થશે. ગંગા રેલ બ્રિજ પ્રયાગરાજના દારાગંજને ઝુંસીથી જોડે છે, જે જૂના ઇજેટ બ્રિજનું સ્થાન લેશે.
દરરોજ 200 ટ્રેનો પસાર
પ્રયાગરાજમાં સીએમપી ડિગ્રી કોલેજ પાસેનો રેલ ઓવર બ્રિજ અને ઝુંસી અને રામબાગ વચ્ચેના ટ્રેકને પણ બમણો કરી આ રેલ લાઇન સાથે જોડવામાં આવ્યો છે. આ ટ્રેક પરથી દરરોજ 200 જેટલી ટ્રેનો પસાર થાય છે. આ ટ્રેક દ્વારા હવે દિલ્હી-કોલકાતા, હાવડા અને પ્રયાગરાજ કોલકાતા, પ્રયાગરાજ ગોરખપુર અને પ્રયાગરાજ પટના વચ્ચેની ટ્રેનોની ગતિ વધી જશે.