ઓમાન તટ પાસે કોમર્શિયલ શિપ પર હુમલો, 11 ભારતીયો હતા સવાર, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું
ઓમાનના તટ પાસે હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ શિપ 'GFS ગેલેક્સી' પર ડ્રોન હુમલો થયો છે. જહાજ પર 11 ભારતીયો સવાર હતા. ભારત સરકારે આ હુમલાની આકરી નિંદા કરી છે. જાણો લેટેસ્ટ અપડેટ.
આ હુમલા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચેનો સીધો જંગ માનવામાં આવે છે.અમેરિકી સેનાએ ફાઈટર જેટ્સ, ડ્રોન અને નૌકાદળના જહાજોનો ઉપયોગ કરીને ઈરાનના લગભગ 140 જેટલા સૈન્ય મથકો પર સચોટ હુમલા કર્યા છે.
મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ ફરી એકવાર ખૂબ જ તંગ બની ગઈ છે. ઓમાનના તટ પાસે એક કોમર્શિયલ શિપ પર ડ્રોન હુમલો થયો છે, જેમાં ભારતીયો પણ ફસાયા હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ચાલી રહેલા આ ઘર્ષણે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે.
'GFS ગેલેક્સી' જહાજ પર હુમલો અને ભારતીયોની સ્થિતિ
પ્રાપ્ત માહિતી અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા કોમર્શિયલ જહાજ 'GFS ગેલેક્સી' પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ પર 11 ભારતીય નાગરિકો સવાર હતા.રાહતના સમાચાર એ છે કે હુમલા બાદ 10 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે, 1 ભારતીય નાગરિક હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ઓમાનની સરકારી ન્યૂઝ એજન્સીએ માહિતી આપી છે કે આ ડ્રોન હુમલા ઉત્તર-પૂર્વ ઓમાનના વિસ્તારોમાં થયા હતા. અગાઉ ઈરાને ઓમાન પર હુમલાનો દાવો કર્યો હતો, પરંતુ ઓમાન પ્રશાસને તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
ભારતના વિદેશ મંત્રાલયનું કડક નિવેદન
ભારત સરકારે આ ઘટનાની અત્યંત આકરી નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે પોતાનું સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, "અમે ઓમાનના તટ પાસે 'GFS ગેલેક્સી' પર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડીએ છીએ. લાપતા ભારતીય નાગરિકની શોધખોળ અને બચાવ કામગીરી માટે અમે ઓમાનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ." "ઓમાનમાં આવેલી અમારી ભારતીય એમ્બેસી આ સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. અમે સહકાર આપવા બદલ ઓમાન સરકારનો આભાર માનીએ છીએ."
મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે, આ વિસ્તારમાં કોમર્શિયલ જહાજો પર સતત થઈ રહેલા હુમલા ખૂબ જ ચિંતાનો વિષય છે. અમે તમામ દેશોને અપીલ કરીએ છીએ કે તણાવ ઘટાડીને કૂટનીતિ દ્વારા ઉકેલ લાવવામાં આવે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ વેપારી જહાજોની અવરજવર કોઈપણ જાતની અડચણ વિના ચાલુ રહેવી જોઈએ અને આમ નાગરિકોને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ.
અમેરિકા અને ઈરાન વચ્ચે ભડકી ઉઠી આગ
આ હુમલા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચેનો સીધો જંગ માનવામાં આવે છે.અમેરિકી સેનાએ ફાઈટર જેટ્સ, ડ્રોન અને નૌકાદળના જહાજોનો ઉપયોગ કરીને ઈરાનના લગભગ 140 જેટલા સૈન્ય મથકો પર સચોટ હુમલા કર્યા છે. આના વળતા જવાબમાં, ઈરાને પણ બહેરીન, કુવૈત, કતાર અને UAE માં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર હુમલા કરવાનું શરૂ કરી દીધું છે.
કતાર અને UAE માં સાયરન વાગ્યા
પાડોશી દેશ કતારમાં જોરદાર બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો, જેના થોડા જ સમયમાં આખા કતારમાં મિસાઈલ હુમલાના સાયરન વાગવા લાગ્યા હતા. જોકે, કતારની સેનાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેમણે ઈરાન તરફથી આવતી મિસાઈલોને હવામાં જ સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી છે. આ સ્થિતિને જોતા સંયુક્ત આરબ અમીરાતએ પણ મિસાઈલ અને ડ્રોન હુમલાની ચેતવણી જારી કરી દીધી છે.