જમ્મુ-કાશ્મીરમાં દરેક પરિવારને મળશે યુનિક ફેમિલી આઈડી, જાણો આ કાર્ડ શા માટે બનાવાઇ રહ્યું છે આ કાર્ડ
ફેમિલી આઈડીનો પ્રાથમિક ધ્યેય જમ્મુ-કાશ્મીરના દરેક પરિવારનો એક પ્રમાણિત અને ચકાસાયેલ ડેટાબેસ તૈયાર કરવાનો છે. આ ડેટાબેસ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ઍક્ટ હેઠળની પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ (PDS) અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવા હાલના ડેટાસેટનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે.
આ યોજનાને અમલમાં મૂકવા માટે એક સમર્પિત ટેકનિકલ ટીમની રચના કરવામાં આવશે, જેમાં માહિતી ટેક્નોલોજી વિભાગની મહત્વની ભૂમિકા રહેશે.
જમ્મુ-કાશ્મીર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશના દરેક પરિવાર માટે યુનિક ફેમિલી આઈડી શરૂ કરવાની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સરકારી સેવાઓની ડિલિવરીને સરળ બનાવવી, લાભાર્થીઓ સુધી યોજનાઓની પહોંચ વધારવી અને સરકારી વિભાગો માટે વિશ્વસનીય ડેટાબેસ તૈયાર કરવાનો છે. આ યોજનાને ઝડપથી અમલમાં મૂકવા માટે સરકારે એક મજબૂત વ્યૂહરચના તૈયાર કરી છે.
ફેમિલી આઈડી શા માટે બનાવવામાં આવી રહ્યું છે?
શ્રીનગરના સિવિલ સચિવાલયમાં મુખ્ય સચિવ અટલ દુલ્લુની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં આ યોજનાનો પાયો નાખવામાં આવ્યો. બેઠકમાં નાણાં, માહિતી ટેક્નોલોજી, આયોજન, વિકાસ અને નિરીક્ષણ વિભાગોના પ્રમુખ સચિવો સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા. દુલ્લુએ જણાવ્યું કે, ફેમિલી આઈડી દ્વારા સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી યોગ્ય રીતે પહોંચશે અને દરેક પાત્ર નાગરિકને તેમનો હક મળી રહેશે. આ પગલું વહીવટને વધુ જવાબદાર અને પારદર્શી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
યોજનાનો ઉદ્દેશ અને લાભ
ફેમિલી આઈડીનો પ્રાથમિક ધ્યેય જમ્મુ-કાશ્મીરના દરેક પરિવારનો એક પ્રમાણિત અને ચકાસાયેલ ડેટાબેસ તૈયાર કરવાનો છે. આ ડેટાબેસ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ઍક્ટ હેઠળની પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ (PDS) અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવા હાલના ડેટાસેટનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. આ આઈડી કાર્ડ દ્વારા સરકાર સબસિડીવાળું રાશન, મફત ચિકિત્સા, વૃદ્ધાવસ્થા/વિધવા પેન્શન, ઉગ્રવાદથી પીડિતો માટે સહાય અને શિષ્યવૃત્તિ જેવી કલ્યાણકારી યોજનાઓને સીધા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં સક્ષમ બનશે.
આયોજન, વિકાસ અને નિરીક્ષણ વિભાગના સચિવ તલત પરવેઝે જણાવ્યું કે, આ સિસ્ટમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને મિનિમમ માનવીય હસ્તક્ષેપ સાથે સરળ બનાવશે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં આવી ઇન્ટિગ્રેટ સિસ્ટમની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, આ યોજના નાગરિકોને સરકારી યોજનાઓની પહોંચમાં આવતી મુશ્કેલીઓને ઘટાડશે.
ટેક્નોલોજીની મદદથી પૂર્ણ થશે પ્રોજેક્ટ
આ યોજનાને અમલમાં મૂકવા માટે એક સમર્પિત ટેકનિકલ ટીમની રચના કરવામાં આવશે, જેમાં માહિતી ટેક્નોલોજી વિભાગની મહત્વની ભૂમિકા રહેશે. આઈટી સચિવ પીયૂષ સિંગલાએ જણાવ્યું કે, તેમના વિભાગ પાસે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પૂરતાં સંસાધનો અને ટેકનિકલ નિપુણતા ઉપલબ્ધ છે. ડેટા અપડેટ અને સુધારણા માટે ભવિષ્યમાં પણ જોગવાઈઓ કરવામાં આવશે, જેથી પરિવારોની માહિતી નિયમિત રીતે એડવાન્સ્ડ થઈ શકે.
વારંવાર દસ્તાવેજ બનાવવાની ઝંઝટ ખતમ
બેઠકમાં ચર્ચા દરમિયાન એવું પણ નોંધાયું કે, અનેક સરકારી વિભાગો દ્વારા વારંવાર એક જ દસ્તાવેજો અને ચકાસણી પ્રક્રિયાની માગણી નાગરિકો પર બોજ બની રહી છે. ફેમિલી આઈડી આ સમસ્યાનું સમાધાન કરશે, કારણ કે તે માહિતીનો એકમાત્ર અને અધિકૃત સ્ત્રોત બનશે. આનાથી માત્ર પ્રક્રિયાઓ જ સરળ નહીં થાય, પરંતુ સરકારી સંસાધનોનો પણ વધુ સારો ઉપયોગ થઈ શકશે.
વિપક્ષની ચિંતાઓ અને સરકારનો જવાબ
આ યોજનાને લઈને વિપક્ષી દળોએ કેટલીક ચિંતાઓ વ્યક્ત કરી છે. કેટલાક નેતાઓએ આને કાશ્મીરીઓ પર નજર રાખવાનું એક સાધન ગણાવીને ટીકા કરી છે. તેમનું કહેવું છે કે, આ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન બની શકે છે. જોકે, સરકારે આ ચિંતાઓને નકારી કાઢીને સ્પષ્ટ કર્યું છે કે, આ યોજનાનો ઉદ્દેશ ફક્ત સેવાઓને સુધારવી અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે.