નારાયણ મૂર્તિનું મોટું નિવેદન: 'યુવાનોએ AI થી ડરવાની જરૂર નથી, બસ તેને શીખવું પડશે'
ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર. નારાયણ મૂર્તિએ યુવાનોને AI થી ન ડરવા સલાહ આપી છે. તેમણે કહ્યું કે સ્માર્ટ લોકો માટે આ ટેકનોલોજી ફાયદાકારક છે અને તેનાથી કામની ક્વોલિટી સુધરશે.
નારાયણ મૂર્તિએ પોતાના અનુભવના આધારે કહ્યું કે, "પ્રોડક્ટિવિટી વધારવા માટે જેનરેટિવ AI નો ઉપયોગ કરવાનો મારો અનુભવ સારો રહ્યો છે.
અત્યારે ટેકનોલોજીની દુનિયામાં ચારેબાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચર્ચા છે. ઘણા લોકોને એવો ડર સતાવી રહ્યો છે કે AI આવવાથી નોકરીઓ જતી રહેશે. ખાસ કરીને IT સેક્ટર અને ઓફિસમાં બેસીને થતા કામોમાં રોબોટ કે સોફ્ટવેર માણસની જગ્યા લઈ લેશે તેવી ચિંતા છે. જોકે, દિગ્ગજ ટેક કંપની ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર. નારાયણ મૂર્તિ આ બાબતે અલગ મત ધરાવે છે.
મનીકંટ્રોલ સાથેની ખાસ વાતચીતમાં નારાયણ મૂર્તિએ સ્પષ્ટ કહ્યું છે કે, આ નવી ટેકનોલોજીથી ગભરાવાની જરૂર નથી, પણ તેને અપનાવવાની જરૂર છે.
'સ્માર્ટ લોકો માટે દુનિયા ખતમ નથી થવાની'
નારાયણ મૂર્તિએ પોતાના અનુભવના આધારે કહ્યું કે, "પ્રોડક્ટિવિટી વધારવા માટે જેનરેટિવ AI નો ઉપયોગ કરવાનો મારો અનુભવ સારો રહ્યો છે. મને લાગે છે કે સ્માર્ટ લોકો માટે આ ટેકનોલોજી વરદાન સમાન છે. તેનાથી કામની ક્વોલિટી સુધરે છે અને ઝડપ પણ વધે છે."
તેમણે યુવાનોને સલાહ આપતા કહ્યું કે, તેમણે ચિંતા છોડીને આ ટેકનોલોજીને જાણવી અને શીખવી જોઈએ. તેમના મતે, જે લોકો સ્માર્ટ અને મહેનતુ છે, તેમના માટે કંઈ દુનિયા ખતમ થવા નથી જઈ રહી. ઉલટાનું, તમે તમારા કામકાજમાં મદદ માટે AI નો ઉપયોગ કરી શકો છો. આ ટેકનોલોજી જલ્દી શીખીને નવા આઈડિયાઝ પર કામ કરી શકાય છે.
નવું શીખવાની ક્ષમતા જ સફળતાની ચાવી
ઇન્ફોસિસના કો-ફાઉન્ડર હંમેશા શીખતા રહેવા પર ભાર મૂકે છે. તેમણે પહેલા પણ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દુનિયામાં વસ્તુઓ બદલાતી રહે છે, પણ આ બદલાવ વચ્ચે જે વ્યક્તિમાં 'નવું શીખવાની ક્ષમતા' હોય છે, તે જ ટકી રહે છે. દરેક પ્રોફેશનલની સફળતામાં તેની શીખવાની ધગશ મોટો ભાગ ભજવે છે. તેથી જ AI ને એક પડકાર નહીં પણ એક સ્કિલ તરીકે જોવી જોઈએ.
કલાકોનું કામ હવે મિનિટોમાં
એક્સપર્ટ્સનું માનવું છે કે AI કામ કરવાની રીતમાં ક્રાંતિકારી બદલાવ લાવી રહ્યું છે. આ ટેકનોલોજીની સ્પીડ માણસ કરતા અનેકગણી વધારે છે. જે કામ કરતા માણસને કદાચ દિવસો લાગી જાય, તે કામ AI ટૂલ્સ મિનિટોમાં પૂરું કરી શકે છે. આ જ કારણ છે કે હાલમાં જે લોકો પાસે AI સ્કિલ્સ છે, તેમની ડિમાન્ડ વધી રહી છે.
તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી 'AI ઇમ્પેક્ટ સમિટ'માં પણ નિષ્ણાતોએ આ ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે AI પર દરેકનો હક હોવો જોઈએ અને તેનો ફાયદો બધાને મળવો જોઈએ.