Rs 2000 currency note: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં લોકોને 2000 રૂપિયાની નોટ બેન્કમાં ડિપોઝિટ કરાવવા અથવા એક્સચેન્જ કરાવી લેવા જણાવ્યું હતું, પરંતુ કરોડો રૂપિયાની નોટ હજુ પાછી નથી આવી. 2000ની નોટ બદલવાની છેલ્લી તારીખ પણ વીતી ગઈ છે ત્યારે રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે 9760 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની નોટો હજુ લોકો પાસે પડેલી છે. આ નોટો કોઈ જમા કરાવવા કે બદલાવવા માટે આવ્યું નથી.
ચાલુ વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લીધી હતી અને લોકોને નોટ જમા કરાવવા અથવા બદલાવી લેવા માટે અમુક મહિનાનો સમય આપ્યો હતો. આરબીઆઈના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 2000 રૂપિયાની 97.26 ટકા નોટ પરત આવી ગઈ છે જ્યારે બાકીની નોટો હજુ લોકો પાસે છે પરંતુ તેઓ ડિપોઝિટ કરાવવા માટે નથી આવ્યા.
અંતે તે ધારણા પ્રમાણે જ થયું. થોડા સમય માટે બેન્કના એટીએમમાંથી 2000ની નોટ નીકળતી બંધ થઈ. ત્યાર પછી વિધિવત રીતે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવામાં આવી અને લોકોને આ નોટ બેન્કોમાં ડિપોઝિટ કરવા અથવા એક્સચેન્જ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. નોટ બદલાવવા અથવા ડિપોઝિટ કરવા માટેની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર 2023 સુધી હતી.
જોકે, આરબીઆઈની 19 ઓફિસ પર નોટને એક્સચેન્જ કરવાની સુવિધા ચાલુ છે. 9 ઓક્ટોબર 2023થી રિઝર્વ બેન્ક 2000 રૂપિયાની નોટને એક્સચેન્જ કરી આપવા ઉપરાંત બેન્ક ખાતામાં ડિપોઝિટ કરવા માટે પણ સ્વીકારે છે. આરબીઆઈએ તેના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ ઈન્ડિયા પોસ્ટ દ્વારા કોઈ પણ પોસ્ટ ઓફિસ પરથી 2000 રૂપિયાની નોટને કોઈ પણ આરબીઆઈની ઓફિસ પર મોકલાવીને પોતાના બેન્ક ખાતામાં જમા કરાવી શકે છે.