Atal Pension Yojana: ગુજરાતમાં કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના (APY) હેઠળ નોંધણી 29.51 લાખને વટાવી ગઈ છે. જાણો છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ઝડપી વૃદ્ધિ, રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું સ્થાન અને આ યોજનાના મુખ્ય લાભો વિશેની સંપૂર્ણ વિગત.
ગુજરાતમાં કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના (APY) હેઠળ નોંધણી 29.51 લાખને વટાવી ગઈ છે.
Atal Pension Yojana: કેન્દ્ર સરકાર દ્વારા વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડવાના ઉમદા હેતુથી શરૂ કરાયેલી મહત્વાકાંક્ષી 'અટલ પેન્શન યોજના' (APY) એ ગુજરાતમાં નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી છે. વર્ષ 2015માં યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 29.51 લાખ નાગરિકો આ સુરક્ષા કવચ હેઠળ જોડાયા છે. આ પ્રભાવશાળી આંકડા સાથે, ગુજરાત લાભાર્થીઓની સંખ્યાના મામલે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 11મું સ્થાન ધરાવે છે.
તાજેતરના વર્ષોમાં આ યોજના પ્રત્યે લોકોમાં જાગૃતિ ખૂબ જ ઝડપથી વધી છે, જે આંકડા પરથી સ્પષ્ટપણે દેખાય છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ગુજરાતમાં કુલ નોંધાયેલા લાભાર્થીઓમાંથી અડધાથી વધુ, એટલે કે 17.25 લાખ (58.5% થી વધુ) લોકો છેલ્લા પાંચ વર્ષમાં 2021-22થી 2025-26, 31 ઓક્ટોબર 2025 સુધી જ જોડાયા છે. આ આંકડો દર્શાવે છે કે યોજનાના પ્રચાર-પ્રસાર અને લોકોના સકારાત્મક પ્રતિભાવને કારણે તેની ગતિમાં તીવ્ર વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં 31 ઓક્ટોબર 2025 સુધીમાં 2.43 લાખ નવા સભ્યો ઉમેરાયા છે, જ્યારે ગત વર્ષ 2024-25માં 3.68 લાખ અને 2023-24માં 3.89 લાખ લોકોએ આ યોજના અપનાવી હતી.
જોકે, ગુજરાતમાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ છતાં, કુલ લાભાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ રાજ્ય હજુ પણ દેશના કેટલાક મોટા રાજ્યોથી પાછળ છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ 1.35 કરોડ, મહારાષ્ટ્ર 80.42 લાખ અને બિહાર 73.44 લાખ જેવા રાજ્યો ગુજરાત કરતાં આગળ છે.
રાષ્ટ્રીય સ્તરે, 9 મે 2015ના રોજ શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 8.34 કરોડથી વધુ નાગરિકો જોડાઈ ચૂક્યા છે. એક નોંધપાત્ર અને સકારાત્મક પરિવર્તન લિંગ સમાનતામાં જોવા મળ્યું છે. વર્ષ 2015-16માં જ્યાં મહિલાઓની ભાગીદારી માત્ર 38% હતી, તે ચાલુ વર્ષમાં વધીને 55% થઈ ગઈ છે. આજે દેશભરમાં 4.29 કરોડથી વધુ પુરુષો, 4.04 કરોડ મહિલાઓ અને 24,809 ટ્રાન્સજેન્ડર નાગરિકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
અટલ પેન્શન યોજના શું છે અને કોણ લાભ લઈ શકે?
આ સરકાર સમર્થિત પેન્શન યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો અને ઓછી આવક ધરાવતા વર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. 18થી 40 વર્ષની વયજૂથનો કોઈપણ ભારતીય નાગરિક, જેની પાસે બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોય, તે આ યોજનામાં જોડાઈ શકે છે. આ યોજના હેઠળ, સબ્સ્ક્રાઇબર દ્વારા કરવામાં આવેલા રોકાણ અને ઉંમરના આધારે 60 વર્ષની વય પૂર્ણ થયા પછી દર મહિને 1,000થી 5,000 સુધીનું નિશ્ચિત પેન્શન મળવાની ખાતરી આપવામાં આવે છે. યોજના મુજબ પ્રથમ પેન્શનની ચૂકવણી વર્ષ 2035થી શરૂ થવાની ધારણા છે.