આ યોજના ગરીબ પરિવારોને ઘરેલું રસોઈ ગેસ કનેક્શન પર સબસિડી આપીને સ્વચ્છ અને સસ્તું ઇંધણ પૂરું પાડે છે
PM Ujjwala Yojana: કેન્દ્ર સરકારની કેબિનેટે શુક્રવારે ગરીબ અને વંચિત પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી. વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ વર્ષ 2025-26 માટે 12,000 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના ગરીબ પરિવારોને ઘરેલું રસોઈ ગેસ કનેક્શન પર સબસિડી આપીને સ્વચ્છ અને સસ્તું ઇંધણ પૂરું પાડે છે, જેનાથી લાખો ઘરોમાં જીવનશૈલી સુધરશે.
આ ઉપરાંત કેબિનેટે રાજ્ય સંચાલિત તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ—ને એલપીજીના નુકસાનની ભરપાઈ માટે 30,000 કરોડ રૂપિયાની સબસિડી મંજૂર કરી છે. છેલ્લા 15 મહિનાથી આ કંપનીઓ એલપીજીને ખર્ચ કરતાં ઓછી કિંમતે વેચી રહી હતી, જેના કારણે તેમને નોંધપાત્ર નુકસાન થયું હતું. સરકારી નિવેદન મુજબ, આ સબસિડીની રકમ 12 હપ્તામાં ચૂકવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીની કિંમતોમાં વધઘટ
2024-25 દરમિયાન એલપીજીની આંતરરાષ્ટ્રીય કિંમતો ઊંચી રહી હતી. જોકે, ગ્રાહકોને આ વધતા ખર્ચનો બોજ ન પડે તે માટે સરકારે ઘરેલું એલપીજીની કિંમતોમાં વધારો નહોતો કર્યો, જેના કારણે તેલ કંપનીઓને નુકસાન સહન કરવું પડ્યું. આ સબસિડી આ નુકસાનની ભરપાઈ કરશે.
ટેકનિકલ એજ્યુકેશનમાં સુધારા માટે પગલાં
સબસિડીની સાથે, કેબિનેટે ટેકનિકલ એજ્યુકેશનમાં સુધારા માટે પણ મહત્વના નિર્ણયો લીધા. સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન અને રિસર્ચ ઇમ્પ્રૂવમેન્ટ સ્કીમ હેઠળ 275 ટેકનિકલ સંસ્થાઓને સામેલ કરવામાં આવશે, જે દેશના શૈક્ષણિક ક્ષેત્રને મજબૂત કરશે.
કોણ લઈ શકે છે ઉજ્જવલા યોજનાનો લાભ?
પીએમ ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન મેળવવા માટે અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. એક જ ઘરમાં કોઈ અન્ય તેલ કંપનીનું એલપીજી કનેક્શન ન હોવું જોઈએ. આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), અતિ પછાત વર્ગ, અંત્યોદય અન્ન યોજના, ચા અને પૂર્વ ચા બાગાન જનજાતિઓ, વનવાસીઓ, દ્વીપ અને નદી દ્વીપ વિસ્તારોમાં રહેતા લોકો, SECC પરિવારો (AHL TIN) અથવા 14-સૂત્રી ઘોષણા હેઠળના ગરીબ પરિવારોને મળશે.