મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ આવકવેરાદાતાઓને વહેલી તકે રિટર્ન ફાઇલ કરવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે નાણા મંત્રાલય 31 જુલાઈની સમયમર્યાદા લંબાવવાનું વિચારી રહ્યું નથી. મલ્હોત્રાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "અમે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ રિટર્ન ભરવાની અપેક્ષા રાખીએ છીએ. અમને આશા છે કે તે ગયા વર્ષ કરતાં વધુ રહેશે." ગયા વર્ષે 31 જુલાઈ સુધી લગભગ 5.83 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. એસેસમેન્ટ વર્ષ 2022-23 માટે રિટર્ન ભરવાનો આ છેલ્લો દિવસ હતો.
મહેસૂલ સચિવે બીજું શું કહ્યું?
ટેક્સ વસૂલાતના ટાર્ગેટ અંગે મલ્હોત્રાએ કહ્યું હતું કે તે 10.5 ટકા ગ્રોથના ટાર્ગેટને અનુરૂપ છે. મલ્હોત્રાએ કહ્યું કે જ્યાં સુધી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની ગ્રોથની વાત છે, તે અત્યાર સુધીમાં 12 ટકા છે. જોકે, રેટ કટને કારણે એક્સાઈઝ ડ્યુટી મોરચે ગ્રોથ દર 12 ટકાથી ઓછો છે. વાસ્તવમાં તે અત્યારે નેગેટિવ છે અને એકવાર ટેક્સ રેટ કટની અસર બંધ થઈ જાય પછી લક્ષ્ય હાંસલ થવાની અપેક્ષા છે, એમ તેમણે જણાવ્યું હતું. સામાન્ય બજેટ 2023-24 મુજબ, સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં 33.61 લાખ કરોડ રૂપિયાનો ગ્રોસ ટેક્સ વસૂલ કરે તેવી અપેક્ષા છે.