Note Exchange: 2000 રૂપિયાની નોટો બદલવાની પ્રોસેસ આજથી શરૂ થઈ ગઈ છે. તમે બેન્કની કોઈપણ શાખામાં જઈને તમારી રૂપિયા 2,000ની નોટ બદલી શકો છો. ભારતીય રિઝર્વ બેન્કે આ માટે ગાઇડલાઇન જાહેર કરી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પહેલા દિવસે નોટ બદલાવનારાઓની ભીડ જોવા મળી શકે છે. 3 દિવસ પહેલા 19 મેના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. કસ્ટમર્સ 30 સપ્ટેમ્બર સુધી બેન્કોમાં 2000ની નોટ બદલાવી અથવા એકાઉન્ટમાં જમા કરાવી શકશે.
RBIની સમયમર્યાદા પછી પણ 2000ની નોટ કાયદેસર રહેશે. એટલે કે હાલની નોટો અમાન્ય રહેશે નહીં. લોકોને આ નોટો જલ્દીથી બેન્કોમાં પરત કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે જ અંતિમ તારીખ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં 500 અને 1000 રૂપિયાની નોટબંધી બાદ 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હતી.
રિઝર્વ બેન્કે સ્પષ્ટ કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેન્કમાં કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. તેમજ કોઈ ઓળખ પત્રની જરૂર પડશે નહીં. તમે એક સમયે 10 નોટો જે 2000 રૂપિયાની છે તે બદલી શકો છો. ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી રૂપિયા 2000ની નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાશે. 20,000 રૂપિયા સુધીની 2000ની નોટો એક સાથે બેન્કોમાં સરળતાથી બદલી શકાશે. તે જ સમયે, બેન્ક એકાઉન્ટમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની કોઈ મર્યાદા નથી. પરંતુ આ માટે બેન્ક ડિપોઝીટના નિયમોનું પાલન કરવું પડશે. RBIએ સ્પષ્ટપણે કહ્યું છે કે કસ્ટમર્સ તેમની કરન્સી બદલવા માટે કોઈપણ બેન્કમાં જઈ શકે છે. નોટ બદલવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.
પેટ્રોલ પંપ પર રોકડની તંગી
RBIની જાહેરાત બાદ ઘણા કસ્ટમર્સએ પેટ્રોલ પંપ પર 2000ની નોટો ખર્ચવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને RBIને અપીલ કરી છે કે કસ્ટમર્સ 2000ની નોટના બદલામાં છૂટક નાણાં પરત કરતા હોવાથી રોકડની અછત સર્જાઈ છે. લોકોએ 2000 રૂપિયાની નોટ ખર્ચવા માટે ડિજિટલ પેમેન્ટ પણ ઘટાડી દીધું છે. લોકો તેલ રેડીને 2000 રૂપિયાની નોટો આપી રહ્યા છે, જેના કારણે ઘણા પેટ્રોલ પંપ પર છૂટક રોકડની ભારે અછત સર્જાઈ છે.