Budget 2026: નિર્મલા સીતારમણની 'ડ્રીમ ટીમ' તૈયાર, જાણો કોણ છે બજેટ બનાવનારા આ 6 'માસ્ટરમાઈન્ડ' અધિકારીઓ?
Union Budget India: 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ 2026 માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણની ટીમ સજ્જ છે. જાણો અનુરાધા ઠાકુર સહિત તે ટોચના અધિકારીઓ વિશે જે દેશના આર્થિક ભવિષ્યનો નકશો તૈયાર કરી રહ્યા છે.
બજેટમાં સામાન્ય માણસ જેની સૌથી વધુ રાહ જુએ છે, તે ટેક્સના નિયમો નક્કી કરવાની જવાબદારી અરવિંદ શ્રીવાસ્તવની છે. બજેટ ભાષણનો ‘Part-B’ (કર પ્રસ્તાવ) તેમની ટીમ તૈયાર કરે છે.
Union Budget India: ભારત સરકાર આવનારા નાણાકીય વર્ષ માટે બજેટની તૈયારીઓમાં લાગી ગઈ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ સતત 9મું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જે એક મોટો રેકોર્ડ છે. આ બજેટ 1 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ ત્રીજું પૂર્ણ બજેટ હશે.
દેશનો આર્થિક વિકાસ દર 7.4 ટકા રહેવાનો અંદાજ છે અને દુનિયાભરમાં ભૌગોલિક તણાવ ચાલી રહ્યો છે, ત્યારે આ બજેટ ખૂબ જ મહત્વનું બની જાય છે. જોકે, બજેટ રજૂ ભલે નાણા મંત્રી કરે, પરંતુ તેની પાછળ દિવસ-રાત મહેનત કરનારી અધિકારીઓની એક અનુભવી ટીમ હોય છે. ચાલો જાણીએ આ વખતે બજેટ તૈયાર કરવામાં કયા ટોચના અધિકારીઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
1. અનુરાધા ઠાકુર (સચિવ, આર્થિક બાબતો)
અનુરાધા ઠાકુર આ બજેટના મુખ્ય શિલ્પકાર (Main Architect) છે. હિમાચલ પ્રદેશ કેડરના 1994 બેચના IAS અધિકારી અનુરાધા ઠાકુર બજેટ ડિવિઝનના વડા છે. વિભાગના પ્રમુખ તરીકે સંસાધનોની ફાળવણી કરવી અને 2026-27 માટે આર્થિક માળખું નક્કી કરવાની જવાબદારી તેમના શિરે છે. તેમણે 1 જુલાઈ, 2025ના રોજ આ વિભાગનો ચાર્જ સંભાળ્યો હતો, તેથી આ તેમનું પહેલું બજેટ હશે. ખાસ વાત એ છે કે તેઓ આ વિભાગનું નેતૃત્વ કરનારા પ્રથમ મહિલા IAS અધિકારી છે.
2. અરવિંદ શ્રીવાસ્તવ (મહેસૂલ સચિવ)
બજેટમાં સામાન્ય માણસ જેની સૌથી વધુ રાહ જુએ છે, તે ટેક્સના નિયમો નક્કી કરવાની જવાબદારી અરવિંદ શ્રીવાસ્તવની છે. બજેટ ભાષણનો ‘Part-B’ (કર પ્રસ્તાવ) તેમની ટીમ તૈયાર કરે છે. તેઓ ઈન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ અને જીએસટી તથા કસ્ટમ ડ્યુટીનું કામ સંભાળે છે. મહેસૂલ સચિવ તરીકે આ તેમનું પહેલું બજેટ છે, પરંતુ તેઓ અગાઉ નાણા મંત્રાલયમાં બજેટ ડિવિઝનમાં સંયુક્ત સચિવ રહી ચૂક્યા છે અને PMOમાં પણ કામ કરી ચૂક્યા છે. કસ્ટમ અને TDSના નિયમોને સરળ બનાવવામાં તેમની ભૂમિકા મહત્વની રહેશે.
3. વુમલુનમંગ વુઅલનામ (ખર્ચ સચિવ)
સરકારી તિજોરીના રક્ષક તરીકે ઓળખાતા વુમલુનમંગ વુઅલનામ સરકારી ખર્ચ પર નજર રાખે છે. સબસિડીને તર્કસંગત બનાવવી અને કેન્દ્ર સરકારની યોજનાઓ યોગ્ય રીતે લાગુ થાય તે જોવાનું કામ તેમનું છે. રાજકોષીય ખાધ (Fiscal Deficit) કંટ્રોલમાં રહે અને નાણાકીય શિસ્ત જળવાય તે માટે તેઓ માર્ગદર્શન આપે છે.
4. એમ. નાગરાજૂ (નાણાકીય સેવા સચિવ)
બેંકો, વીમા કંપનીઓ અને પેન્શન સિસ્ટમની તંદુરસ્તી તપાસવાનું કામ એમ. નાગરાજૂના વિભાગનું છે. સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓ અને નાણાકીય સમાવેશ (Financial Inclusion) જેવા કામો આ વિભાગ સંભાળે છે. લોનની વૃદ્ધિ, ડિજિટલાઈઝેશન અને સરકારી બેંકોની સ્થિતિ સુધારવામાં આ વિભાગ મદદરૂપ થાય છે.
5. અરુનિષ ચાવલા (DIPAM સચિવ)
સરકાર કઈ કંપનીઓમાંથી હિસ્સો વેચશે (Disinvestment) અને ખાનગીકરણની પ્રક્રિયા કેવી રહેશે, તે નક્કી કરવાની જવાબદારી અરુનિષ ચાવલાની છે. સરકારી કંપનીઓ (CPSEs) માંથી હિસ્સો વેચીને જે રકમ ભેગી કરવાની હોય છે, તેનું મેનેજમેન્ટ DIPAM વિભાગ કરે છે.
6. કે. મોસેસ ચલાઈ (જાહેર સાહસ સચિવ)
સરકારી કંપનીઓનું જે મૂડી ખર્ચ હોય છે અને બજેટમાં ફાળવાયેલા રૂપિયાનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં, તે જોવાની જવાબદારી કે. મોસેસ ચલાઈની છે. તેમનો વિભાગ સરકારી કંપનીઓની આર્થિક તંદુરસ્તી અને એસેટ મોનેટાઈઝેશન પર ધ્યાન આપે છે.
મુખ્ય આર્થિક સલાહકારની ભૂમિકા
આ 6 મુખ્ય અધિકારીઓ ઉપરાંત, મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરનનું કાર્યાલય પણ બજેટમાં મહત્વના ઇનપુટ આપે છે. તેઓ આર્થિક વિકાસનું અનુમાન લગાવે છે, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના પ્રદર્શનનું વિશ્લેષણ કરે છે અને વૈશ્વિક જોખમો વિશે નાણા મંત્રીને સલાહ આપે છે. આમ, નિર્મલા સીતારમણની આ ટીમ દેશના અર્થતંત્રને નવી દિશા આપવા માટે સજ્જ છે.