Budget 2026: મિડલ ક્લાસને મળશે મોટી રાહત? સેવિંગ્સ અને FDના વ્યાજ પર ટેક્સમાં ફેરફારની પ્રબળ શક્યતા
Budget 2026માં શું મિડલ ક્લાસ અને સિનિયર સિટીઝન્સને ટેક્સમાં રાહત મળશે? મોંઘવારી વચ્ચે સેવિંગ્સ અને FDના વ્યાજ પર ટેક્સ છૂટની લિમિટ વધવાની આશા છે. જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય.
જો સરકાર ટેક્સ છૂટની લિમિટમાં વધારો કરે છે, તો તેનો સીધો અને સૌથી મોટો ફાયદો નિવૃત્ત લોકો એટલે કે સિનિયર સિટીઝન્સને થશે.
Budget 2026: ભારતમાં સામાન્ય માણસ માટે બેંકમાં જમા કરેલા રૂપિયા માત્ર બચત નથી, પણ મુસીબતના સમયનો સાચો સાથી છે. ખાસ કરીને મિડલ ક્લાસ અને નિવૃત્ત (Retired) લોકો માટે સેવિંગ્સ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)એ રોકાણનું સૌથી સુરક્ષિત માધ્યમ છે. જેમ જેમ Budget 2026 નજીક આવી રહ્યું છે તેમ, લોકોની અપેક્ષાઓ વધી રહી છે. શું આ વખતે સરકાર વ્યાજ પર લાગતા ટેક્સમાં કોઈ રાહત આપશે? ચાલો વિગતે સમજીએ.
મોંઘવારી વધી પણ ટેક્સના નિયમો જૂના!
આજના સમયમાં મેડિકલ ખર્ચ, ઘરખર્ચ અને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. મોટાભાગના ભારતીય પરિવારો માટે બેંકમાં પડેલા પૈસા પર મળતું વ્યાજ એ કોઈ વધારાની કમાણી નથી, પરંતુ તેમના ઘરના રોજિંદા ખર્ચ અને ભવિષ્યની સુરક્ષાનો આધાર છે.
જોકે, નવાઈની વાત એ છે કે ખર્ચાઓ સતત વધી રહ્યા છે, પરંતુ બેંકના વ્યાજ પર મળતી ટેક્સ છૂટના નિયમો છેલ્લા ઘણા વર્ષોથી બદલાયા નથી. આ કારણે હવે લોકોની માંગ ઉઠી છે કે સરકારે આ દિશામાં વિચારવું જોઈએ.
Budget 2026 પાસે શું છે અપેક્ષા?
ટેક્સ એક્સપર્ટ્સનું માનવું છે કે સરકારી પોલિસી અને સામાન્ય માણસની હકીકત વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એવા લોકો જેઓ પોતાની જમા પૂંજીના વ્યાજ પર નિર્ભર છે, તેમના માટે જૂના નિયમો હવે બોજારૂપ બની રહ્યા છે.
હાલમાં જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) મુજબ
Section 80TTA: 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ પર વાર્ષિક 10,000 રૂપિયા સુધીની છૂટ મળે છે.
Section 80TTB: સિનિયર સિટીઝન્સ (60 વર્ષથી વધુ) માટે આ લિમિટ 50,000 રૂપિયા છે.
નિષ્ણાતો કહે છે કે આ લિમિટ ઘણા સમયથી સ્થિર છે. મોંઘવારીના આ જમાનામાં 10,000 કે 50,000 ની રાહત હવે 'નામ પૂરતી' રહી ગઈ છે. તેથી Budget 2026 માં આ લિમિટ વધારવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ અને માંગ છે.
સિનિયર સિટીઝન્સને થશે સૌથી મોટો ફાયદો
જો સરકાર ટેક્સ છૂટની લિમિટમાં વધારો કરે છે, તો તેનો સીધો અને સૌથી મોટો ફાયદો નિવૃત્ત લોકો એટલે કે સિનિયર સિટીઝન્સને થશે. ઘણા વડીલો માટે વ્યાજની આવક એ માત્ર શોખ માટે નથી હોતી, પરંતુ તેમાંથી જ તેમનું ઘર ચાલે છે અને દવાઓનો ખર્ચ નીકળે છે.
આ ઉપરાંત, નાની બચત કરનારા સામાન્ય લોકોના હાથમાં પણ ટેક્સ કપાત બાદ થોડી વધારે રકમ આવશે, જે તેમના આર્થિક બજેટને સુધારવામાં મદદરૂપ થશે. હવે જોવું રહ્યું કે નાણામંત્રી Budget 2026માં સામાન્ય માણસની આ પીડાને સમજીને કોઈ ખુશખબર આપે છે કે કેમ.