Economic Survey 2026: મોંઘવારી ઘટશે કે વધશે? બજેટ પહેલા સરકારે આપ્યા મોટા સંકેત, જાણો 5 મોટી વાતો
Economic Survey 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ઈકોનોમિક સર્વે 2025-26 રજૂ કર્યો હતો. મોંઘવારી, ખેતી અને રૂપિયાની ચાલ અંગે શું કહ્યું સરકારે? જાણો બજેટ પહેલાના આર્થિક રિપોર્ટની 5 સૌથી મહત્વની વાતો સરળ ગુજરાતીમાં.
Economic Survey 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ઈકોનોમિક સર્વે 2025-26 રજૂ કર્યો હતો.
Economic Survey 2026: દેશના સામાન્ય બજેટ પહેલા અર્થતંત્રની હાલત કેવી છે તે દર્શાવતો મહત્વનો દસ્તાવેજ એટલે કે 'ઈકોનોમિક સર્વે 2025-26' આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આ રિપોર્ટ મૂક્યો હતો. આ સર્વેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે ભારત માત્ર 'સ્વદેશી' વિચારસરણી પૂરતું સીમિત નથી, પરંતુ દુનિયાભરમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવીને આગળ વધવા તૈયાર છે.
આ સર્વેને દેશની આર્થિક તંદુરસ્તીનું રિપોર્ટ કાર્ડ માનવામાં આવે છે. મોંઘવારીથી લઈને ખેતી અને રૂપિયાની કિંમત સુધી, આ સર્વેમાં આવનારા સમય માટે ઘણા મોટા સંકેતો આપવામાં આવ્યા છે. ચાલો, સરળ શબ્દોમાં સમજીએ ઈકોનોમિક સર્વે 2026 ની 5 મોટી વાતો.
1. સરકારનો ખર્ચ અને બચત પર કાબૂ (Fiscal Discipline)
સરકારે પોતાની તિજોરી એટલે કે રાજકોષીય ખાધ (Fiscal Deficit) ને કાબૂમાં રાખવામાં મોટી સફળતા મેળવી છે. આર્થિક સર્વે મુજબ, નાણાકીય વર્ષ 2025 માં રાજકોષીય ખાધ GDP ના 4.8% રહી છે, જે 4.9% ના અંદાજ કરતા વધુ સારી છે. એટલું જ નહીં, સરકારે વર્ષ 2026 માટે આ ખાધને ઘટાડીને 4.4% સુધી લાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આનો સીધો અર્થ એ છે કે સરકાર વિકાસના કામો પણ કરશે અને સાથે-સાથે આર્થિક શિસ્ત પણ જાળવી રાખશે.
2. મોંઘવારી મોરચે સામાન્ય જનતાને રાહત
સામાન્ય માણસ માટે સૌથી સારા સમાચાર મોંઘવારીના મોરચે છે. સર્વેમાં જણાવ્યા મુજબ, એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન છૂટક મોંઘવારી (Headline CPI) ઘટીને 1.7% પર આવી ગઈ છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ શાકભાજી અને દાળના ભાવમાં થયેલો ઘટાડો છે. જોકે, સોના-ચાંદી જેવી કીમતી ધાતુઓના ભાવમાં હજુ થોડી તેજી જોવા મળી રહી છે, પરંતુ એકંદરે મોંઘવારી કંટ્રોલમાં છે.
3. દુનિયાના બદલાતા માહોલ અને ભારતની તૈયારી
આગામી વર્ષ 2026 માટે ઈકોનોમિક સર્વેમાં વૈશ્વિક સ્તરે ત્રણ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
* દુનિયામાં અસ્થિરતા હોવા છતાં સ્થિતિ કાબૂમાં રહી શકે છે.
* મોટા દેશો વચ્ચેના ઝઘડાથી વૈશ્વિક વ્યવસ્થા ખોરવાઈ શકે છે.
* અથવા, એક પછી એક મોટા આર્થિક ઝટકા લાગી શકે છે.
આવી સ્થિતિમાં ભારત માટે ચેતવણી એ છે કે આપણે આપણી અર્થવ્યવસ્થાને અંદરથી એટલી મજબૂત બનાવવી પડશે કે જેથી દુનિયામાં ગમે તેવું સંકટ આવે, ભારત પર તેની અસર ઓછી થાય.
4. રૂપિયાની કિંમત અને અમેરિકાનું ફેક્ટર
સર્વેમાં સ્વીકારવામાં આવ્યું છે કે વર્ષ 2025 માં ભારતીય રૂપિયો ધારણા કરતા થોડો નબળો રહ્યો છે અને તેની ક્ષમતા કરતા નીચા ભાવે ટ્રેડ થયો છે. જોકે, આમાં પણ એક સકારાત્મક પાસું છે. નબળો રૂપિયો અમેરિકા જેવા દેશો દ્વારા લાદવામાં આવતા ટેરિફ (ટેક્સ) ના દબાણને ઓછું કરવામાં મદદરૂપ થઈ શકે છે, જે ભારતીય નિકાસકારો માટે ફાયદાકારક બની શકે છે.
5. ખેડૂતો અને ખેતી માટે 'ગુડ ન્યૂઝ'
ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા કૃષિ ક્ષેત્રે જોરદાર પ્રદર્શન કર્યું છે. વર્ષ 2024-25 માં અનાજનું ઉત્પાદન રેકોર્ડબ્રેક 3,320 લાખ ટન સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, રવિ પાકની વાવણીમાં પણ 3.3% નો વધારો નોંધાયો છે. આ આંકડા દેશની ખાદ્ય સુરક્ષા માટે અને ગામડાઓમાં લોકોની આવક વધારવા માટે ખૂબ જ સારા સંકેત આપે છે.
એકંદરે ઈકોનોમિક સર્વે 2026 દર્શાવે છે કે ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. હવે સૌની નજર આવતીકાલે રજૂ થનારા કેન્દ્રીય બજેટ પર છે કે શું નાણામંત્રી આ સર્વેના આધારે ટેક્સમાં કોઈ રાહત આપે છે કે નહીં.