રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્ષ 2026ને રેલવે માટે ક્રાંતિકારી વર્ષ ગણાવ્યું છે. તેમણે હાલમાં જ જાહેરાત કરી હતી કે વર્ષ 2026ના 52 અઠવાડિયામાં રેલવે દ્વારા 52 મોટા રિફોર્મ (સુધારા) કરવામાં આવશે.
Railway Budget 2026: દેશના સામાન્ય નાગરિકોની નજર હવે 1 ફેબ્રુઆરી પર ટકેલી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે સંસદમાં બજેટ રજૂ કરવા ઉભા થશે, ત્યારે રેલવે મુસાફરોને સૌથી વધુ આશાઓ હશે. સરકાર ભલે રેલવેમાં સુધારાના મોટા દાવાઓ કરી રહી હોય, પરંતુ હકીકત એ છે કે સામાન્ય માણસ આજે પણ ટ્રેનની મુસાફરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.
આ વખતના બજેટમાં લોકોની સૌથી મોટી માંગ એ છે કે માત્ર 'વંદે ભારત' જેવી મોંઘી અને પ્રીમિયમ ટ્રેનો પર જ ધ્યાન આપવાને બદલે, સામાન્ય માણસના ખિસ્સાને પોસાય તેવી સુવિધાઓ પર પણ ભાર મૂકવામાં આવે.
2026 બનશે 'રિફોર્મ યર'?
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્ષ 2026ને રેલવે માટે ક્રાંતિકારી વર્ષ ગણાવ્યું છે. તેમણે હાલમાં જ જાહેરાત કરી હતી કે વર્ષ 2026ના 52 અઠવાડિયામાં રેલવે દ્વારા 52 મોટા રિફોર્મ (સુધારા) કરવામાં આવશે. એટલે કે, દર અઠવાડિયે એક નવો બદલાવ! આ સાંભળવામાં ઘણું સારું લાગે છે, પરંતુ જનતા ઈચ્છે છે કે આ સુધારાઓ માત્ર કાગળ પર ન રહી જાય અને તેની સીધી અસર તેમની રોજિંદી મુસાફરી પર દેખાય.
સામાન્ય મુસાફરોની મુખ્ય સમસ્યાઓ અને અપેક્ષાઓ
સરકારની લાખો કોશિશો છતાં, રેલવેમાં હજુ પણ એવી ઘણી સમસ્યાઓ છે જેનાથી મુસાફરો પરેશાન છે. બજેટ 2026 પાસે લોકોની અપેક્ષાઓ કંઈક આવી છે:
વેઈટિંગનું લિસ્ટ અને કન્ફર્મ ટિકિટ: સૌથી મોટી સમસ્યા ટિકિટ મળવાની છે. મુસાફરો ઈચ્છે છે કે તહેવારો કે વેકેશન સિવાયના સામાન્ય દિવસોમાં પણ તેમને વગર વેઈટિંગે કન્ફર્મ ટિકિટ મળે અને તે પણ સસ્તા દરે.
સમયસર ટ્રેનો: માત્ર પ્રીમિયમ ટ્રેનો જ નહીં, પરંતુ લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ પોતાના સમયસર દોડે તેવી વ્યવસ્થા થવી જોઈએ.
સ્વચ્છતા અને હાઈજીન: ટ્રેનોમાં ગંદકી, ગંદા ટોયલેટ અને પાણી ન હોવાની ફરિયાદો સામાન્ય છે. આ ઉપરાંત મુસાફરી દરમિયાન સામાનની ચોરી અને સુરક્ષા પણ મોટો પ્રશ્ન છે.
ખાણી-પીણી અને ઓવરચાર્જિંગ: ટ્રેનમાં મળતું ભોજન સારી ક્વોલિટીનું હોય અને પાણીની બોટલ કે અન્ય વસ્તુઓ પર છાપેલી કિંમત (MRP) કરતા વધુ પૈસા વસૂલવામાં ન આવે, તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
ટ્રેક સુધારણા: નવી હાઈ-સ્પીડ ટ્રેનો લાવતા પહેલા, રેલવે ટ્રેકને મજબૂત બનાવવા જોઈએ જેથી ટ્રેનો તેની પૂરી ક્ષમતા અને ઝડપ સાથે સુરક્ષિત રીતે દોડી શકે અને અકસ્માતો નિવારી શકાય.
નિષ્ણાતો શું કહે છે?
રેલવેના જાણકારોએ આ અંગે મહત્વની વાત કરી છે. તેમનું કહેવું છે કે, "પહેલાના સમયમાં રેલવે બજેટ સામાન્ય માણસના ખિસ્સા અને તેમની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવતું હતું. પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે રેલવે બજેટમાં સામાન્ય માણસ માટે કોઈ ખાસ વધારો કર્યો નથી." તેમણે સ્પષ્ટ કહ્યું કે સરકાર ભલે પ્રીમિયમ ટ્રેનો દોડાવે, પરંતુ સાથે સાથે સામાન્ય જનતાના હિતોનું પણ ધ્યાન રાખવું પડશે. માત્ર દેખાડા માટેની યોજનાઓથી સામાન્ય મુસાફરોનું ભલું નહીં થાય.
હવે જોવાનું એ રહેશે કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં નિર્મલા સીતારમણ રેલવે માટે કયા નવા પગલાં લે છે. શું ખરેખર 2026માં સામાન્ય મુસાફરોને સસ્તી મુસાફરી અને કન્ફર્મ સીટની ભેટ મળશે કે પછી ફરી એકવાર માત્ર વાયદાઓ જ મળશે?