Union Budget 2026: મિડલ ક્લાસ અને ખેડૂતોને થશે બલ્લે-બલ્લે? બજેટમાં ટેક્સથી લઈને સારવાર સુધી મળી શકે છે મોટી રાહત
Union Budget 2026: 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા Union Budget 2026માં મિડલ ક્લાસ, ખેડૂતો અને કરદાતાઓ માટે મોટી જાહેરાતો થઈ શકે છે. ટેક્સ સ્લેબ, પીએમ કિસાન નિધિ અને આયુષ્માન ભારત યોજનામાં શું ફેરફાર થશે? જાણો વિગતવાર.
Union Budget 2026: 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા Union Budget 2026માં મિડલ ક્લાસ, ખેડૂતો અને કરદાતાઓ માટે મોટી જાહેરાતો થઈ શકે છે.
Union Budget 2026: દેશભરમાં અત્યારે સૌની નજર 1 ફેબ્રુઆરી પર ટકેલી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં Union Budget 2026-27 રજૂ કરવા જઈ રહ્યા છે. આ બજેટમાં સામાન્ય જનતા, નોકરિયાત વર્ગ અને ખેડૂતો માટે પટારો ખુલે તેવી પૂરી શક્યતા છે. મોંઘવારી વચ્ચે પીસાતા મિડલ ક્લાસને આ વખતે સરકાર મોટી રાહત આપી શકે છે. ચાલો જાણીએ બજેટમાં કઈ કઈ મોટી જાહેરાતો થવાની વકી છે.
ટેક્સપેયર્સ માટે ખુશખબર: 3 લાખ સુધીની આવક ટેક્સ-ફ્રી?
આ વખતનું બજેટ નોકરિયાત વર્ગ માટે ખાસ બની શકે છે. નવી ઈન્કમ ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) હેઠળ સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 75,000 થી વધારીને 1,00,000 રૂપિયા કરે તેવી ચર્ચા જોરશોરમાં છે. જો આમ થાય, તો પગારદાર વર્ગના ટેક્સમાં મોટો ઘટાડો થશે. એક અંદાજ મુજબ, સ્ટાન્ડર્ડ ડિડક્શન વધવાથી અને અન્ય છૂટછાટો મળવાથી વાર્ષિક 13 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો પર ટેક્સનો બોજ સાવ હળવો થઈ શકે છે અથવા શૂન્ય થઈ શકે છે.
બીજી તરફ, જૂની ટેક્સ વ્યવસ્થા (Old Regime) પસંદ કરનારા લોકો માટે પણ સારા સમાચાર મળી શકે છે. CAના જણાવ્યા મુજબ, બચતને પ્રોત્સાહન આપવા માટે કલમ 80Cની મર્યાદા 1,50,000થી વધારીને 2,00,000 રૂપિયા કરવામાં આવી શકે છે.
ખેડૂતોને દિવાળી જેવો માહોલ: PM કિસાન નિધિમાં વધારો
ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર મોટું પગલું ભરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ અત્યારે ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા મળે છે. આ રકમ વધારીને વાર્ષિક 8,000થી 10,000 રૂપિયા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ વધારાથી નાના અને સીમાંત ખેડૂતોને ખેતીના ખર્ચ અને ઘર ચલાવવામાં મોટી મદદ મળશે.
સ્વાસ્થ્ય અને સોલાર ઉર્જા ક્ષેત્રે મોટા એલાન
આયુષ્માન ભારત: સરકાર ગરીબોને મફત સારવાર આપતી આયુષ્માન ભારત યોજનાનો વ્યાપ વધારી શકે છે. તેમાં મફત સારવારની મર્યાદા વધારવાની સાથે સાથે, વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે ઉંમર મર્યાદા ઘટાડવા પર પણ વિચાર ચાલી રહ્યો છે, જેથી વધુ વૃદ્ધોને લાભ મળી શકે.
પીએમ સૂર્ય ઘર યોજના: જે લોકો પોતાના ઘર પર સોલાર પેનલ લગાવવા માંગે છે, તેમના માટે સબસિડી વધારવાની તૈયારી છે. આનાથી સોલાર સિસ્ટમ લગાવવાનો ખર્ચ ઘટશે અને લોકોના લાઈટ બિલમાં મોટી બચત થશે.
રેલવે માટે નિર્ણાયક બજેટ
છેલ્લા બજેટ બાદ રેલવે સાથે જોડાયેલા શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં આશરે 8% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોની નજર હવે 2026ના બજેટ પર છે. રેલવે સુધારા અને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર કેટલું ફંડ ફાળવે છે, તેના પર રેલવે સેક્ટરનું ભવિષ્ય નક્કી થશે.
ભાજપનું મેગા બજેટ પ્રચાર અભિયાન
બજેટની જાહેરાતોને જન-જન સુધી પહોંચાડવા માટે ભાજપે કમર કસી છે. પાર્ટી 1થી 15 ફેબ્રુઆરી દરમિયાન દેશભરમાં એક મોટું અભિયાન ચલાવશે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ મળીને લગભગ 150 પ્રેસ કોન્ફરન્સ કરશે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર્સ અને શોર્ટ વીડિયો દ્વારા બજેટના ફાયદા લોકો સુધી પહોંચાડવામાં આવશે.
રાજકીય આક્ષેપબાજી અને રાજ્યોની માંગ
બજેટ પહેલા રાજકારણ પણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો છે કે ભાજપ યુપીમાં મેટ્રો પ્રોજેક્ટ્સનો જશ ખાટી રહી છે, જે ખરેખર સમાજવાદી સરકાર વખતે શરૂ થયા હતા. તેમણે નોઈડા-ગ્રેટર નોઈડા મેટ્રોનો ઉલ્લેખ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે.
બીજી તરફ, હિમાચલ પ્રદેશ સરકારે કેન્દ્ર પાસે બજેટમાં "ન્યાય"ની માંગ કરી છે. રાજ્યના મંત્રીઓએ ફરિયાદ કરી છે કે કેન્દ્ર તરફથી મળતી સહાયમાં ઘટાડો થયો છે અને મનરેગા (MGNREGA) ફંડ પણ ઓછું મળ્યું છે. કુદરતી આફતો અને સફરજન પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટવાથી રાજ્યની તિજોરી પર બોજ વધ્યો છે.
ઇતિહાસના પાનેથી: સંપત્તિ વેરો (Wealth Tax)
બજેટની વાત નીકળી છે ત્યારે એક રસપ્રદ ઐતિહાસિક તથ્ય જાણીએ. 1957-58 ના બજેટમાં તે સમયના નાણામંત્રી ટી.ટી. કૃષ્ણમાચારીએ પહેલીવાર 'સંપત્તિ વેરો' (Wealth Tax) દાખલ કર્યો હતો. તેનો હેતુ અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ ઓછી કરવાનો હતો. જોકે, લાંબા ગાળે આ ટેક્સ 2015 માં નાબૂદ કરી દેવામાં આવ્યો હતો.
હવે જોવું રહ્યું કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રીના પટારામાંથી સામાન્ય જનતા માટે રાહતનો વરસાદ થાય છે કે કેમ.