TRAI ના લેટેસ્ટ આંકડા મુજબ, જૂન ક્વાર્ટરના અંતે BSNL ના મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વધીને 9.3 કરોડ થઈ ગઈ છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં આ સંખ્યા 9.29 કરોડ હતી, જ્યારે એક વર્ષ પહેલાં 9.05 કરોડ ગ્રાહકો હતા.
BSNL Investment Plan: સરકારી ટેલિકોમ કંપની BSNL હવે ખાનગી કંપનીઓને ટક્કર આપવા માટે મોટા પાયે તૈયારી કરી રહી છે. આગામી 5 વર્ષમાં BSNL 77,000 કરોડનું જંગી રોકાણ કરવા જઈ રહી છે. આ માટે કંપની પોતાની માલિકીની જમીન અને અન્ય સંપત્તિઓ વેચીને મોટું ભંડોળ એકઠું કરવાની યોજના ધરાવે છે. સરકારને આશા છે કે, આ એસેટ મોનેટાઈઝેશનથી 4G અને 5G નેટવર્કના વિસ્તરણને મોટી સ્પીડ મળશે.
દેશભરમાં લાગશે 2 લાખ નવા 4G ટાવર
ટેલિકોમ્યુનિકેશન વિભાગની યોજના મુજબ, BSNL દેશભરમાં 2 લાખ નવા 4G ટાવર લગાવશે. આ ઉપરાંત જૂના નેટવર્કને પણ વધુ મજબૂત બનાવવામાં આવશે. જ્યાં ઇન્ટરનેટનો વધુ ટ્રાફિક છે અને જે વિસ્તારો વ્યૂહાત્મક રીતે મહત્વના છે, ત્યાં સીધી 5G સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે. હાલમાં કંપની પાસે 1.25 લાખથી વધુ ટેલિકોમ ટાવર છે, અને અધિકારીઓના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં આ સંખ્યામાં મોટો વધારો જોવા મળશે.
જમીન અને પ્રોપર્ટી વેચીને 8,000 કરોડ એકત્ર કરશે
આ મેગા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન માટે નાણાં ક્યાંથી આવશે? BSNL એ ચાલુ નાણાકીય વર્ષમાં જમીન અને પ્રોપર્ટી વેચીને 8,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ રકમનો ઉપયોગ સીધો મૂડીખર્ચ એટલે કે નેટવર્ક સુધારવા પાછળ થશે. મુંબઈમાં આવેલા BSNL ના ફ્લેટ અને પ્રાઇમ લોકેશન પર આવેલી પ્રોપર્ટી ખરીદવામાં ઘણા લોકોએ રસ દાખવ્યો છે. આ સાથે MTNL પાસે પણ દિલ્હી અને મુંબઈમાં ઘણી કિંમતી સંપત્તિઓ છે, જેનો ઉપયોગ પણ ફંડ ઊભું કરવા માટે થઈ શકે છે.
FY29 સુધીમાં ઓપરેશનલ બ્રેક-ઈવનનો લક્ષ્યાંક
સરકાર માને છે કે આ રોકાણ યોજનાથી નાણાકીય વર્ષ 29 સુધીમાં BSNL ઓપરેશનલ બ્રેક-ઈવનની સ્થિતિમાં આવી જશે. એટલે કે, કંપનીની રોજબરોજની કમાણી અને ખર્ચ સરખા થઈ જશે. આ સાથે દેશમાં BSNLનું નેટવર્ક કવરેજ 98% સુધી પહોંચવાની આશા છે.
TRAI ના લેટેસ્ટ આંકડા મુજબ, જૂન ક્વાર્ટરના અંતે BSNL ના મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વધીને 9.3 કરોડ થઈ ગઈ છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં આ સંખ્યા 9.29 કરોડ હતી, જ્યારે એક વર્ષ પહેલાં 9.05 કરોડ ગ્રાહકો હતા.
ભૂતકાળનું મોટું રોકાણ અને સરકારી મદદ
BSNL એ નાણાકીય વર્ષ 25માં 26,022 કરોડનો મૂડીખર્ચ કર્યો હતો, જે કંપનીના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હતું. આ ફંડનો ઉપયોગ મુખ્યત્વે 4G નેટવર્ક, પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતનેટ માટે ફાઈબર નેટવર્ક બિછાવવા પાછળ થયો હતો. આ ઉપરાંત, DoT એ નાણાકીય વર્ષ 27 (FY27) માટે BSNL રિવાઈવલ પેકેજ હેઠળ 21,588 કરોડની વધારાની મૂડી આપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. ખાસ વાત એ છે કે આ રકમ પેલા 77,000 કરોડની યોજના કરતા સાવ અલગ છે.
જૂન ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન કેવું રહ્યું?
જૂન ક્વાર્ટરમાં BSNL ની કુલ ખોટ 1,280 કરોડ રહી છે. ગયા વર્ષે આ ખોટ 1,007 કરોડ હતી, એટલે કે વાર્ષિક ધોરણે ખોટ વધી છે. જોકે, અગાઉના ક્વાર્ટરની 1,419 કરોડની ખોટની સરખામણીમાં આ વખતે નુકસાન ઘટ્યું છે. કંપનીની કુલ આવક 4.2% વધીને 5,306 કરોડ થઈ છે. કંપનીના મોબાઈલ કારોબારની આવક 12% ના ઉછાળા સાથે 2,282 કરોડ પર પહોંચી છે, જે એક સારો સંકેત છે.