Porsche Layoffs: સ્પોર્ટ્સ કાર કંપની પોર્શેમાં ફરી નોકરીઓ પર કાતર, વધુ 4100 કર્મચારીઓની થશે છટણી. જાણો ભારત પર શું થશે અસર?
લક્ઝરી સ્પોર્ટ્સ કાર કંપની પોર્શે અને તેની પેરેન્ટ કંપની ફોક્સવેગનમાં મોટા પાયે છટણીની તૈયારી. ખર્ચ ઘટાડવા કંપની વધુ 4100 નોકરીઓ કાપશે. જાણો ભારતમાં તેના કર્મચારીઓ પર શું અસર પડશે.
આ વૈશ્વિક સંકટની અસર ભારત પર પણ જોવા મળશે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, સ્કોડા ઓટો ફોક્સવેગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પણ પોતાનો 3 વર્ષનો રિસ્ટ્રક્ચરિંગ પ્લાન ઝડપી બનાવી રહી છે.
Porsche Layoffs : વિશ્વભરમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં અત્યારે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. પ્રખ્યાત લક્ઝરી સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની પોર્શેના કર્મચારીઓ માટે એક ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે. કંપનીના નફામાં સતત ઘટાડો થવાની ચેતવણીઓ બાદ, પોર્શે મેનેજમેન્ટે વધુ 4100 કર્મચારીઓની છટણી કરવાનો મોટો નિર્ણય લીધો છે.
જર્મન બિઝનેસ અખબાર 'હેન્ડલ્સબ્લાટ' ના રિપોર્ટ અનુસાર, આ છટણી યુરોપની સૌથી મોટી કાર નિર્માતા કંપની ફોક્સવેગનના સૌથી મોટા રિસ્ટ્રક્ચરિંગ પ્લાનનો જ એક ભાગ છે. નોંધનીય છે કે પોર્શે અને ઓડી બંને ફોક્સવેગન ગ્રુપનો જ હિસ્સો છે.
પોર્શે શા માટે કરી રહી છે છટણી?
કંપનીના ખર્ચ અને ઉપલબ્ધ ભંડોળ વચ્ચે અત્યારે લગભગ 80.38 કરોડ ડોલરનો મોટો તફાવત ઉભો થયો છે. આ નાણાકીય ખાડાને પૂરવા અને ખર્ચ ઘટાડવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. અખબારના જણાવ્યા મુજબ, આ 4100 નોકરીઓનો કાપ અગાઉ થયેલા કરારો કરતા બિલકુલ અલગ છે. અગાઉ જુલાઈમાં જ 4000 નોકરીઓ અને વધારાના 5000 લોકોની છટણી પર સહમતિ બની ચૂકી હતી.
ફોક્સવેગને તાજેતરમાં તેના માર્જિન ટાર્ગેટને 4.0-5.5% થી ઘટાડીને માત્ર 1% કરી દીધો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કંપનીના બોર્ડે 'ફ્યુચર પ્લાન 2030' ને મંજૂરી આપી દીધી છે, જે તેના 89 વર્ષના ઈતિહાસનો સૌથી મોટો ફેરફાર છે. મેનેજમેન્ટ અને યુનિયનો વચ્ચે આ દાયકાના અંત સુધીમાં કુલ 1,00,000 નોકરીઓ ઘટાડવા પર સંમતિ સધાઈ છે. જેમાંથી 50,000 નોકરીઓ કાપવાની પ્રક્રિયા ચાલુ છે અને હવે વધુ 50,000 નોકરીઓ ઘટાડવાના પ્લાનને લીલી ઝંડી મળી ગઈ છે.
કંપની 2035 સુધીમાં પોતાના વાહનોના મોડલની સંખ્યા અડધી કરી દેશે. આ ઉપરાંત 2027-2031 દરમિયાન મૂડીખર્ચમાં 16% નો ઘટાડો કરવામાં આવશે. વધતી વૈશ્વિક સ્પર્ધા અને ટેકનોલોજીના ફેરફારોને કારણે જર્મનીના 4 પ્લાન્ટ બંધ કરવા કે અન્ય વિકલ્પો શોધવા પર પણ વિચાર ચાલી રહ્યો છે.
ભારતમાં ફોક્સવેગનના કર્મચારીઓ પર શું થશે અસર?
આ વૈશ્વિક સંકટની અસર ભારત પર પણ જોવા મળશે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, સ્કોડા ઓટો ફોક્સવેગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પણ પોતાનો 3 વર્ષનો રિસ્ટ્રક્ચરિંગ પ્લાન ઝડપી બનાવી રહી છે.
2025 માં શરૂ થયેલી આ પ્રક્રિયા હેઠળ 2027 સુધીમાં ભારતમાં કંપનીના કુલ વર્કફોર્સના લગભગ 12% કર્મચારીઓને છૂટા કરવામાં આવી શકે છે. આમાં વ્હાઇટ-કોલર અને શોપ-ફ્લોરબંનેનો સમાવેશ થશે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં નેક્સ્ટ જનરેશન ગાડીઓ લોન્ચ કરતા પહેલા કામકાજના ખર્ચમાં કરોડો ડોલરની બચત કરવાનો છે.