AAIB Investigation: અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં શા માટે થઈ રહ્યો છે વિલંબ?
Ahmedabad Air India Crash: અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં વિલંબનું કારણ શું? કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડૂએ સ્પષ્ટતા કરી કે તપાસમાં કોઈ હેરફેર નથી. AAIB નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરી રહ્યું છે. વધુ જાણો આ ન્યૂઝમાં.
કે. રામમોહન નાયડૂએ મંગળવારે સ્પષ્ટતા કરી કે, "આ તપાસમાં કોઈ હેરફેર કે ગેરરીતિ નથી. AAIB નિષ્પક્ષ અને પારદર્શક રીતે કામ કરી રહ્યું છે.
Ahmedabad Air India Crash: ગત 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતું એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 241 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ સહિત 260 લોકોના મોત થયા હતા. આ હાદસાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તપાસમાં વિલંબ અને અટકળોને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડૂએ મંગળવારે સ્પષ્ટતા કરી કે, "આ તપાસમાં કોઈ હેરફેર કે ગેરરીતિ નથી. AAIB નિષ્પક્ષ અને પારદર્શક રીતે કામ કરી રહ્યું છે. અમે તેમના પર ઝડપથી રિપોર્ટ આપવાનું દબાણ નથી કરી રહ્યા, જેથી તેઓ સંપૂર્ણ અને સચોટ તપાસ કરી શકે."
પાયલટ પર આરોપ અને વિવાદ
આ દુર્ઘટનાની પ્રાથમિક રિપોર્ટમાંથી અમુક ભાગો અમેરિકન મીડિયામાં લીક થયા હતા, જેમાં દુર્ઘટનાનું કારણ એક પાયલટની ભૂલ હોવાનું સૂચવાયું હતું. આ રિપોર્ટમાં કહેવાયું હતું કે, વિમાનના કેપ્ટન સુમીત સભરવાલે ટેકઓફ બાદ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ કરી દીધી હતી. આ આરોપોને લઈને કેપ્ટનના 91 વર્ષીય પિતા પુષ્કર રાજ સભરવાલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને તપાસની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સને પણ 17 સપ્ટેમ્બરે એક ઇમેઇલ મોકલીને તપાસ અધિકારીઓના વર્તનની ફરિયાદ કરી હતી.
તપાસમાં પારદર્શિતાની ખાતરી
મંત્રી નાયડૂએ કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તમામ તથ્યો સ્પષ્ટ થાય. અમે કોઈ ખોટી માહિતી કે અટકળોને પ્રોત્સાહન આપવા માંગતા નથી." તેમણે ઉમેર્યું કે, AAIBનો અંતિમ રિપોર્ટ આવવામાં થોડો સમય લાગશે, પરંતુ તે સંપૂર્ણ અને વિશ્વસનીય હશે.
આ દુર્ઘટનાએ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સુરક્ષા અને તપાસ પ્રક્રિયાઓ પર નવેસરથી ચર્ચા શરૂ કરી છે. આ કેસનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, અને હવે લોકોની નજર AAIBના અંતિમ રિપોર્ટ પર છે.