Ahmedabad plane crash: અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ, 260 લોકોના મોતનો રિપોર્ટ હજુ અધ્ધરતાલ, શું અમેરિકા પોતાની કંપનીને બચાવી રહ્યું છે?
Ahmedabad plane crash: 12 જૂન 2025ના અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશને 1 વર્ષ વીતવા છતાં તપાસ રિપોર્ટ આવ્યો નથી. 260 લોકોના મોતનો ન્યાય ક્યારે મળશે? જાણો કેમ અમેરિકા પર સવાલો ઉઠી રહ્યા છે.
Ahmedabad plane crash: 12 જૂન 2025નો એ કાળો દિવસ... અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 અમેરિકન બોઇંગ કંપનીનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફની થોડી જ સેકન્ડોમાં ક્રેશ થઈ ગઈ. આ ગોઝારી ઘટનામાં 260 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે આ ઘટનાને બરાબર 1 વર્ષ પૂરું થઈ ગયું છે, પરંતુ પોતાના સ્વજનો ગુમાવનારા પીડિત પરિવારો હજુ પણ ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. અકસ્માતનું સાચું કારણ શું હતું? ફાઇનલ રિપોર્ટ હજુ કેમ નથી આવ્યો? આ સવાલોના જવાબ હજુ હવામાં જ છે.
તપાસ ગોકળગાયની ગતિએ, રિપોર્ટમાં હજુ 3 મહિના લાગશે
આંતરરાષ્ટ્રીય એવિએશનના નિયમો મુજબ, કોઈપણ વિમાન અકસ્માતનો અંતિમ તપાસ રિપોર્ટ 12 મહિનાની અંદર જાહેર કરી દેવો પડે છે. પરંતુ આ કેસમાં તપાસ સાવ કાચબા ગતિએ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, ફાઇનલ રિપોર્ટ આવવામાં હજુ વધુ 3 મહિના જેટલો સમય લાગી શકે છે.
આ અકસ્માત બાદ ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. પરંતુ વિમાનના બંને એન્જિનોને વધુ આધુનિક ટેકનિકલ ચકાસણી માટે અમેરિકા મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં અમેરિકાનું નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, બોઇંગ, જીઇ એરોસ્પેસ અને આંતરરાષ્ટ્રીય ઓથોરિટી સંયુક્ત રીતે સ્પેશિયલ મશીનોથી આ એન્જિનોની તપાસ કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે અમેરિકા તરફથી હજુ સુધી ભારતને કોઈ જ રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી.
શું પાયલટનો વાંક હતો કે વિમાનની સિસ્ટમનો?
અગાઉ જે પ્રાથમિક તપાસ રિપોર્ટ આવ્યો હતો, તેમાં એવો દાવો કરાયો હતો કે અચાનક બંને એન્જિનમાં ઇંધણ (ફ્યૂઅલ) જતું બંધ થઈ ગયું, એન્જિન બંધ પડ્યા અને વિમાન ક્રેશ થયું. આ રિપોર્ટ બાદ આંતરરાષ્ટ્રીય મીડિયામાં આડકતરી રીતે પાયલટ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ થયો, જાણે પાયલટે જ ફ્યૂઅલ સ્વીચ બંધ કરી દીધી હોય.
આ બાબતે ‘ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ' ભડકી ઉઠ્યું છે. સંગઠનના અધ્યક્ષ કેપ્ટન સી. એસ. રંધાવાએ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે:
* તપાસ માત્ર 'ફ્યૂઅલ કંટ્રોલ સ્વીચ' પૂરતી સીમિત ન રહેવી જોઈએ.
* વિમાનની ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક અને કમ્પ્યુટિંગ સિસ્ટમની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
* બોઇંગ 787 વિમાનોમાં ભૂતકાળમાં પણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, લિથિયમ બેટરી અને ઇલેક્ટ્રિકલ ફાયર (આગ લાગવા) જેવી ગંભીર સમસ્યાઓ સામે આવી ચૂકી છે.
* પાયલટોને બલિનો બકરો બનાવવાનું બંધ થવું જોઈએ.
અમેરિકાની દાનત પર ઉઠી રહ્યા છે ગંભીર સવાલો
આ સમગ્ર તપાસમાં સૌથી મોટો સવાલ હિતોના ટકરાવનો છે. જે વિમાન ક્રેશ થયું તે બનાવનાર કંપની 'બોઇંગ' અમેરિકાની છે અને તેના એન્જિનની તપાસ પણ અમેરિકામાં જ થઈ રહી છે.
લોકોના મનમાં હવે એ શંકા ઘર કરી ગઈ છે કે શું અમેરિકા પોતાની જ કંપનીને દોષિત ઠેરવવાની હિંમત કરશે? જો તપાસમાં બોઇંગ કંપનીની ટેકનિકલ ખામી સાબિત થાય, તો દુનિયાભરમાં અમેરિકાની અને બોઇંગની છાપ ખરડાય તેમ છે. આ સંજોગોમાં એવી પૂરેપૂરી શક્યતા છે કે અમેરિકા આ મામલે યોગ્ય ન્યાય ન આપે અથવા તપાસમાં નિષ્પક્ષતા ન જાળવે. જો આમ થશે, તો 260 મૃતકોના પરિવારોને ક્યારેય સાચો ન્યાય નહીં મળી શકે. હવે સૌની નજર 3 મહિના પછી આવનારા ફાઇનલ રિપોર્ટ પર ટકેલી છે.