Chief Minister's decision: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીની ધારી ગ્રામપંચાયતમાં અન્ય 4 ગ્રામપંચાયત ભેળવીને નવી ધારી નગરપાલિકાની બનાવવાનો નિર્ણય કર્યો છે. જેથી 'ડ' વર્ગની વધુ એક નગરપાલિકા રાજ્યમાં બનશે. હાલ 'અ' વર્ગની 22, 'બ'ની 30, 'ક'ની 60 અને 'ડ'ની 47 મળીને કુલ 159 નગરપાલિકાઓ છે, પરંતુ હવે ધારીને નગરપાલિકા બનાવતા 160મી નગરપાલિકા બનશે.
સાબરકાંઠામાટે લેવાયો નિર્ણય
આ સાથે સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા-સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયોથી પ્રવાસન સહિત આર્થિક-સામાજિક વિકાસની ગતિને વેગ મળશે. CM ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે.
આ 5 ગામોને ભેળવીને ધારી નગરપાલિકાની રચના
ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે. અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડીયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે વસેલું છે. એટલું જ નહીં ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોઈ મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન પ્રવાસીઓ આવતા રહે છે.
આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારી સાથે આર્થિક અને સામાજિક જીવનમાં પણ પ્રગતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. તો આ સાથે ધારી તાલુકાના 25 જેટલા ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે ફાયર ફાઈટર અને અગ્નિશમન સેવાઓ પણ આ નગરપાલિકા દ્વારા સરળતાએ સમયસર મળે તેવો આશય પણ નગરપાલિકાની રચનામાં રહેલો છે.
160મી નગરપાલિકા બનશે
ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નગરપાલિકાની નાગરિક લક્ષી સુવિધા મળવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે. આ ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે. અત્યારે 'અ' વર્ગની 22, 'બ' વર્ગની 30, 'ક' વર્ગની 60 અને 'ડ' વર્ગની 42 મળી કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં આ નવી ‘ડ’ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે.
ઈડરની જનતાની માંગણી સ્વિકારાઈ
CM ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક નિર્ણય લઈને સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને અનુમતિ આપી છે. ઈડરની જનતા જનાર્દનની લાંબા સમયની માંગણીનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપીને આ બે ગ્રામપંચાયતોનો ઈડર નગરપાલિકામાં મર્જ કરવા નિર્ણય કર્યો છે. આના પરિણામે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલોપમેન્ટ પ્લાન સરળતાએ થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.