PNG યુઝર્સ માટે મોટા સમાચાર! સરકારનો નવો આદેશ, હવે ઘરમાં નહીં રાખી શકો LPG સિલિન્ડર | Moneycontrol Gujarati
Get App

PNG યુઝર્સ માટે મોટા સમાચાર! સરકારનો નવો આદેશ, હવે ઘરમાં નહીં રાખી શકો LPG સિલિન્ડર

PNG connection rules: જો તમારા ઘરમાં PNG ગેસ કનેક્શન છે, તો હવે તમે LPG સિલિન્ડર નહીં રાખી શકો. પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે સરકારે નવો આદેશ જાહેર કર્યો છે. જાણો નવા નિયમોની પૂરી વિગત.

અપડેટેડ 10:45:13 AM Mar 15, 2026 પર
Story continues below Advertisement
PNG connection rules: જો તમારા ઘરમાં PNG ગેસ કનેક્શન છે, તો હવે તમે LPG સિલિન્ડર નહીં રાખી શકો.

PNG connection rules: જો તમે રસોઈ માટે પાઈપવાળા ગેસ એટલે કે PNG (Piped Natural Gas) નો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક બહુ જ મહત્વના સમાચાર છે. દેશમાં એલપીજી (LPG)ની અછતને જોતા કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નવા આદેશ મુજબ હવે PNG કનેક્શન ધરાવતા ગ્રાહકો ઘરમાં LPG સિલિન્ડર નહીં રાખી શકે.

શું છે સરકારનો નવો નિયમ?

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 14 માર્ચના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ મુજબ, જે પરિવારો પાસે પહેલાથી જ PNG કનેક્શન છે અને સાથે LPG સિલિન્ડર પણ છે, તેમણે પોતાનું LPG કનેક્શન તાત્કાલિક પાછું (સરેન્ડર) આપવું પડશે. હવે આવા ગ્રાહકો ગેસ એજન્સી પાસેથી નવું બુકિંગ કે રિફિલ પણ નહીં કરાવી શકે. આ નિર્ણય એવા પરિવારોને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેમના ઘરમાં રસોઈ માટે માત્ર LPG સિલિન્ડર જ એકમાત્ર સહારો છે અને તેમની પાસે કોઈ બીજો વિકલ્પ નથી.

શા માટે ઊભી થઈ ગેસની અછત?

આ મોટા નિર્ણય પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ અને તણાવ છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના ટકરાવને કારણે ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ કરી દીધી છે. આ દરિયાઈ રસ્તો દુનિયાભરમાં તેલ અને ગેસના સપ્લાય માટે ખૂબ જ મહત્વનો છે.


ભારત માટે આ સ્થિતિ ચિંતાજનક છે કારણ કે આપણો દેશ તેની જરૂરિયાતનો 90 ટકા LPG પશ્ચિમ એશિયાના દેશોમાંથી જ મંગાવે છે. રસ્તો બંધ હોવાથી ગેસથી ભરેલા જહાજો ભારત સુધી પહોંચી શકતા નથી, જેના કારણે સપ્લાય પર ભારે દબાણ આવ્યું છે.

સ્થિતિ સુધારવા સરકારના પ્રયાસો

ગેસની અછતને પહોંચી વળવા સરકારે કેટલીક મહત્વની કવાયત હાથ ધરી છે, સરકારે દેશની રિફાઈનરી કંપનીઓને ઉત્પાદન વધારવા આદેશ આપ્યો છે, જેના પગલે કંપનીઓએ ઉત્પાદનમાં 30 ટકા જેટલો વધારો કર્યો છે. જોકે, ઘરગથ્થુ માંગ ખૂબ વધારે હોવાથી માત્ર ઉત્પાદન વધારવાથી પહોંચી વળાય તેમ નથી. આથી, હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય ઔદ્યોગિક એકમોને અપાતા કમર્શિયલ ગેસના સપ્લાયમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે, જેથી સામાન્ય લોકો માટે ગેસ બચાવી શકાય.

બુકિંગના નિયમોમાં પણ મોટા ફેરફાર

LPG નો સપ્લાય જાળવી રાખવા માટે સરકારે સિલિન્ડર બુકિંગના સમયગાળામાં પણ ફેરફાર કર્યા છે:

શહેરી વિસ્તારોમાં: હવે એક સિલિન્ડરની ડિલિવરી લીધા પછી બીજી વાર બુકિંગ કરાવવા માટે 21 દિવસના બદલે 25 દિવસ રાહ જોવી પડશે.

ગ્રામીણ વિસ્તારોમાં: આ સમયગાળો વધારીને 45 દિવસ કરી દેવામાં આવ્યો છે.

સરકારનું માનવું છે કે આ કડક પગલાંથી દેશમાં LPG નો જથ્થો સંતુલિત રહેશે. જે લોકો પાસે રસોઈ માટે માત્ર સિલિન્ડર જ છે તેમને કોઈ તકલીફ ન પડે તે માટે આ નિર્ણયો લેવાયા છે. કટોકટીના આ સમયમાં સંસાધનોના યોગ્ય સંચાલન માટે સરકારનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો - શેર બજારમાં હજુ 10%નો ઘટાડો આવશે તો મળશે બમ્પર કમાણીની તક! જાણો રામદેવ અગ્રવાલની મોટી ભવિષ્યવાણી

MoneyControl News

MoneyControl News

First Published: Mar 15, 2026 10:45 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.