Chicken Neck Corridor: ભારતે Chicken Neckની સુરક્ષા વધારવા માટે બનાવી ખાસ રણનીતિ.
Chicken Neck Corridor: ભારત સરકારે દેશની સુરક્ષા અને પૂર્વોત્તર રાજ્યો (North East) સાથેની કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. પશ્ચિમ બંગાળમાં આવેલા 'સિલીગુડી કોરિડોર', જેને સામાન્ય ભાષામાં 'ચિકન નેક' (Chicken Neck) તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને સુરક્ષિત કરવા માટે સરકારે હવે અંડર ગ્રાઉન્ડ રસ્તો અપનાવ્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે સરકાર આ વિસ્તારમાં જમીનની નીચે રેલવે લાઈન બિછાવવા જઈ રહી છે.
શું છે સરકારનો 'અંડર ગ્રાઉન્ડ' પ્લાન?
તાજેતરમાં રેલ મંત્રાલય સંબંધિત બજેટની જોગવાઈઓ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, નોર્થ-ઈસ્ટને ભારતના બાકીના ભાગો સાથે જોડતો આ રસ્તો વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનો છે. આ સાંકડા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને સુરક્ષા વધારવા માટે સરકાર 40 કિલોમીટર લાંબી અંડર ગ્રાઉન્ડ રેલવે લાઈન બનાવવાની યોજના પર કામ કરી રહી છે.
એટલું જ નહીં, હાલમાં જે રેલવે ટ્રેક અસ્તિત્વમાં છે, તેને પણ અપગ્રેડ કરીને 4 લેન (Four Lane) બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુશ્કેલ સમયમાં પણ સૈન્ય અને સામાન્ય નાગરિકોની અવરજવરને અટક્યા વગર ચાલુ રાખવાનો છે.
ક્યાં બનશે આ ટનલ?
આ મહત્વકાંક્ષી યોજના વિશે વધુ માહિતી આપતા નોર્થ-ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના જનરલ મેનેજર ચેતન કુમારે જણાવ્યું હતું કે, આ અંડર ગ્રાઉન્ડ રેલવે લાઈન પશ્ચિમ બંગાળના 'ટિન મિલે હાટ' (Tin Mile Hat) થી શરૂ થશે અને 'રંગાપાની' (Rangapani) રેલવે સ્ટેશન સુધી જશે. આ વિસ્તાર ખુબ જ સાંકડો હોવાથી ત્યાં જમીનની ઉપર લાઈન નાખવી મુશ્કેલ છે, તેથી અંડર ગ્રાઉન્ડ વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે.
કેમ અચાનક લેવાયો નિર્ણય? - બાંગ્લાદેશ ફેક્ટર
સરકાર દ્વારા આ પગલું ભરવા પાછળનું મુખ્ય કારણ પાડોશી દેશોની બદલાયેલી દાનત છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ગયા પછી ત્યાં ભારત વિરોધી ગતિવિધિઓ તેજ બની છે. ઢાકા તરફથી એવા ઘણા નિવેદનો આવ્યા છે જેમાં સિલીગુડી કોરિડોરને 'ચોક' (Choke) કરવાની એટલે કે બ્લોક કરવાની વાત કરવામાં આવી હતી.
વચગાળાની સરકારના પ્રમુખ મુહમ્મદ યુનુસે તો ચીનની મુલાકાત વખતે ચીનને આ વિસ્તારમાં આવવાનું આમંત્રણ પણ આપી દીધું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે ભારતના સાત રાજ્યોને રસ્તા માટે બાંગ્લાદેશની જરૂર છે. આવી સ્થિતિમાં ભારત હવે બાંગ્લાદેશ કે મ્યાનમાર જેવા દેશોના ભરોસે બેસી રહેવા માંગતું નથી.
સુરક્ષા માટે મોટો પડકાર અને ઉકેલ
આપણા દુશ્મન દેશોની નજર હંમેશા આ 'ચિકન નેક' પર જ હોય છે. ભૂતકાળમાં દિલ્હી રમખાણોના આરોપી શરજીલ ઈમામે પણ આ કોરિડોરને બ્લોક કરીને આસામ અને નોર્થ-ઈસ્ટને ભારતથી અલગ કરવાની વાત કરી હતી, જેનો વીડિયો ખુબ વાયરલ થયો હતો.
અગાઉ ભારતે મ્યાનમારના સિત્વે પોર્ટ દ્વારા અને બાંગ્લાદેશના રસ્તે ટ્રાન્સપોર્ટ માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ મ્યાનમારમાં સૈન્ય શાસન અને ચીનની દખલગીરી તથા બાંગ્લાદેશમાં અસ્થિરતાને કારણે એ રસ્તાઓ હવે સુરક્ષિત નથી રહ્યા. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે હવે ભારતની જમીન પર જ, અને તે પણ જમીનની નીચે સુરક્ષિત રસ્તો બનાવીને દુશ્મનોના ઈરાદા પર પાણી ફેરવવાનું નક્કી કર્યું છે.