Middle East crisis: ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચારથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ ઈરાન ભારે ગુસ્સામાં છે અને તેણે ખુલ્લેઆમ અમેરિકા અને ઈઝરાયલને સીધી ચેતવણી આપી દીધી છે. આવનારા દિવસોમાં મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ તંગ બની શકે છે.
‘આ એક મોટો ગુનો છે, બક્ષવામાં નહીં આવે'
ઈરાનની કેબિનેટે આક્ષેપ કર્યો છે કે ખામેનેઈનું મોત અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં થયું છે. સરકારે આકરા શબ્દોમાં કહ્યું છે કે આ એક બહુ મોટો ગુનો છે અને આ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. હુમલાખોરોને કોઈ પણ ભોગે એમ જ છોડવામાં નહીં આવે.
દેશમાં રોષ અને 7 દિવસનો શોક
રિવોલ્યુશનરી ગાર્ડની ચેતવણી: ઈરાનના અર્ધલશ્કરી દળ 'રિવોલ્યુશનરી ગાર્ડ'એ સ્પષ્ટ કર્યું છે કે ખામેનેઈની હત્યા કરનારાઓને કઠોર અને નિર્ણાયક સજા આપવામાં આવશે.
7 દિવસની રજા: આ ઘટનાથી ઈરાનની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશભરમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક અને રજા જાહેર કરવામાં આવી છે.
સેટેલાઇટ તસવીરોમાં દેખાઈ તબાહી
યુરોપિયન એરોસ્પેસ કંપની ‘એરબસ’ દ્વારા લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરો પણ સામે આવી છે. આ તસવીરોમાં તે જગ્યાએ ભારે બોમ્બમારો અને નુકસાન સ્પષ્ટ જોવા મળે છે જ્યાં ખામેનેઈનું મોત થયું હતું.
આ મુદ્દે ઈરાનની સરકારી ટીવી ચેનલે જણાવ્યું છે કે, ખામેનેઈનું મોત તેમના કાર્યાલયમાં થયું છે. આ બાબત દર્શાવે છે કે તેઓ હંમેશા જનતાની પડખે ઊભા રહ્યા અને અંત સુધી પોતાની જવાબદારીઓ નિભાવવામાં ક્યારેય પાછળ નહતા હટ્યા.
ખામેનેઈના નિધનથી ઈરાનનું ભવિષ્ય હવે અનિશ્ચિતતામાં મુકાઈ ગયું છે. આનાથી સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા અને યુદ્ધનો ખતરો અનેકગણો વધી ગયો છે.
બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મોતની જાહેરાત કરતા એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ખામેનેઈના જવાથી ઈરાનના લોકોને હવે પોતાના દેશની કમાન પોતાના હાથમાં પાછી લેવાની સૌથી મોટી તક મળી છે.
ખામેનેઈના મોત બાદ ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેની દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી છે. હવે દુનિયાની નજર ઈરાનના આગળના પગલાં પર રહેશે, કારણ કે આ એક ઘટના ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી શકે તેટલી ગંભીર છે.