India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ ફરી એકવાર ટળી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વધારવાની ધમકી અને વોશિંગ્ટનથી કોઈ સંકેત ન મળતા વાટાઘાટો અટકી પડી છે. જાણો ભારતીય નિકાસકારો પર તેની શું અસર થશે અને સમગ્ર મામલો શું છે.
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ ફરી એકવાર ટળી છે.
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં ફરી એકવાર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. લાંબા સમયથી બંને દેશો વચ્ચે જે 'ટ્રેડ ડીલ' (વ્યાપાર કરાર)ની રાહ જોવાઈ રહી હતી, તે ફરી પાછી ઠેલાઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વલણ અને ટેરિફની ધમકીઓને કારણે આ મહત્વની વાતચીત પર બ્રેક લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
વોશિંગ્ટનથી કોઈ સમાચાર નહીં
થોડા સમય પહેલાં જ અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે એક આશા જગાડી હતી. તેમણે કહ્યું હતું કે મંગળવાર, 13 જાન્યુઆરી, 2026થી ટ્રેડ ડીલ પર ફરીથી વાતચીત શરૂ થઈ શકે છે. જોકે, આ આશા ઠગારી નીવડી છે. તાજેતરના અહેવાલો મુજબ, આ અઠવાડિયે ભારત અને અમેરિકા વચ્ચે કોઈ જ મીટિંગ કે વાતચીત નક્કી કરવામાં આવી નથી.
ભારતના વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમને વોશિંગ્ટન તરફથી આ અંગે કોઈ સત્તાવાર મેસેજ કે સૂચના મળી નથી. સામેથી કોઈ જવાબ ન મળતા હાલ પૂરતી આ ચર્ચા અટકી પડી છે.
ટ્રમ્પની ધમકી અને ટેરિફનું ટેન્શન
આ સમગ્ર મામલો ત્યારે ગૂંચવાયો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આકરા તેવર બતાવ્યા છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જે દેશો ઈરાન સાથે વેપાર કરશે, તેમના પર 25% વધારાનો ટેરિફ લગાવવામાં આવશે. આ નિવેદન ભારત માટે ચિંતાનો વિષય છે.
અહીં નોંધવું જરૂરી છે કે, હાલમાં પણ અમેરિકામાં ભારતીય સામાન પર 50% જેટલો જંગી ટેરિફ લાગે છે. આ ઊંચા ટેક્સને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને ભારત ઈચ્છે છે કે આમાં ઘટાડો થાય.
ટેરિફ હોવા છતાં ભારતની નિકાસ વધી
એક રસપ્રદ વાત એ છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફ છતાં ભારતીય સામાનની માંગ ત્યાં ઘટી નથી. આંકડાઓ પર નજર કરીએ તો એપ્રિલથી નવેમ્બર દરમિયાન અમેરિકામાં ભારતની નિકાસમાં 11.4%નો વધારો થયો છે.
આ સમયગાળામાં કુલ નિકાસ 59.04 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ દર્શાવે છે કે ટેક્સના અવરોધો છતાં ભારતીય પ્રોડક્ટ્સ અમેરિકન માર્કેટમાં પોતાની જગ્યા બનાવી રહી છે.
રશિયા અને નવું સંકટ
જોકે, આગળનો રસ્તો એટલો સરળ નથી. જો અમેરિકન કોંગ્રેસ રશિયા અને તેના મિત્ર દેશો વિરુદ્ધ નવું 'પ્રતિબંધ વિધેયક' (Sanctions Bill) પસાર કરશે, તો ભારતીય નિકાસકારોની મુશ્કેલીઓ વધી શકે છે. હાલમાં ભારત અને અમેરિકા બંને પક્ષો કોઈ વચગાળાના કરાર સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ક્યારે વાતચીત ફરી શરૂ થશે અને ક્યારે ઉકેલ આવશે, તેની કોઈ ચોક્કસ તારીખ હજુ નક્કી થઈ નથી.