India vs Pakistan: આખરે પાકિસ્તાન ઝૂક્યું! T20 World Cup 2026માં ભારત સામે રમવા તૈયાર, જાણો ક્યારે રમાશે મહામુકાબલો
T20 World Cup 2026માં India vs Pakistan મેચને લઈને મોટા સમાચાર! પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આખરે ભારત સામે રમવા રાજી થયું છે. જાણો 15 ફેબ્રુઆરીએ રમાનારી મેચ અને ICC મીટિંગની સંપૂર્ણ વિગતો અહીં વાંચો.
T20 World Cup 2026માં India vs Pakistan મેચને લઈને મોટા સમાચાર! પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આખરે ભારત સામે રમવા રાજી થયું છે.
India vs Pakistan: ક્રિકેટ ચાહકો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. T20 World Cup 2026ની સૌથી હાઈ-પ્રોફાઈલ ગણાતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર લટકતી તલવાર હવે હટી ગઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો હવે અંત આવ્યો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આખરે ભારત સામે રમવા માટે રાજી થઈ ગયું છે.
આ નિર્ણય બાદ હવે ક્રિકેટના મેદાન પર કટ્ટર હરીફો ગણાતા ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે. મળતી માહિતી મુજબ, આ મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોના મેદાન પર રમાશે.
લાહોરમાં યોજાયેલી બેઠકમાં ICCની જીત
લાહોરમાં એક મહત્વપૂર્ણ ત્રિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC), પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ICCની કૂટનૈતિક જીત થઈ છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, પાકિસ્તાન હવે ભારત સામે રમવા માટે તૈયાર થઈ ગયું છે અને તેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.
પાકિસ્તાનની શરતો અને ICCનું વલણ
ભારત સામે રમવા માટે પાકિસ્તાને ICC સમક્ષ કેટલીક શરતો મૂકી હતી, પરંતુ ICCએ કડક વલણ અપનાવતા પાકિસ્તાનની મોટાભાગની માંગણીઓ ફગાવી દીધી છે. પાકિસ્તાને મુખ્યત્વે 3 માંગણીઓ કરી હતી:
* ICC દ્વારા મળતા વાર્ષિક ફંડમાં વધારો કરવામાં આવે.
* ICC ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ ફરી શરૂ કરવા પ્રયાસ કરે.
* મેચ પછી હાથ મિલાવવા જેવી પરંપરાઓનું પાલન થાય.
જોકે, ICCએ આ ત્રણેય મુખ્ય માંગણીઓ માનવાનો ઈન્કાર કરી દીધો છે. માત્ર એક જ રાહત આપવામાં આવી છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર આ સમગ્ર ઘટનાક્રમ માટે કોઈ આર્થિક દંડ ફટકારવામાં આવશે નહીં અને તેમને મળતો રેવન્યુ શેર યથાવત રહેશે.
અન્ય દેશોનું દબાણ અને નિર્ણય
લાહોરમાં યોજાયેલી આ બેઠકમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ અને ICCના ઉપાધ્યક્ષ ઈમરાન ખ્વાજાએ PCB ચીફ નકવી સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત શ્રીલંકા અને UAE ક્રિકેટ બોર્ડે પણ પાકિસ્તાનને પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવા વિનંતી કરી હતી. અમીનુલ ઈસ્લામે પાકિસ્તાનનો આભાર માન્યો હતો પરંતુ સાથે જ બહિષ્કાર પૂરો કરવા અનુરોધ કર્યો હતો.
નકવીએ આ તમામ બાબતોની જાણકારી પાકિસ્તાન સરકારને આપી હતી, ત્યારબાદ પાકિસ્તાન નરમ પડ્યું હોવાનું મનાય છે.
ક્રિકેટ જગત માટે રાહતના સમાચાર
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો એ ક્રિકેટની દુનિયાની સૌથી મોટી મેચ ગણાય છે, જેમાંથી ICC અને બ્રોડકાસ્ટર્સને સૌથી વધુ કમાણી થાય છે. જો આ મેચ રદ થઈ હોત તો ક્રિકેટ બોર્ડ અને ICCને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવત. પરંતુ હવે મેચ રમાવાની હોવાથી ક્રિકેટ ઈકોસિસ્ટમ અને દુનિયાભરના કરોડો ક્રિકેટ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.