India Worlds Largest Rice Producer: ચીનને પછાડી ભારત બન્યું ચોખાનું બાદશાહ, કૃષિ મંત્રી શિવરાજ સિંહે આપી ખુશખબર
India Worlds Largest Rice Producer: ભારતે કૃષિ ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે. હવે ચીનને પાછળ છોડીને ભારત દુનિયાનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બની ગયો છે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 15.18 કરોડ ટન ઉત્પાદન સાથે આ મોટી જાહેરાત કરી છે. જાણો વિગતવાર.
India Worlds Largest Rice Producer: ભારતે કૃષિ ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે.
India Worlds Largest Rice Producer: ભારતીય ખેતી અને ખેડૂતો માટે અત્યંત ગૌરવના સમાચાર સામે આવ્યા છે. ભારતે હવે ડાંગરના ઉત્પાદનમાં તેના પડોશી દેશ અને વર્ષોથી નંબર વન રહેલા ચીનને પણ પાછળ છોડી દીધું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે સત્તાવાર રીતે જાહેર કર્યું કે ભારત હવે દુનિયાનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બની ગયો છે.
ભારતનું ઉત્પાદન 15.18 કરોડ ટન પહોંચ્યું
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણે આ માહિતી આપી હતી. તેમણે આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારતનું કુલ ચોખા ઉત્પાદન 15.18 કરોડ ટન સુધી પહોંચી ગયું છે. જ્યારે આ સરખામણીમાં ચીનનું ઉત્પાદન 14.5 કરોડ ટન રહ્યું છે. આમ, ભારતે ચીન કરતા વધુ ચોખા પકવીને વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. મંત્રીએ આને દેશ માટે એક અભૂતપૂર્વ સિદ્ધિ ગણાવી હતી.
ખેડૂતો માટે 184 નવી જાતો લોન્ચ
આ કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રીએ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા તૈયાર કરવામાં આવેલી 25 અલગ-અલગ પાકોની 184 નવી અને સુધારેલી જાતોનું અનાવરણ કર્યું હતું. તેમણે કહ્યું કે આ નવી જાતો વધુ ઉત્પાદન આપશે, જેનાથી ખેડૂતોની આવકમાં સીધો વધારો થશે. તેમણે મંત્રાલયના અધિકારીઓને કડક સૂચના આપી છે કે આ નવા બિયારણો ખેડૂતો સુધી ઝડપથી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
બિયારણ વિકાસમાં મોટી સફળતા
શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે દેશમાં સારી ગુણવત્તાવાળા અને વધુ પાક આપતા બિયારણો વિકસાવવામાં મોટી સફળતા મળી છે. વર્ષ 1969થી અત્યાર સુધીમાં કુલ 7205 પાકની જાતો નોટિફાઈ કરવામાં આવી છે. જેમાં ચોખા, ઘઉં, મકાઈ, કઠોળ, તેલીબિયાં અને રેસાવાળા પાકોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી, એટલે કે છેલ્લા 10 વર્ષમાં 3236 હાઈ-યીલ્ડ જાતોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 1969 થી 2014 વચ્ચેના લાંબા ગાળામાં માત્ર 3969 જાતો આવી હતી.
ભારત બન્યું ગ્લોબલ ફૂડ પ્રોવાઈડર
પોતાના સંબોધનમાં કૃષિ મંત્રીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે ભારતમાં અનાજની અછત હતી, પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. ભારત હવે દુનિયાને અનાજ પૂરું પાડતું ગ્લોબલ ફૂડ પ્રોવાઈડર બની ગયું છે. આપણે માત્ર આપણી જરૂરિયાત જ પૂરી નથી કરતા, પરંતુ વિદેશી બજારોમાં પણ ચોખાની નિકાસ કરી રહ્યા છીએ. દેશમાં અનાજનો ભંડાર ભરેલો છે, જે ભારતની ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવે છે.