વિદેશી ભૂમિ કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય શીખો વસે છે. આવી સ્થિતિમાં જો ત્યાંની સરકાર કોઈ નિર્ણય લે છે તો તેની સીધી અસર ભારત પર પડે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે એક મોટી જાહેરાત કરી છે. ટ્રુડોએ કેનેડામાં કામચલાઉ નોકરી કરતા વિદેશીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે.
કેનેડિયનોને વધુને વધુ નોકરીઓ આપવી જોઈએ - ટ્રુડો
પીએમ જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "અમે કેનેડામાં આવતા ઓછા વેતનના અસ્થાયી વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરી રહ્યા છીએ." દેશનું લેબર માર્કેટ ઘણું બદલાઈ ગયું છે. હવે સમય આવી ગયો છે કે અમારી કંપનીઓ કેનેડિયન કામદારો અને યુવાનોને વધુને વધુ નોકરીઓ પ્રોવાઈડ કરે.
જસ્ટિન ટ્રુડોના આ નિર્ણયની કેનેડામાં ઓછા પગાર પર કામ કરતા અને અસ્થાયી નોકરી કરતા લાખો વિદેશીઓ પર અસર થવાની છે. કેનેડામાં રહેતા વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય શીખ અને વિદ્યાર્થીઓ છે. જેઓ ત્યાં રહે છે અને નાના ઉદ્યોગો અને કંપનીઓમાં કામ કરે છે.
કેનેડામાં સ્થાનિક લોકોમાં બેરોજગારી વધી
કોરોના પછીના સમયગાળામાં શ્રમની તીવ્ર અછત દરમિયાન સરકારે પ્રતિબંધો હળવા કર્યા બાદ કેનેડામાં વિદેશી કામદારોની સંખ્યામાં ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે. કેનેડાના કેટલાક નિષ્ણાતો માને છે કે આ પગલાથી સ્થાનિક લોકો અને યુવાનોમાં બેરોજગારી વધી છે.