PM Modi Mann Ki Baat: મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે 4.26 લાખ ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી, પીએમ મોદીએ ખાડી દેશોનો માન્યો આભાર
PM Modi Mann Ki Baat: પીએમ મોદીએ 132મા મન કી બાત કાર્યક્રમમાં મિડલ ઈસ્ટના સંકટ અંગે ચર્ચા કરી. 1 કરોડ ભારતીયોની સુરક્ષા માટે ખાડી દેશોનો આભાર માન્યો અને 4.26 લાખ લોકોની ઘરવાપસીની માહિતી આપી.
PM Modi Mann Ki Baat: પીએમ મોદીએ 132મા મન કી બાત કાર્યક્રમમાં મિડલ ઈસ્ટના સંકટ અંગે ચર્ચા કરી.
PM Modi Mann Ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત ના 132મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા આ સંકટ વચ્ચે પીએમ મોદીએ ખાસ કરીને ખાડી દેશોનો આભાર માન્યો હતો. ખાડી દેશોમાં અત્યારે લગભગ 1 કરોડ જેટલા ભારતીયો રહે છે, જેમની સુરક્ષા માટે આ દેશોએ ભારતને પૂરો સાથ આપ્યો છે.
પીએમ મોદીએ જણાવ્યું કે માર્ચ મહિનો આખી દુનિયા માટે ઘણી ઉથલપાથલ વાળો રહ્યો છે.
મન કી બાત માં પીએમ મોદીના મુખ્ય મુદ્દાઓ:
ખાડી દેશોનો આભાર: પીએમ મોદીએ કહ્યું કે, "ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પાડોશી દેશોમાં પરિસ્થિતિ ઘણી ગંભીર છે. પરંતુ ખાડી દેશોની સરકારોએ ત્યાં રહેતા આપણા ભારતીય નાગરિકોને દરેક પ્રકારની મદદ અને સુવિધાઓ આપી છે, તે માટે હું તેમનો ખૂબ આભારી છું."
ઈંધણ અને એનર્જી ક્રાઈસિસ: પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું કે યુદ્ધના કારણે આખી દુનિયામાં પેટ્રોલ અને ડીઝલના સપ્લાય પર માઠી અસર પડી છે. જેનાથી દુનિયાભરમાં ઈંધણની અછત ઊભી થઈ છે.
ભારતની મજબૂત તૈયારી: તેમણે દેશવાસીઓને ભરોસો અપાવ્યો કે ભારત પોતાની આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને છેલ્લા 10 વર્ષમાં વિકસાવેલી તાકાતના જોરે આ તમામ પડકારોનો મક્કમતાથી સામનો કરી રહ્યું છે.
દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થા પર સરકારની ચાંપતી નજર
તમને જણાવી દઈએ કે, મન કી બાત કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ એક ઉચ્ચ-સ્તરીય બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં પેટ્રોલિયમ, ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, વીજળી અને ખાતરના સપ્લાય વિશે બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી હતી. ભારત મોટાભાગનું ખાતર આ જ દેશોમાંથી આયાત કરે છે, તેથી સપ્લાય ચેઈન ન ખોરવાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે સરકારે તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી છે.
અત્યાર સુધીમાં 4.26 લાખ ભારતીયો પરત ફર્યા
ભારત સરકારે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને હેમખેમ પાછા લાવવા માટે પોતાનું ઓપરેશન વધુ તેજ કરી દીધું છે. વિદેશ મંત્રાલયના રિપોર્ટ મુજબ, 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 4.26 લાખથી વધુ ભારતીયો સહીસલામત પોતાના દેશ પાછા ફરી ચૂક્યા છે.
એકલા ઈરાનમાંથી જ લગભગ 1000 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 700 થી વધુ તો મેડિકલના વિદ્યાર્થીઓ છે. આ લોકોને આર્મેનિયા અને અઝરબૈજાનના રસ્તેથી સુરક્ષિત પાછા લાવવામાં આવ્યા છે.
હાલમાં કુવૈત અને બહેરીનનો એરસ્પેસ બંધ છે, આથી ફસાયેલા ભારતીયોને સાઉદી અરેબિયાના રસ્તેથી દેશમાં લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ભારતીયો માટે 24 કલાક હેલ્પલાઈન શરૂ
ભારત સરકારે ખાડી દેશોમાં રહેતા અને ફસાયેલા પોતાના નાગરિકોની મદદ માટે તમામ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. યુદ્ધની અસર થઈ હોય તેવા તમામ દેશોમાં આવેલી ભારતીય એમ્બેસી દ્વારા 24/7 હેલ્પલાઈન અને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે ભારત સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા અને દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે દરેક મોરચે સજ્જ છે.