AI Impact Summit 2026: ટેકનોલોજીની દુનિયામાં અત્યારે સૌથી મોટી ચર્ચા એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવાથી લોકોની નોકરીઓ જતી રહેશે. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ ડરને પાયાવિહોણો ગણાવ્યો છે. 19 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી AI ઇમ્પેક્ટ સમિટ 2026માં તેમણે સ્પષ્ટ કર્યું કે અમે સાબિત કરીશું કે AI ના કારણે નોકરીઓ ખતમ નહીં થાય પરંતુ રોજગારીની નવી તકોમાં વધારો થશે.
અંબાણીએ પોતાના સંબોધનમાં AIને માત્ર એક ટેકનોલોજી પૂરતું સીમિત ન રાખતા તેને એક મોટું સ્વરૂપ આપ્યું. તેમણે કહ્યું કે આના દ્વારા માણસ પોતાના જેવી જ એક સિસ્ટમ બનાવી રહ્યો છે. તેમના મતે AI એક એવો મંત્ર છે જે દરેક યંત્રની ક્ષમતા વધારવાની તાકાત ધરાવે છે. તેમણે આ નવી ટેકનોલોજીને એક અક્ષયપાત્ર સાથે સરખાવી જેની ક્ષમતાનો કોઈ અંત નથી.
આ સમિટમાં અંબાણી પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ સામાન્ય માણસના હિતમાં આ ટેકનોલોજીના ઉપયોગ પર ખાસ ભાર મૂક્યો. મુકેશ અંબાણીએ વડાપ્રધાનના વિઝનની પ્રશંસા કરતા કહ્યું કે પીએમ મોદીનું AI પાવર્ડ ઇન્ડિયાનું સપનું ગ્લોબલ સાઉથ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ગ્લોબલ AI સમિટ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ છે.
રિલાયન્સના વડાએ સ્પષ્ટ કર્યું કે ભારત 21 મી સદીમાં AI ક્ષેત્રે સૌથી મોટી તાકાત બનીને ઊભરશે. તેમણે દુનિયાના દેશો વચ્ચે વધતી અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરી. જો AI ની તાકાત માત્ર ગ્લોબલ નોર્થ પૂરતી જ મર્યાદિત રહેશે તો ગરીબ અને અમીર દેશો વચ્ચેની ખાઈ વધુ પહોળી થશે.