Caste Census India: વસતી ગણતરીમાં હવે જ્ઞાતિ નક્કી કરવા પૂરાવા આપવા પડશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી મોટી સલાહ
Caste Census India: શું 2027ની વસતી ગણતરીમાં જાતિ લખાવવા માટે માત્ર 'સ્વ-ઘોષણા' (Self-declaration) ચાલશે કે પછી ચોક્કસ સિસ્ટમ હશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને વસતી ગણતરી કમિશનરને શું મહત્વની ટકોર કરી છે? જાણો વિગતે.
Caste Census India: ભારતમાં આગામી વસતી ગણતરીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.
Caste Census India: ભારતમાં આગામી વસતી ગણતરીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર, ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસતી ગણતરી કમિશનરને એક ખાસ સૂચન પર વિચાર કરવા જણાવ્યું છે. આ મામલો 2027માં યોજાનારી વસતી ગણતરીમાં જાતિની નોંધણી સાથે જોડાયેલો છે.
શું છે સમગ્ર મામલો?
વાત એમ છે કે, સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) કરવામાં આવી હતી. જેમાં એવી માંગ કરવામાં આવી હતી કે, વસતી ગણતરીમાં જ્યારે નાગરિકોની જાતિ પૂછવામાં આવે ત્યારે તે માત્ર 'સ્વ-ઘોષણા' એટલે કે વ્યક્તિ જે કહે તે માની લેવાને બદલે, તેની ખરાઈ કરવા માટે એક ચોક્કસ સિસ્ટમ હોવી જોઈએ.
જોકે, સુપ્રીમ કોર્ટે આ PIL પર સીધી સુનાવણી કરવાનો તો ઇનકાર કરી દીધો છે, પરંતુ કોર્ટે સરકારને ટકોર કરી છે કે અરજદારના આ સૂચન પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે. કોર્ટે કહ્યું કે આ એક વ્યાજબી મુદ્દો છે અને સત્તાધિકારીઓએ તેના પર ધ્યાન આપવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "અરજીમાં એક સુસંગત મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે." કોર્ટે વધુમાં જણાવ્યું કે વસતી ગણતરીની પ્રક્રિયા 'વસતી ગણતરી અધિનિયમ, 1958' અને 1990ના નિયમો મુજબ ચાલે છે. આ કાયદા હેઠળ સરકાર પાસે સત્તા છે કે ગણતરી કેવી રીતે કરવી તેની પદ્ધતિ નક્કી કરે.
કોર્ટે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, રજિસ્ટ્રાર જનરલ અને વસતી ગણતરી કમિશનરની ઓફિસ કોઈપણ ભૂલ ન થાય તે માટે નિષ્ણાતોની મદદ લઈને એક મજબૂત વ્યવસ્થા તૈયાર કરશે.
પારદર્શક પ્રક્રિયાની માંગ
અરજદાર આકાશ ગોયલ વતી વકીલ મુક્તા ગુપ્તાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, જાતિના આંકડા ભેગા કરવા માટે જે પ્રશ્નાવલી વપરાય છે તે પારદર્શક હોવી જોઈએ. તે સામાન્ય જનતા માટે ઉપલબ્ધ હોવી જોઈએ જેથી લોકોને ખબર પડે કે તેમની જાતિ કયા આધારે નોંધવામાં અને ચકાસવામાં આવે છે. અરજદારે ચિંતા વ્યક્ત કરી હતી કે જાતિના ડેટા માટે અગાઉથી નક્કી કરેલો કોઈ આધાર ઉપલબ્ધ નથી.
2027ની વસતી ગણતરી કેમ ખાસ છે?
આવનારી વસતી ગણતરી ઘણી રીતે ઐતિહાસિક સાબિત થવાની છે. તેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
16મી વસતી ગણતરી: વર્ષ 2027ની ગણતરી ભારતની સત્તાવાર 16મી રાષ્ટ્રીય વસતી ગણતરી હશે.
જાતિ ગણતરી: આઝાદી પહેલા વર્ષ 1931માં છેલ્લે જાતિ આધારિત ગણતરી થઈ હતી. ત્યારપછી આ પ્રથમ વખત હશે જ્યારે વ્યાપક સ્તરે જાતિગત ગણતરીનો સમાવેશ કરવામાં આવશે.
ડિજિટલ વસતી ગણતરી: આ દેશની પહેલી સંપૂર્ણ ડિજિટલ સેન્સસ હશે.
ટુંકમાં, સુપ્રીમ કોર્ટે અરજીનો નિકાલ કરતા દડો હવે સરકારની કોર્ટમાં નાખ્યો છે. હવે જોવું રહ્યું કે 2027માં જ્યારે ગણતરી થશે ત્યારે જાતિ નોંધાવવા માટે સરકાર કઈ પદ્ધતિ અપનાવે છે.