શેરબજાર માટે મોટા સમાચાર: આખા F&O માં કોઈ સમસ્યા નથી, નિયમો પર થશે વિચાર, સેબી ચીફ તુહીનકાંત પાંડેએ કહી આ મોટી વાતો
સેબી ચેરમેન તુહીનકાંત પાંડેએ પોતાના કાર્યકાળના 1 વર્ષ નિમિત્તે F&O ટ્રેડિંગ, IPO અને શેર બજાર વિશે મોટા નિવેદનો આપ્યા છે. જાણો રોકાણકારો માટે શું છે ખાસ.
તુહીન કાંત પાંડેએ સોશિયલ મીડિયા પર રજીસ્ટ્રેશન વગર ખોટી સલાહ આપતા 'ફિન-ઈન્ફ્લુએન્સર' (Fin-fluencers) સામે ચેતવણી આપી છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરમેન તુહીન કાંત પાંડેએ પોતાના કાર્યકાળનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. આ ખાસ તકે મનીકંટ્રોલને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં તેમણે શેર બજાર, F&O (ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ), IPO, અને વીકલી એક્સપાયરી જેવા રોકાણકારોના હિતને લગતા મહત્વના મુદ્દાઓ પર ખુલ્લા દિલે વાત કરી હતી.
"આખા F&O માર્કેટમાં કોઈ સમસ્યા નથી"
રોકાણકારોમાં F&O ને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે સેબી ચીફે સ્પષ્ટ કર્યું કે આખા F&O સેગમેન્ટમાં કોઈ મોટી સમસ્યા નથી. રેગ્યુલેટરની મુખ્ય ચિંતા માત્ર અમુક ચોક્કસ હિસ્સાને લઈને છે, ખાસ કરીને શોર્ટ-ડેટેડ ઈન્ડેક્સ ઓપ્શન્સ (જેમ કે વીકલી એક્સપાયરી) માં થતી ભારે સટ્ટાબાજી.
શું બજારમાં F&O ટ્રેડિંગ માટે કોઈ યોગ્યતા નિયમો લાગુ થશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, સેબી હાલમાં અગાઉ લીધેલા પગલાંઓની અસર ચકાસી રહી છે. ઓક્ટોબર 2024 થી લઈને ડિસેમ્બર સુધી ઘણા કડક નિયમો લાગુ કરાયા છે. કોઈ પણ નવો નિયમ લાવવામાં સેબી ઉતાવળ નહીં કરે, પણ જો જરૂર પડશે તો સમજી-વિચારીને ચોક્કસ પગલાં લેવાશે.
બનાવટી 'ફિન-ઈન્ફ્લુએન્સર' સામે લાલ આંખ
તુહીન કાંત પાંડેએ સોશિયલ મીડિયા પર રજીસ્ટ્રેશન વગર ખોટી સલાહ આપતા 'ફિન-ઈન્ફ્લુએન્સર' સામે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ડેરીવેટીવ્ઝ માર્કેટ ઘણું મુશ્કેલ અને જોખમી હોય છે, પરંતુ આ લોકો રોકાણકારોને રાતોરાત અમીર બનવાના સપના દેખાડીને ફસાવે છે. સેબી આવા અનરજિસ્ટર્ડ લોકો સામે સતત કડક કાર્યવાહી કરી રહી છે.
IPO ને માત્ર લિસ્ટિંગના નફાથી ન માપો
આઈપીઓ માર્કેટ વિશે વાત કરતા સેબી ચેરમેને એક બહુ મોટી સલાહ આપી છે. તેમણે કહ્યું કે, પબ્લિક ઈશ્યુને માત્ર લિસ્ટિંગ ડે ગેઇનના આધારે ન જજ કરવો જોઈએ. "લિસ્ટિંગ પોપ્સ" પર વધુ પડતું ધ્યાન આપવાને બદલે રોકાણકારોએ લાંબા ગાળાના ઇક્વિટી રોકાણ પર ફોકસ કરવું જોઈએ.
ભારતમાં IPO નું માળખું ખૂબ જ મજબૂત છે. કંપનીઓએ પોતાના બિઝનેસની તમામ માહિતી અને વેલ્યુએશન ડોક્યુમેન્ટ્સમાં આપવી પડે છે. એન્કર ઇન્વેસ્ટર હોય કે સામાન્ય રોકાણકાર, બધા પાસે પસંદગી કરવાની પૂરી તક હોય છે. અંતે માર્કેટ પોતાની રીતે જ કામ કરે છે, તેની વધઘટ પર કોઈનો કાબૂ નથી.
વર્ષ 2025: સુધારાઓનું વર્ષ
પાછલું વર્ષ ભલે પડકારજનક રહ્યું હોય, પરંતુ વર્ષ 2025 પ્રાઈમરી માર્કેટ માટે શાનદાર રહ્યું છે. ખરાબ વૈશ્વિક હાલાત છતાં ભારત IPO ની સંખ્યામાં પ્રથમ ક્રમે અને વેલ્યુએશન/ઈશ્યુના મામલે ત્રીજા ક્રમે રહ્યું છે. સેબીએ બજારમાં પારદર્શિતા વધારવા માટે એકલા 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' અંતર્ગત 58 જેટલા નવા સુધારા કર્યા છે.
ટાઈગર ગ્લોબલ ટેક્સ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રોકાણકારોમાં જે ચિંતા ઊભી થઈ હતી, તેના પર પાંડેએ કહ્યું કે મોટા નિર્ણયોથી થોડી ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ સરકાર વિદેશી રોકાણકારો સાથે સતત વાતચીત કરીને પોલિસી વધુ સ્પષ્ટ કરી રહી છે.
ટૂંકમાં કહીએ તો, સેબી ચીફનો સ્પષ્ટ મેસેજ છે કે બજારમાં લાંબા ગાળાનું રોકાણ જ ફાયદાકારક છે અને હાઈ-રિસ્ક સટ્ટાબાજીથી દૂર રહેવું જોઈએ. સેબી કોઈ પણ અવિચારી નિર્ણય લીધા વગર, રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય સમયે ધીમા અને મક્કમ પગલાં ભરવા પર ફોકસ કરી રહી છે.