17 મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બર 2024 માં FPI એ ભારતીય બજારમાં 57724 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું હતું, જે પછી હવે આટલો મોટો આંકડો જોવા મળ્યો છે.
શેરબજારના રોકાણકારો માટે એક બહુ જ સારા સમાચાર સામે આવ્યા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) એ ફરી એકવાર ભારતીય શેરબજારમાં જબરદસ્ત વિશ્વાસ દાખવ્યો છે. તાજેતરના આંકડા મુજબ, ફેબ્રુઆરી મહિનામાં FPI એ ભારતીય શેરબજારમાં 22615 કરોડ રૂપિયા ઠાલવ્યા છે. આ રોકાણ છેલ્લા 17 મહિનામાં સૌથી ઉચ્ચ સ્તરે છે.
સળંગ 3 મહિનાના વેચાણ પછી આવી મોટી ખરીદી
નોંધનીય છે કે, ફેબ્રુઆરી પહેલા સતત ત્રણ મહિનાથી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં વેચવાલ બની રહ્યા હતા. ડિપોઝિટરીના આંકડાઓ પર નજર કરીએ તો, તેઓએ જાન્યુઆરીમાં 35962 કરોડ રૂપિયા, ડિસેમ્બર 2025 માં 22611 કરોડ રૂપિયા અને નવેમ્બર 2025 માં 3765 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું. એકંદરે, વર્ષ 2025 માં FPI એ ભારતીય બજારમાંથી ચોખ્ખા રૂપમાં 1.66 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા.
17 મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બર 2024 માં FPI એ ભારતીય બજારમાં 57724 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું હતું, જે પછી હવે આટલો મોટો આંકડો જોવા મળ્યો છે.
શા માટે FPI ફરીથી આકર્ષાયા?
એન્જલ વન લિમિટેડના સિનિયર ફંડામેન્ટલ એનાલિસ્ટ જાવેદ ખાનના જણાવ્યા અનુસાર, વિદેશી રોકાણકારોના આ કમબેક પાછળ મુખ્ય 3 કારણો જવાબદાર છે:
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: બંને દેશો વચ્ચે થયેલા વચગાળાના વેપાર કરારથી રોકાણકારોમાં સકારાત્મક માહોલ ઊભો થયો છે.
વેલ્યુએશનમાં ઘટાડો: સ્થાનિક બજારમાં શેરોના વેલ્યુએશન ઘટવાથી ખરીદી માટેની સારી તક ઊભી થઈ છે.
શાનદાર કોર્પોરેટ કમાણી: ડિસેમ્બર 2025 ના ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓની કમાણીમાં 14.7 ટકાનો શાનદાર ઉછાળો જોવા મળ્યો, જેનાથી FPI નો ભરોસો વધ્યો છે.
કયા સેક્ટરમાં ખરીદી અને ક્યાં વેચાણ?
જો અલગ અલગ સેક્ટર મુજબ વાત કરીએ તો, ફેબ્રુઆરી 2026 માં વિદેશી રોકાણકારોએ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં મોટા પાયે ખરીદી કરી છે.
બીજી તરફ, IT સેક્ટર માંથી તેઓએ પોતાનું રોકાણ ઘટાડ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને લગતી ચિંતાઓને પગલે IT સેક્ટરમાં 10956 કરોડ રૂપિયાનું વેચાણ જોવા મળ્યું. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારના મતે, એન્થ્રોપિકના આંચકા અને IT સેક્ટરમાં સતત જોવા મળતી નબળાઈના કારણે જ FPI એ આઈટી શેરોમાં ભારે વેકવાલી કરી છે.
આગળ કેવો રહેશે બજારનો માહોલ?
નિષ્ણાતોનું માનવું છે કે માર્ચ મહિનામાં પણ રોકાણનો પ્રવાહ પોઝિટિવ રહી શકે છે. માર્ચ 2026 ના ક્વાર્ટરની કમાણી એ નક્કી કરશે કે નાણાકીય વર્ષ 2027 માટે કંપનીઓની આવકમાં 15 ટકાનો વધારો થશે કે નહીં. નિષ્ણાતોના મતે, FPI ઊભરતા બજારોમાં રોકાણ વધારતા પહેલા વેઇટ એન્ડ વોચનો અભિગમ અપનાવી શકે છે. જોકે, ભારતનો મજબૂત GDP ગ્રોથ અને આવકનું સારું આઉટલુક લાંબા ગાળા માટે પોઝિટિવ સંકેત આપે છે.
હાલમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં 'રિસ્ક-ઓન' સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. આગામી સમયમાં શેરબજારની ચાલ ક્રૂડ ઓઇલની કિંમતો અને રૂપિયાની વધઘટ પર કેટલી અસર થાય છે, તેના પર નિર્ભર રહેશે.