RBI Monetary Policy: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસીની જાહેરાત થઈ ગઈ છે. સામાન્ય માણસ અને લોનધારકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. RBI એ પોતાના વ્યાજ દરોમાં એટલે કે રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. તેનો સીધો અર્થ એ છે કે રેપો રેટ 5.25 ટકા પર જ જળવાઈ રહેશે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 જૂન એટલે કે શુક્રવારે સવારે 10 વાગ્યે આ મોનેટરી પોલિસીની સત્તાવાર જાહેરાત કરી હતી. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ પહેલેથી જ એવો અંદાજ લગાવી રહ્યા હતા કે કેન્દ્રીય બેંક જૂન મહિનાની આ પોલિસીમાં રેપો રેટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં કરે.
હોમ લોન અને કાર લોનના EMI પર શું અસર થશે?
RBI દ્વારા ઇન્ટરેસ્ટ રેટ ન વધારવાનો સૌથી મોટો ફાયદો સામાન્ય લોકોને થશે. આ નિર્ણયનો અર્થ એ છે કે અત્યારે હોમ લોન, કાર લોન કે અન્ય કોઈપણ પ્રકારની લોનના વ્યાજ દરોમાં કોઈ નવો વધારો નહીં થાય. જે લોકોએ પહેલેથી જ બેંકમાંથી લોન લીધી છે, તેમની EMI હાલ પૂરતી ન તો વધશે કે ન તો ઘટશે. નવી લોન લેનારા ગ્રાહકોને પણ જૂના વ્યાજ દરે જ લોન મળતી રહેશે. ટૂંકમાં, સામાન્ય માણસના ખિસ્સા પર અત્યારે લોનના હપ્તાનો કોઈ વધારાનો બોજ નહીં પડે.
કેન્દ્રીય બેંકની મોનેટરી પોલિસી કમિટીની આ મહત્વની બેઠક 3 જૂનના રોજ શરૂ થઈ હતી. આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે દેશના અર્થતંત્ર સામે અનેક મોટા પડકારો ઊભા છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. ક્રૂડ ઓઈલ મોંઘુ થવાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તાજેતરમાં ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ઈંધણ મોંઘુ થવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે, જેનાથી દેશમાં એકંદરે મોંઘવારી વધવાનું મોટું જોખમ ઊભું થયું છે.