Mutual Fund Tax: મ્યુચ્યુઅલ ફંડમાંથી 1.35 કરોડની કમાણી અને ટેક્સ 0! ઇન્કમ ટેક્સની નોટિસ છતાં NRI મહિલા આ ટ્રિકથી કેસ જીતી ગઈ | Moneycontrol Gujarati
Get App

Mutual Fund Tax: મ્યુચ્યુઅલ ફંડમાંથી 1.35 કરોડની કમાણી અને ટેક્સ 0! ઇન્કમ ટેક્સની નોટિસ છતાં NRI મહિલા આ ટ્રિકથી કેસ જીતી ગઈ

Mutual Fund Tax: મુંબઈની એક NRI મહિલાએ મ્યુચ્યુઅલ ફંડમાંથી 1.35 કરોડ રૂપિયા કમાયા છતાં ભારતમાં એક રૂપિયો પણ ટેક્સ ન ભર્યો. ઈન્કમ ટેક્સ વિભાગની નોટિસ અને લાંબી લડાઈ બાદ કોર્ટે પણ મહિલાના પક્ષમાં ચુકાદો આપ્યો. જાણો આ કેસની રસપ્રદ વિગતો.

અપડેટેડ 05:28:34 PM Jan 05, 2026 પર
Story continues below Advertisement
આ ચુકાદો એવા હજારો NRI રોકાણકારો માટે એક મિસાલ સમાન છે જેઓ સિંગાપોર જેવા દેશોમાં રહીને ભારતમાં રોકાણ કરે છે.

Mutual Fund Tax: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો તમે ભારતમાં રોકાણ કરીને નફો કમાાવ છો, તો તમારે તેના પર ટેક્સ ભરવો જ પડે છે. પરંતુ મુંબઈના એક કિસ્સાએ સૌને ચોંકાવી દીધા છે. એક NRI મહિલાએ ભારતીય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને 1.35 કરોડ રૂપિયાનો નફો કર્યો, છતાં તેમણે સરકારને ટેક્સ પેટે એક રૂપિયો પણ ચૂકવ્યો નથી. એટલું જ નહીં, ઈન્કમ ટેક્સ વિભાગ સાથેની કાનૂની લડાઈ પણ તેઓ જીતી ગયા છે.

આ કિસ્સો વિદેશમાં વસતા ભારતીયો (NRI) માટે ખૂબ જ મહત્વનો છે. ચાલો જાણીએ કે આખરે આ મહિલાએ કઈ રીતે ટેક્સ બચાવ્યો અને કોર્ટે શું નિર્ણય આપ્યો.

શું હતો આખો મામલો?

આ ઘટના મુંબઈની છે, જ્યાં એક મહિલા જે ટેક્સના નિયમો મુજબ સિંગાપોરના રહેવાસી હતા. તેમણે ભારતમાં ઇક્વિટી અને ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હતું. આ ફંડ્સ વેચીને તેમણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન તરીકે લગભગ 1.35 કરોડ રૂપિયાની કમાણી કરી.

જ્યારે ટેક્સ રિટર્ન ભરવાનો સમય આવ્યો, ત્યારે મહિલાએ ભારત-સિંગાપોર ડબલ ટેક્સેશન અવોઈડન્સ એગ્રીમેન્ટના આર્ટિકલ 13નો હવાલો આપ્યો. તેમણે દાવો કર્યો કે તેઓ સિંગાપોરના રેસિડન્ટ હોવાથી, આ નફા પર ટેક્સ માત્ર સિંગાપોરમાં જ લાગે, ભારતમાં નહીં. તેથી તેમણે ભારતમાં કોઈ ટેક્સ ભર્યો નહીં.


ઇન્કમ ટેક્સ વિભાગે મોકલી નોટિસ

મહિલાની આ દલીલ ઇન્કમ ટેક્સ વિભાગને ગળે ઉતરી નહીં. વિભાગે વાંધો ઉઠાવ્યો કે મ્યુચ્યુઅલ ફંડનું મૂલ્ય ભારતમાં રહેલી સંપત્તિઓ પર આધારિત છે, તેથી તેના પર ટેક્સ ભારતમાં જ લાગવો જોઈએ. વિભાગે મહિલાનો દાવો ફગાવી દીધો. મહિલાએ પહેલા ‘ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પેનલ’ (DRP) માં અપીલ કરી, પણ ત્યાંથી પણ તેમને નિરાશા જ મળી.

કોર્ટમાં રજૂ થઈ અનોખી દલીલ

છેવટે આ મામલો મુંબઈની ઈન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT) સુધી પહોંચ્યો. અહીં મહિલા તરફથી એક બહુ જ સ્માર્ટ કાનૂની દલીલ રજૂ કરવામાં આવી. તેમણે કહ્યું કે, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સને કંપનીના શેર ન ગણી શકાય. DTAA સંધિ મુજબ, શેરોમાંથી થતી કમાણી અને અન્ય સંપત્તિમાંથી થતી કમાણી માટે અલગ-અલગ નિયમો છે. આ કેસમાં આર્ટિકલ 13(5) લાગુ પડે છે. આ નિયમ મુજબ, મ્યુચ્યુઅલ ફંડ જેવી સંપત્તિ વેચવાથી થયેલા નફા પર ટેક્સ લેવાનો અધિકાર ફક્ત તે દેશને છે જ્યાં રોકાણકાર રહેતો હોય (ટેક્સ રેસિડન્ટ હોય). આ કિસ્સામાં મહિલા સિંગાપોરમાં રહેતા હતા, તેથી ટેક્સ લેવાનો હક ભારતને નથી.

ટ્રિબ્યુનલનો ઐતિહાસિક નિર્ણય

ITAT મુંબઈએ મહિલાની દલીલ ગ્રાહ્ય રાખી. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે ભારતીય કાયદા મુજબ મ્યુચ્યુઅલ ફંડ એક 'ટ્રસ્ટ' તરીકે રચાય છે, તે કોઈ કંપની નથી. તેથી તેના યુનિટ્સને શેર માની શકાય નહીં. આ ટેકનિકલ મુદ્દાને આધારે કોર્ટે ચુકાદો આપ્યો કે આ NRI મહિલાએ મ્યુચ્યુઅલ ફંડના કેપિટલ ગેઈન પર ભારતમાં ટેક્સ ભરવાની જરૂર નથી.

NRI રોકાણકારો માટે મોટી રાહત

આ ચુકાદો એવા હજારો NRI રોકાણકારો માટે એક મિસાલ સમાન છે જેઓ સિંગાપોર જેવા દેશોમાં રહીને ભારતમાં રોકાણ કરે છે. આ કેસ સાબિત કરે છે કે જો ટેક્સ સંધિ (Tax Treaty) અને કાયદાની સાચી સમજ હોય, તો ઇન્કમ ટેક્સની નોટિસ છતાં કાયદેસર રીતે ટેક્સ બચાવી શકાય છે અને રાહત મેળવી શકાય છે.

આ પણ વાંચો-Brahmaputra Underwater Tunnel: હવે બ્રહ્મપુત્રા નદીની નીચે દોડશે ટ્રેન અને ગાડીઓ, દેશની પહેલી 'અંડરવોટર ટનલ'ને મળી લીલી ઝંડી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 05, 2026 5:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.