ઇમરજન્સીના 50 વર્ષ: PM મોદીએ યાદ કર્યો ‘કાળો ઇતિહાસ’, સોશિયલ મીડિયા પર કરી આ અપીલ
PM મોદીએ જણાવ્યું કે, જ્યારે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી ત્યારે તેઓ RSSના યુવા પ્રચારક હતા. આ સમયગાળાએ તેમને લોકતંત્રનું મહત્વ સમજાવ્યું અને વિવિધ રાજકીય વિચારધારાઓના લોકો સાથે કામ કરવાનો અનુભવ આપ્યો.
મોદીએ ઇમરજન્સી વિરુદ્ધ લડનારા તમામ લોકોને સલામ કર્યું.
ભારતના લોકતાંત્રિક ઇતિહાસના સૌથી કાળા અધ્યાય તરીકે ઓળખાતી ઇમરજન્સીના 50 વર્ષ આજે પૂર્ણ થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ધ ઇમરજન્સી ડાયરીઝ’માં પોતાના અનુભવો શેર કર્યા છે અને દેશવાસીઓને સોશિયલ મીડિયા પર 1975-77ના દુ:ખદ સમયની યાદો શેર કરવા અપીલ કરી છે. તેમણે આ દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે યાદ કર્યો.
RSSના યુવા પ્રચારક તરીકેની યાત્રા
મોદીએ જણાવ્યું કે, જ્યારે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી ત્યારે તેઓ RSSના યુવા પ્રચારક હતા. આ સમયગાળાએ તેમને લોકતંત્રનું મહત્વ સમજાવ્યું અને વિવિધ રાજકીય વિચારધારાઓના લોકો સાથે કામ કરવાનો અનુભવ આપ્યો. તેમણે બ્લૂક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ‘ધ ઇમરજન્સી ડાયરીઝ’ પુસ્તકનો ઉલ્લેખ કર્યો, જેની પ્રસ્તાવના ઇમરજન્સી વિરોધી આંદોલનના નેતા એચ.ડી. દેવેગૌડાએ લખી છે.
સોશિયલ મીડિયા પર અનુભવો શેર કરવાની અપીલ
PM મોદીએ X પ્લેટફોર્મ પર પોસ્ટમાં લખ્યું, “ઇમરજન્સીના તે કાળા દિવસોની યાદો ધરાવતા લોકો અને જેમના પરિવારોએ તે સમયે કષ્ટો ભોગવ્યા, તેઓ પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરે. આનાથી યુવા પેઢીમાં 1975-77ના શરમજનક સમય વિશે જાગૃતિ આવશે.”
When the Emergency was imposed, I was a young RSS Pracharak. The anti-Emergency movement was a learning experience for me. It reaffirmed the vitality of preserving our democratic framework. At the same time, I got to learn so much from people across the political spectrum. I am… https://t.co/nLY4Vb30Pu
મોદીએ ઇમરજન્સી વિરુદ્ધ લડનારા તમામ લોકોને સલામ કર્યો. તેમણે કહ્યું, “વિવિધ વિચારધારાઓ અને પ્રદેશોમાંથી આવેલા લોકોએ એકજૂટ થઈને ભારતના લોકતાંત્રિક માળખાને બચાવ્યું. તેમના સંઘર્ષે તત્કાલીન કોંગ્રેસ સરકારને લોકતંત્ર ફરી સ્થાપિત કરવા અને નવી ચૂંટણીઓ યોજવા મજબૂર કરી, જેમાં તેઓ હારી ગયા.”
BJPનો ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમ
ભાજપ આજે દેશભરમાં ‘સંવિધાન હત્યા દિવસ’ મનાવશે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત હાજર રહેશે. આ કાર્યક્રમમાં નવી પેઢીને ઇમરજન્સીના કાળા અધ્યાય અને તે દરમિયાન નાગરિકોના અધિકારોનું હનન કેવી રીતે થયું તેની માહિતી આપવામાં આવશે.