વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 28 મે 2023ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે, નવું સંસદ ભવન દેશ અને તેની જનતાને સમર્પિત કરવામાં આવ્યું છે. હવે સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બીજો તબક્કો બપોર બાદ શરૂ થશે. આ દરમિયાન લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ પોતાનું સંબોધન આપશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો સંદેશ પણ વાંચવામાં આવશે. આ પછી પીએમ મોદીનું સંબોધન પણ થશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
નવા સંસદભવનના ઉદ્ઘાટનના કાર્યક્રમ દરમિયાન સર્વધર્મ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. તેમાં 12 ધર્મોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને નવી સંસદ માટે પ્રાર્થના કરી હતી. સર્વધર્મ પ્રાર્થના સભામાં વડાપ્રધાન મોદી ઉપરાંત લોકસભાના સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ દરમિયાન બૌદ્ધ, જૈન, પારસી, હિંદુ, શીખ, ખ્રિસ્તી, ઇસ્લામ ધર્મ સહિત અનેક પ્રતિનિધિઓએ પ્રાર્થના કરી હતી.
શ્રમિકો સાથે પીએમ મોદીની મુલાકાત
નવી સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેને બનાવનાર કામદારોનું પણ પીએમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહ પછી, પીએમ કેટલાક પસંદગીના કાર્યકરોને મળ્યા. પીએમએ તે કાર્યકરોને શાલ અને ભેટ આપીને સન્માનિત કર્યા હતા.