‘નરવણે ખોટું બોલે છે કે પેંગ્વિન?' પુસ્તક વિવાદ પર રાહુલ ગાંધીનો મોટો સવાલ, કહ્યું- અમને પૂર્વ આર્મી ચીફ પર પૂરો ભરોસો છે
Book Controversy: પૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેના પુસ્તકને લઈને વિવાદ વકર્યો છે. રાહુલ ગાંધીએ પુસ્તક લીક કેસમાં નોંધાયેલી FIR પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સરકારને સત્ય છુપાવવાનો ડર છે. જાણો શું છે સમગ્ર મામલો અને પેંગ્વિનનો ખુલાસો.
Book Controversy: પૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેના પુસ્તકને લઈને વિવાદ વકર્યો છે.
Indian Army Chief: ભારતીય સેનાના પૂર્વ ચીફ જનરલ મનોજ નરવણે (નિવૃત્ત) ના બહુચર્ચિત પુસ્તકને લઈને વિવાદ અને રાજકારણ ગરમાયું છે. આ પુસ્તકના કથિત લીક અંગે દિલ્હી પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી છે, જેના પર હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને પબ્લિશર કરતા દેશના પૂર્વ આર્મી ચીફ પર વધારે ભરોસો છે.
રાહુલ ગાંધીએ મીડિયાને બતાવ્યું જૂનું ટ્વીટ
રાહુલ ગાંધીએ પોતાના દાવાના સમર્થનમાં જનરલ નરવણેનું એક જૂનું ટ્વીટ મીડિયા સમક્ષ રજૂ કર્યું હતું. હકીકતમાં, પૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેએ 15 ડિસેમ્બર 2023ના રોજ રાત્રે 8:10 વાગ્યે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, "મિત્રો, મારું પુસ્તક હવે ઉપલબ્ધ છે. બસ આ લિંકને ફોલો કરો." તેમણે આ સાથે પેંગ્વિનનું ટ્વીટ પણ શેર કર્યું હતું, જેમાં લખ્યું હતું કે પુસ્તક પ્રી-ઓર્ડર કરી શકાય છે.
‘નરવણે જૂઠ બોલી રહ્યા છે કે પેંગ્વિન?'
રાહુલ ગાંધીએ સીધો સવાલ ઉઠાવતા કહ્યું કે, "હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે - કાં તો મિસ્ટર નરવણે જૂઠું બોલી રહ્યા છે અથવા તો પેંગ્વિન (પબ્લિશર) જૂઠું બોલી રહ્યું છે. મને નથી લાગતું કે પૂર્વ આર્મી ચીફ જૂઠું બોલે." રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે, પેંગ્વિન કહી રહ્યું છે કે પુસ્તક પબ્લિશ નથી થયું, પરંતુ એમેઝોન પર તે ઉપલબ્ધ છે. જનરલ નરવણેએ ખુદ ટ્વીટ કરીને 2023માં પુસ્તક ખરીદવાની અપીલ કરી હતી.
#WATCH | On Delhi Police files FIR to investigate alleged circulation of former Army chief General MM Naravane's (Retd) unpublished book, LoP Lok Sabha Rahul Gandhi says," Here is a tweet from Mr Naravane which says -"Just follow the link to my book". The point I am making is -… pic.twitter.com/zeHbtzJpjJ
રાહુલ ગાંધીએ શંકા વ્યક્ત કરી કે, "મને પેંગ્વિન કરતા નરવણેજી પર વધારે વિશ્વાસ છે. કદાચ નરવણેજીએ પોતાના પુસ્તકમાં કેટલીક એવી વાતો લખી છે જે ભારત સરકાર અને પ્રધાનમંત્રી માટે અસુવિધાજનક હોઈ શકે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે સાચું કોણ બોલી રહ્યું છે - પેંગ્વિન કે પૂર્વ આર્મી ચીફ?"
પેંગ્વિન ઇન્ડિયાએ શું સ્પષ્ટતા આપી?
બીજી બાજુ, પબ્લિશર ‘પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા' એ એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે તેમની પાસે પૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેના પુસ્તકના પબ્લિશિંગ રાઈટ્સ છે. પબ્લિશરે ભારપૂર્વક કહ્યું કે, આ પુસ્તક હજુ સુધી પબ્લિશ થયું નથી. તેની કોઈપણ પ્રિન્ટ કે ડિજિટલ કોપી પબ્લિશ, વિતરણ કે વેચાણ માટે બહાર પાડવામાં આવી નથી.
દિલ્હી પોલીસ કરી રહી છે તપાસ
આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે પણ તપાસ શરુ કરી દીધી છે. દિલ્હી પોલીસને સોશિયલ મીડિયા અને ન્યૂઝ ફોરમ પરથી જાણકારી મળી હતી કે ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' (Four Stars of Destiny) પુસ્તકની પ્રી-પ્રિન્ટ કોપી ગેરકાયદેસર રીતે શેર કરવામાં આવી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈને સ્પેશિયલ સેલે "હજુ સુધી મંજૂર ન થયેલા પબ્લિકેશનના કથિત લીક/બ્રીચ" નો કેસ દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દાવાઓની ચકાસણી કરી રહી છે કે શું ખરેખર પુસ્તકની કોપી લીક થઈ છે કે કેમ.